- Gujarat
- ‘આદિવાસી પાવર બતાવી દઇશું’, AAPના ઉપપ્રમુખ વસાવાની સરકારને ચીમકી; બોલ્યા- ‘7 દિવસમાં ચૈતર વસાવા નહીં...
‘આદિવાસી પાવર બતાવી દઇશું’, AAPના ઉપપ્રમુખ વસાવાની સરકારને ચીમકી; બોલ્યા- ‘7 દિવસમાં ચૈતર વસાવા નહીં છૂટે તો..’
નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ચૈતર વસાવાના જામીન મામલે પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે 7 દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપતા જેલ ઘેરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવા પણ નમતું જોખવા તૈયાર નથી અને ચૈતર વસાવાના સમર્થકોને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાત કહી રહ્યા છે, જેથી રાજકીય ગરમાવો આવી ગયો છે.
નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થયેલા પોલીસ કેસને લઈ નર્મદાની જ્યૂડિશિયલ અને સેશન્સ કોર્ટે જામીન ના મંજૂર કરતા ચૈતર વસાવા હાઈકોર્ટમાં ગયા છે. જ્યાં ચૈતર વસાવાના જામીન ના મંજૂર થવા બદલ AAPના કાર્યકર્તા ભાજપ અને મનસુખ વસાવાને જવાબદાર ગણાવી રહ્યા છે. તો મનસુખ વસાવાએ આ બાબતે નારાજ થઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચીમકી આપી છે.
નર્મદા જિલ્લાના AAPના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા ઉર્ફ દેવાભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ‘આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગઈ છે કે, ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે એટલા કાવતરા કર્યા અને ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે. આ કેસના મામલે તેમણે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ભાજપ સરકાર અને તંત્રને સીધી રીતે ચીમકી આપતા કહ્યું હતું કે, ‘7 દિવસમાં ચૈતરભાઈ નહીં છૂટે તો અમારા વડલાઓ અમને જે હથિયાર આપી ગયા તે તીરકામઠા, પાલિયા, કુહાડી, દાતરડી કે ભાલા દરેક વસ્તુ લઈને અમે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને DYSP કચેરી ઘેરીશું. ઉપરાંત જે જેલમાં ચૈતર વસાવા છે એ બરોડા સબ જેલને પણ ઘેરીને ચૈતરભાઈને છોડવા માટે પ્રયાસ કરીશું.’
https://twitter.com/MansukhbhaiMp/status/1947636875394457605
તેમણે વધુમાં કહ્યું કે, 7 દિવસમાં જો ચૈતરભાઈ નહીં છૂટે તો અમારા તમામ ચાર રાજ્યના માણસો, 4 રાજ્યના આદિવાસી લોકોને અમારે આહ્વાન કરવાની ફરજ ન પડે તે માટે સરકારે ધ્યાનમાં લેવું જોઇએ. જે પણ સરકાર જેવી રીતે સમજે એ સમજી જાય. અમારા ચૈતરભાઈને 7 દિવસમાં છોડવું જ પડશે. છોડી દેજો અને ન છોડવું હોય તો પછી અમારા વડલાઓએ જે પણ અમને હથિયાર આપ્યા છે એ હથિયાર લઈને ઉગ્ર આંદોલન કરવા મજબૂર થઈશું અને હથિયાર લઈને તમારી સમગ્ર જેલથી માંડીને DYSP કચેરીથી માંડીને કલેક્ટર કચેરીથી માંડીને બધું ઘેરીને અમે અમારો આદિવાસી પાવર શું છે એ બતાવી દઈશું.’
આદિવાસી નેતા દેવેન્દ્ર વસાવાએ, દેડિયાપાડાના ઝરગામથી સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે સમજવા માટે અત્યારે પણ સમય છે. સમજી જાવ, 7 દિવસમાં ચૈતરભાઈને છોડો, નહીં છોડો તો આદિવાસીનો પરચો જોવા માટે તમે તૈયાર રહેજો.
ચૈતર વસાવાના જામીન ના મંજૂર થવા પાછળના આરોપો પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 22 જુલાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ‘આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓને જણાવવાનું કે, ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબની ઉપસ્થિતમાં ચાલુ બેઠકમાં ઝગડો થયો જેના કારણે સંજયભાઈએ ચૈતરભાઈ પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ફરિયાદના આધારે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ દેવાભાઈએ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું કે, પાલીયા અને ધારીયા લઈને આદિવાસીઓ ઉમટી પડશે, જેના કારણે કોર્ટે ચૈતરભાઈના જામીન રદ્દ કર્યા. આમાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી છતાં પણ આમ આદમી પાર્ટીના બધા આગેવાનો, ચૈતરભાઈના પરિજનો, કાર્યકરો અને શુભેચ્છકો આ સમગ્ર ઘટનામાં મને તથા ભાજપને જવાબદાર ગણે છે જે ખરેખર અયોગ્ય છે.
હું આદિવાસીઓના વિકાસમાં માનું છું, આવી રીતે કોઈની સાથે લડાઈ ઝગડા કરવાથી તો આદિવાસીઓનો વિકાસ રૂંધાય છે સાથે જ વ્યક્તિ વિકાસ પણ રૂંધાય છે તેથી કોઈના ઉપર આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડો એમાંજ બધાનું હિત છે. એલફેલ મીડિયામાં ગમે તેના પર આક્ષેપ મૂકી અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરશો તો ઈંટ નો જવાબ પથ્થરથી આપવામાં આવશે. મેં મારી જીંદગીમાં ખોટા પૈસા કમાવવામાં શક્તિ વેડફી નથી, મારો વર્ષોથી એક જ ધ્યેય છે કે પ્રજાની અને દેશની સેવા કરવી.
મને જો ખોટી રીતે કોઈ છંછેડશે તો પછી હું પણ ચૂપ બેસી રહેવાનો નથી. હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. કોઈ સાહુકાર નથી, હું બધું જાણું છું પણ કોઈની સાથે દુશ્મનાવટ બાંધવામાં હું માનતો નથી તેથી આપણા બધા જ આગેવાનોએ આદિવાસી સમાજનું હિત કયા છે એ અંગે મંથન કરીએ એજ અભ્યર્થના.’

