- Gujarat
- 1600 TRB જવાનોની ભરતી થશે, સુરત સહિત 5 જિલ્લાઓમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ
1600 TRB જવાનોની ભરતી થશે, સુરત સહિત 5 જિલ્લાઓમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ
ગુજરાતમાં રોજબરોજ ટ્રાફિક સમસ્યા વધી રહી છે, જેને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. હવે ટ્રાફિક પોલીસ સાથે-સાથે ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો પણ ટ્રાફિક નિયંત્રણની જવાબદારી સંભાળશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં આયોજિત ક્રાઇમ કોન્ફરન્સમાં ટ્રાફિક જામની સમસ્યા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે વધુમાં વધુ TRB જવાનોની ભરતી કરવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.
આ નિર્દેશના અનુસંધાને સુરત, તાપી, અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં TRB જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ભરતી ચાલુ છે. કેટલાક શહેરોમાં TRB જવાનોની તાલીમ પણ પૂર્ણ થવાની છે. ટ્રાફિક બ્રિગેડના આ જવાનો ટ્રાફિક પોલીસ સાથે ખભે-ખભો મિલાવી માર્ગ વ્યવસ્થા સંભાળશે, જેના કારણે આગામી સમયમાં ટ્રાફિક જામ જેવી સમસ્યામાં ભારે રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શહેર અનુસાર વાત કરીએ તો સુરતમાં 158, તાપીમાં 22, વડોદરામાં 89, અમદાવાદમાં 794, અમદાવાદ ગ્રામ્યમાં 526, ગાંધીનગરમાં 192, રાજકોટમાં 132, અને સુરેન્દ્રનગરમાં 31 TRB જવાનોની ભરતી કરવામાં આવી છે. આ સિવાય નવસારી, વલસાડ, ભરૂચ, મોરબી, જામનગર, ભાવનગર, કચ્છ-ભુજ સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં TRB જવાનોની ભરતી પ્રક્રિયા ચાલુ છે.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP સાહિત્યા વી.એ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં TRB જવાનોનું મંજૂર મહેકમ 10,602 છે, જેની સામે હાલ 7,998 જવાનો ફરજ બજાવી રહ્યા છે. હાલ 2,608 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાંથી અત્યાર સુધીમાં 1,054 જગ્યાઓ ભરાઈ ચૂકી છે. બાકીની અંદાજે 1,600 જગ્યાઓ ટૂંક સમયમાં ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી સમયમાં રાજ્યમાં 5 હજારથી વધુ TRB જવાનોની નવી ભરતી થશે.’
આ ભરતીથી એક તરફ ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે તો બીજી તરફ અનેક યુવાનોને રોજગારી પણ મળશે. TRB જવાનોને લગભગ 450 રૂપિયાના હિસાબે દૈનિક ભથ્થું આપવામાં આવશે.

