- Gujarat
- સુરતમાં મરાઠી ઉદ્યોગકારો માટે ‘સ્વરાજ્ય SENA’નું પ્રથમ ચેપ્ટર ‘સુવર્ણદુર્ગ’ લોન્ચ
સુરતમાં મરાઠી ઉદ્યોગકારો માટે ‘સ્વરાજ્ય SENA’નું પ્રથમ ચેપ્ટર ‘સુવર્ણદુર્ગ’ લોન્ચ
6 જૂન 1674ના રોજ છત્રપતિ શિવાજી મહારાજના હિંદવી સ્વરાજ્યનો રાજ્યાભિષેક થયો હતો જેની પ્રેરણાથી સુરતમાં મરાઠી ઉદ્યોગકારો માટે 360° ગ્રોથ ઇકોસિસ્ટમ ઊભું કરવાના હેતુથી ‘સ્વરાજ્ય એન્ટરપ્રેન્યોર નર્ચર એલાયન્ઝ (SENA)’ દ્વારા તેના પ્રથમ ચેપ્ટર ‘કિલ્લા સુવર્ણદુર્ગ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પહેલ વિજય કમલ ફાઉન્ડેશનના વિશેષ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. વિજય કમલ ફાઉન્ડેશન એક નોન-પ્રોફિટ સંસ્થા છે, જે સમાજ અને ઉદ્યોગકારોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.

સ્વરાજ્ય SENAના સ્થાપક વિક્રમ સણસે જણાવ્યું હતું કે, જેમ છત્રપતિ શિવાજી મહારાજે માવળાઓને એકત્રિત કરીને હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી, તેમ આજના યુગમાં મરાઠી ઉદ્યોગકારોને એક મજબૂત પ્લેટફોર્મ પર જોડીને ‘આર્થિક સ્વરાજ્ય’ તરફ આગળ વધવું સમયની જરૂરિયાત બની છે.
તેમણે જણાવ્યું કે, ઘણા ઉદ્યોગકારો યોગ્ય માર્ગદર્શન, મજબૂત નેટવર્ક, તાલીમ, જવાબદારી આધારિત સહયોગ અને વ્યવસાયિક ઇકોસિસ્ટમના અભાવે પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકતા નથી. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘સ્વરાજ્ય’ની રચના કરવામાં આવી છે.
સ્વરાજ્ય માત્ર એક બિઝનેસ નેટવર્કિંગ ગ્રુપ નથી, પરંતુ મરાઠી ઉદ્યોગકારો માટે રચાયેલ 360° ગ્રોથ ઇકોસિસ્ટમ છે, જેમાં બિઝનેસ ગ્રોથ, નેતૃત્વ વિકાસ, તાલીમ, નેટવર્કિંગ, રેફરલ સપોર્ટ, જવાબદારી પ્રણાલી અને વ્યક્તિગત વિકાસ જેવા વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે.
‘સુવર્ણદુર્ગ’ ચેપ્ટર દ્વારા સુરતના મરાઠી ઉદ્યોગકારોને એક મજબૂત મંચ પર એકત્રિત કરીને તેમને શીખવા, વિકાસ કરવા અને એકબીજાના વિકાસમાં સહભાગી બનવાની તક મળશે.

આ પ્રસંગે સ્થાપક સભ્યોની હાજરીમાં ‘સ્થાપક ઉદ્યોગક માવળા’ સન્માનપત્ર વિતરણ, સ્વરાજ્ય પ્રતિજ્ઞા, વિઝન રજૂઆત અને આગામી વર્ષ માટેના વિકાસલક્ષી આયોજનની પણ જાહેરાત કરવામાં આવી હતી.
સંસ્થાનું સૂત્ર છે: “નાતું વિશ્વાસનું, ધ્યેય પ્રગતિનું”
જ્યારે તેનું વિઝન છે: “સમૃદ્ધ ઉદ્યોગકાર માવળા, એ જ ખરું સ્વરાજ્ય.”
સુરતમાં વસતા મરાઠી ઉદ્યોગકારોને આ પહેલ સાથે જોડાઈ તેના લાભો મેળવવા માટે અપીલ કરવામાં આવી છે.

