- Gujarat
- આંખની સારવારમાં ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરતી ફરિયાદ કોર્ટે રદ કરી
આંખની સારવારમાં ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરતી ફરિયાદ કોર્ટે રદ કરી
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ કમિશન) દ્વારા તબીબી નિષ્કાળજીના એક મહત્ત્વના કેસમાં હોસ્પિટલ અને ડૉક્ટરની તરફેણમાં ચુકાદો આપી, ફરિયાદીની વળતર માંગતી ફરિયાદને સંપૂર્ણપણે નામંજૂર કરી દીધી છે. કોર્ટે ઠેરવ્યું છે કે માત્ર આક્ષેપોના આધારે ડૉક્ટરની બેદરકારી સાબિત થતી નથી, અને તેના માટે મજબૂત મેડિકલ એવિડન્સ અનિવાર્ય છે.
ફરિયાદીએ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) સમક્ષ જીવન જ્યોત ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટર તથા ડૉ. પથિક વેરાવલિયા વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદની વિગત એવી હતી કે અડાજણ, સુરતના રહેવાસી અને સુથારી કામ કરતા ફરિયાદીની ડાબી આંખમાં લોખંડની કરચ વાગવાથી ગંભીર ઈજા થઈ હતી. તેઓ ઉધના મેઈન રોડ સ્થિત ‘જીવન જ્યોત ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટર’ ખાતે સારવાર અર્થે આવ્યા હતા. હોસ્પિટલના જાણીતા રેટિના સર્જન ડૉ. પથિક વેરાવલિયાએ તપાસ કરીને દર્દીની બંને આંખોની દ્રષ્ટિ બચાવવા માટે તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી હોવાની સલાહ આપી હતી. દર્દીની સંમતિ મેળવ્યા બાદ ડાબી આંખમાંથી લોખંડની કરચ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી અને આંખમાં વિશેષ ગેસ ભરવામાં આવ્યો હતો.
ત્યારબાદ, ફરિયાદીએ એવો આક્ષેપ કરીને ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કે ઓપરેશન પછી હોસ્પિટલ અને ડૉક્ટરની નિષ્કાળજીના કારણે તેમની આંખની દ્રષ્ટિ ઝાંખી થઈ ગઈ છે અને તેઓ સુથારી કામ કરવા માટે અસમર્થ બન્યા છે. તેમણે ઓપરેશન ખર્ચ, માનસિક હેરાનગતિ અને આજીવિકા ગુમાવવા બદલ વળતરની માંગણી કરી હતી.

હોસ્પિટલ અને ડૉક્ટર તરફે સુરતના જાણીતા ધારાશાસ્ત્રીઓ એડવોકેટ શ્રેયસ એસ. દેસાઈ, એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ અને એડવોકેટ ઈશાન દેસાઈ હાજર રહ્યા હતા. તેમણે કમિશન સમક્ષ સચોટ કાનૂની અને તબીબી રજૂઆતો કરતા જણાવ્યું હતું દર્દીની આંખમાં ગંભીર ટ્રોમા હતો અને જો તાત્કાલિક ઓપરેશન કરીને લોખંડની કરચ કાઢવામાં ન આવી હોત, તો દર્દીએ બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી પડી હોત. ડૉક્ટરે પૂરતી કાળજી અને સાવધાની રાખીને સફળ ઓપરેશન કરી દર્દીની આંખો બચાવી લીધી હતી.
ઓપરેશન પછી પણ દર્દીને જરૂરી ફોલો-અપ ચેકઅપ, કેટેરેક્ટ (મોતિયા) અને લેસર ટ્રીટમેન્ટની સલાહ આપવામાં આવી હતી, પરંતુ દર્દી પોતે આગળની સારવાર માટે તૈયાર નહોતો. ફરિયાદીએ અન્ય જે હોસ્પિટલો (સિવિલ હોસ્પિટલ અને રાજકોટની હોસ્પિટલ) માં તપાસ કરાવી હતી, ત્યાંના કોઈ પણ રિપોર્ટમાં ડૉ. પથિક વેરાવલીયાએ ઓપરેશનમાં કોઈ ભૂલ કરી હોય કે બેદરકારી રાખી હોય તેવું દર્શાવવામાં આવ્યું નથી. ચોક્કસ આધાર પુરાવા વિના માત્ર મૌખિક આક્ષેપોના આધારે કેસ સાબિત થઈ શકે નહીં.
વધુમાં, સારવાર દરમિયાન તમામ સ્વીકૃત તબીબી ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારની મેડિકલ સેવામાં ક્ષતિ રાખવામાં આવી નહોતી. વધુમાં હોસ્પિટલ જાહેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોવાથી ટ્રસ્ટ તથા તેના ટ્રસ્ટીઓને પક્ષકાર બનાવ્યા વિના ફરિયાદ મેઈન્ટેનેબલ નથી તેવી કાનૂની રજૂઆત પણ કરવામાં આવી હતી.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડિશનલ)ના પ્રમુખ (ઈન્ચાર્જ) કે. જે. દસોંદી અને સભ્ય (ઈન્ચાર્જ) પૂર્વી વી. જોષીની બેન્ચે નોંધ્યું હતું કે ડૉક્ટરે પૂરતી તબીબી કુશળતા અને કાળજીપૂર્વક ઓપરેશન કરીને લોખંડની કરચ દૂર કરી આપી હતી, જેમાં કોઈ ખામી સાબિત થતી નથી. ફરિયાદી ડૉક્ટરની બેદરકારી સાબિત કરવા માટે કોઈ પણ મજબૂત કે વિશ્વસનીય મેડિકલ પુરાવો કે નિષ્ણાંતનો ઓપિનિયન રજૂ કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે.
પરિણામે, સુરત જિલ્લા ગ્રાહક કમિશને હોસ્પિટલ અને ડોક્ટર તરફે રજૂ થયેલી કાનૂની દલીલોને ગ્રાહ્ય રાખીને ફરિયાદીની આ ગ્રાહક ફરિયાદ સંપૂર્ણપણે નામંજૂર કરવાનો આદેશ કર્યો છે.

