- Gujarat
- માતાની હાથમાંથી છટકીને પાણીની ટાંકીમાં પડી ગઈ દીકરી, પોતાની ભૂલ પર પડદો નાખવા ઢાંકણું બંધ કરી દીધું
માતાની હાથમાંથી છટકીને પાણીની ટાંકીમાં પડી ગઈ દીકરી, પોતાની ભૂલ પર પડદો નાખવા ઢાંકણું બંધ કરી દીધું અને ઉપરથી..
‘મા તે મા, બીજા બધા વગડાના વા’ આ કહેવત તો સાંભળી જ હશે. મા માટે આવી જ અનેક કહેવતો, કવિતાઓ લખાઈ ચૂકી છે. મા વહાલનો દરિયો હોય છે, પરંતુ અમરાઈવાડીમાં બનેલી ઘટનામાં વહાલનો દરિયો સુકાઈ ગયો અને પોતાની જ અઢી વર્ષની દીકરીને મરવા છોડી દીધી. ચાલો જાણીએ શું છે આખો મામલો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અખિયાણા ગામનો રહેવાસી દિપક મકવાણા અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઈનની સામે માતા-પતિ, પત્ની મોનિકા અને 2 પુત્રીઓ સાથે સાથે રહે છે. 2 દીકરીઓમાંથી એક 7 વર્ષની અને બીજી દીકરી અઢી મહિનાની હતી. દિપક લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે.
દિપક રાબેતા મુજબ નોકરીએ જવા માટે નીકળ્યો હતો, ત્યારે તેની પત્ની મોનિકા અને 2 દીકરી ઘરે હાજર હતી. દિપકને ગેસનો સિલિન્ડર બુક કરવાનો હોવાથી તે અમરાઈવાડી લાઈનમાં ઉભો હતો ત્યારે તેની પડોશી હંસાબેનનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે ફટાફટ ઘરે આવી જાવ. દિપક તરત જ ઘરે પહોંચતા લોકોનું ટોળુ જોયું હતું. લોકો બાળકીની પીઠ થાબડતા હતા, જેથી દિપક ચિંતામાં આવી ગયો હતો. દિપકે પૂછ્યુ તો આસપાસના લોકોએ જણાવ્યું કે તમારી દીકરી પાણીમાં પડી ગઈ હતી.
દિપક તેની પત્ની મોનિકા પર ગુસ્સે ભરાયો હતો અને કહેવા લાગ્યો હતો કે તું શું ધ્યાન રાખે છે? તે કેવી રીતે પડી ગઈ? આસપાસના લોકોએ દિપકને કહ્યુ કે તું ગુસ્સો ન કરતો, કરીશ શાંતિ રાખ દીકરીને દવાખાને લઈ જઈએ છે. દિપક મોનિકા તેની દીકરીને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
દીકરીના મોત બાદ મોનિકાએ રડતા-રડતા દિપકને કહ્યું હતું કે, મારાથી ભુલ થઈ ગઈ છે. આપણા ઘરના ઉપરના માળે પાણી ચઢાવવા માટે મોટરની સ્વીચ પાડવા માટે નીચે ગઈ હતી ત્યારે દીકરી મારી સાથે હતી. તેનો પગ પોતા ઉપર આવતા દીકરી તેના હાથમાંથી છટકી ગઈ હતી અને સીધી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. મોનિકાએ દીકરીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અંદર સુધી જતી રહી હતી જેથી તે ગભરાઈ ગઈ હતી. મોનિકા ઉપર આરોપ આવે નહીં તેવા ડરથી તેણે ટાંકીનું ઢાંકણુ બંધ કરી દીધુ હતું અને તેની ઉપર તગારૂ મુકી દીધુ હતું.
દિપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનિકા મકવાણા વિરૂદ્ધ બદઈરાદે હત્યાની ફરિયાદ કરી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

