- Gujarat
- વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ
વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ
તા. ૯ ઓગસ્ટ. વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વભરમાં મૂળ નિવાસીઓના અધિકારો, સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવામાં આવે છે. ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના વિશાળ ટ્રાઇબલ બેલ્ટમાં વસતા આદિવાસી પરિવારોને કેન્દ્રમાં રાખીને આ દિવસની વાત કરીએ તો તે માત્ર ઉજવણી નહીં પરંતુ આપણા ગુજરાતની વનવાસી જીવનના અસ્તિત્વના મૂળની યાદ અપાવે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૯૪માં ૯ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો. આ તારીખ ૧૯૮૨માં જિનીવામાં યોજાયેલી આદિવાસી વસ્તી અંગેની કાર્યકારીણીની પ્રથમ બેઠકની યાદમાં નક્કી કરવામાં આવી હતી. વિશ્વમાં આશરે ૪૭૬ મિલિયન આદિવાસી લોકો ૯૦થી વધુ દેશોમાં વસે છે. તેઓ વિશ્વની વસ્તીના ૬ ટકા કરતાં પણ ઓછા છે છતાં વિશ્વની સાંસ્કૃતિક વિવિધતાનો મોટો ભાગ અને મોટાભાગની ભાષાઓ તેમની પાસે છે. તેમના પ્રદેશો વિશ્વના જંગલો અને જીવનની વિવિધતાના મહત્ત્વના સંરક્ષક છે.

ગુજરાતમાં આ વાત વિશેષ મહત્ત્વ ધરાવે છે. રાજ્યની આદિવાસી વસ્તી આશરે ૧૪.૮ ટકા છે. અંબાજી (બનાસકાંઠા)થી શરૂ થઈને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના ઉમરગામ સુધીનો પટ્ટો આદિવાસી સંસ્કૃતિનો પ્રત્યક્ષ જીવંત વારસો છે. જ્યાં ભીલ, રાઠવા, વસાવા, ગામીત, ધોડિયા, ચૌધરી, નાયકા, કોકણા, વારલી અને અન્ય અનેક સમુદાયો પોતાની આગવી ભાષા, રીતરિવાજો અને જીવનપદ્ધતિ સાથે જીવે છે.
આ સમુદાયો પર્યાવરણ અને પ્રકૃતિના સાચા સંરક્ષક છે. જંગલો સાથેનો તેમનો સંબંધ માત્ર આર્થિક નહીં પણ આધ્યાત્મિક પણ છે. તેઓ જમીન, પાણી, વૃક્ષ અને પશુપક્ષીઓને સહજીવી તરીકે અનુભવે છે અને એમની સાથે જીવે પણ છે. તેમની વર્ષોથી ચાલી આવતી જ્ઞાનપ્રણાલી વનઔષધીઓની ઓળખ, આયુર્વેદિક દવાઓ, કૃષિ પેદાશો લેવાની પદ્ધતિઓ અને પાણીના સંરક્ષણની પદ્ધતિઓ આજે પણ વૈજ્ઞાનિક મહત્ત્વ ધરાવે છે.
૨૦૨૬ના વર્ષની થીમ “આદિવાસી દાઈમાઓનું સન્માન: જીવન અને કલ્યાણની રક્ષા” આ જ વાતને ધ્યાનકેન્દ્રિત કરે છે. આદિવાસી સમાજમાં માતૃત્વ અને નવજાત શિશુની સંભાળની પરંપરાગત જ્ઞાન વ્યવસ્થા હજુ પણ જીવંત છે અને તેને આદર આપવો જરૂરી છે.
https://twitter.com/infogujarat/status/2086250680566903192?s=52
સંસ્કૃતિની દૃષ્ટિએ પણ આ બેલ્ટ અત્યંત સમૃદ્ધ છે. ગરબા, ડાંગના નૃત્યો, રાઠવા ચિત્રકલા, વારલી આર્ટ, લોકગીતો અને તહેવારો આ સમુદાયોની કૌશલ્યતા દર્શાવે છે. તેમની સામાજિક વ્યવસ્થા, સહકાર અને સહજીવનની ભાવના આજના શહેરીકરણના રંગે રંગાયેલા સમાજ માટે પણ શિક્ષણરૂપ છે.
જોકે પડકારો પણ ઓછા નથી. વિકાસના નામે જમીન, જંગલ અને પરંપરાગત જીવનપદ્ધતિ પર દબાણ વધી રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારની સુવિધાઓમાં અસમાનતા હજુ પણ અસ્તિત્વમાં છે. ભાષા અને સાંસ્કૃતિક વારસો ધીમે ધીમે ઓછો થતો જણાય છે.

આપણે યાદ રાખવું જોઈએ કે આદિવાસી સમુદાયો માત્ર લાભાર્થીનથી, તેઓ પ્રકૃતિના રક્ષક, સંસ્કૃતિની જીવંત રાખનાર અને મૂળ માનવ સમાજના આધાર છે. તેમના અધિકારોની સુરક્ષા, જ્ઞાનનું સન્માન અને સમાન વિકાસની તકો પૂરી પાડવી એ આપણી સામૂહિક જવાબદારી છે. અંબાજીથી ઉમરગામ સુધીના આ પરિવારો જ્યારે પોતાની જમીન, ભાષા અને સંસ્કૃતિ સાથે સુરક્ષિત રેહશે ત્યારે જ ગુજરાત અને ભારતની આસ્મિતા સાચી રીતે મજબૂત બને.
વિશ્વ આદિવાસી દિવસે આપણે માત્ર શુભેચ્છા ન આપીએ પરંતુ સમજણ અને સહયોગનું વચન પણ આપીએ. પર્યાવરણ, પ્રકૃતિ અને સંસ્કૃતિના આ સંરક્ષકોને સન્માન આપીને જ આપણે આવનારી પેઢીઓ માટે સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકીશું.

