- National
- ભારતીય રેલવે: AC કોચમાં અપાતા ધાબળા-ચાદર કરતાં આ વસ્તુ વધુ ચોરાઈ
ભારતીય રેલવે: AC કોચમાં અપાતા ધાબળા-ચાદર કરતાં આ વસ્તુ વધુ ચોરાઈ
ભારતીય રેલ્વેના AC કોચમાં મુસાફરી કરતા મુસાફરોને આપવામાં આવતી ચાદર, ઓશિકા, ધાબળા અને ટુવાલ જેવી બેડરોલ વસ્તુઓ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક RTI હેઠળ મેળવવામાં આવેલી માહિતી અનુસાર, રેલ્વેમાં મુસાફરી કરતા આશરે 8 લાખ AC મુસાફરોમાંથી સરેરાશ 1,000 યાત્રીમાંથી કોઈ એક દરરોજ રાત્રે બેડરોલમાં આપેલી કોઈને કોઈ વસ્તુ ચોરી કરી જાય છે.
મીડિયા સૂત્રો દ્વારા મેળવેલી RTI માહિતી અનુસાર, ડેટા દર્શાવે છે કે, જાન્યુઆરી 2022 દરમિયાન, જ્યારે કોવિડ-19 રોગચાળા પછી બેડરોલ, ઓશિકા અને ધાબળા આપવાની સેવા ફરી શરૂ થઈ, અને મે 2026 દરમિયાન, ઓછામાં ઓછી 1.27 કરોડ બેડરોલની કોઈને કોઈ વસ્તુઓ ચોરાઈ ગઈ. 2022 અને 2025 વચ્ચે આ ચોરીઓમાં 56 ટકાનો મોટો વધારો થયો છે.
આ 4 વર્ષના સમયગાળા દરમિયાન, મુસાફરો દ્વારા કરવામાં આવતી આ 'લાલચ' અથવા 'ચોરી' બેડરોલ કોન્ટ્રાક્ટરોને આશરે રૂ. 104.51 કરોડનું નુકસાન પહોચાડ્યું છે. મુસાફરોની પસંદગી અનુસાર ચોરાયેલી વસ્તુઓની યાદી પણ જુઓ: ટુવાલ: 46.54 લાખ (ચોરી કરવામાં સૌથી સરળ, તેથી યાદીમાં ટોચ પર), ચાદર: 41.13 લાખ, ઓશિકાના કવર: 23.59 લાખ, ધાબળા: 12.95 લાખ, ઓશિકા: 2.76 લાખ.
18 રેલ્વે ઝોનના 54 ડિવિઝનમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, કુલ ચોરીના 67 ટકા ફક્ત 10 ડિવિઝનમાં થાય છે. આમાંથી, રાજસ્થાનનો બિકાનેર ડિવિઝન સૌથી વધુ પ્રભાવિત છે.
જ્યારે 2022માં બિકાનેરમાં ચોરીઓ 2.99 લાખથી વધીને 12.34 લાખ થઈ છે, ત્યારે રાષ્ટ્રીય રાજધાની, દિલ્હીમાં ચોરીઓમાં 79 ટકાનો ઘટાડો જોવા મળ્યો (3.27 લાખથી ઘટીને 68,013 વસ્તુઓ). દક્ષિણ ભારતના બે ડિવિઝન, તિરુચિરાપલ્લી અને પલક્કડમાં કોઈ ચોરી નોંધાઈ નથી.
બિકાનેર ડિવિઝન-કુલ ચોરીઓ: 25.76 લાખ-બેડશીટ (12.42 લાખ)-કુલ ચોરીઓનો અડધો ભાગ. રાંચી ડિવિઝન-કુલ ચોરીઓ: 9.31 લાખ-ટુવાલ (3.88 લાખ)-કુલ ચોરીઓના 42 ટકા. દિલ્હી ડિવિઝન-કુલ ચોરીઓ: 8.21 લાખ-ટુવાલ (4.78 લાખ)-કુલ ચોરીઓના 58 ટકા. મુંબઈ ડિવિઝન-કુલ ચોરીઓ: 8.17 લાખ-ટુવાલ (3.57 લાખ)-કુલ ચોરીઓના 44 ટકા. જોધપુર ડિવિઝન-કુલ ચોરીઓ: 8.09 લાખ-ધાબળા (3.4 લાખ)-કુલ ચોરીઓના 42 ટકા. અમદાવાદ ડિવિઝન-કુલ ચોરીઓ: 6.94 લાખ-ટુવાલ (3.22 લાખ). દાનાપુર ડિવિઝન-કુલ ચોરીઓ: 5.72 લાખ-ટુવાલ (3.37 લાખ)-કુલ ચોરીઓના 59 ટકા.
રેલવેના નિયમો અનુસાર, ટ્રેનોમાં બેડરોલનું વિતરણ અને સંગ્રહ કરવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરો જવાબદાર છે. ટ્રેન ઉપડે તે પહેલાં મુસાફરો પાસેથી વસ્તુઓ એકત્રિત કરવાની જવાબદારી કોચ એટેન્ડન્ટ્સની હોય છે.
જ્યારે કોઈ મુસાફર તેમની બેગમાં ચાદર કે ટુવાલ ચોરી કરે છે, ત્યારે રેલ્વે કોન્ટ્રાક્ટરના બિલમાંથી પુરી રકમ કાપી લે છે. 2015ના રેલ્વે બોર્ડના પરિપત્ર મુજબ, ખોવાયેલી વસ્તુઓ નીચેના દરે વસૂલવામાં આવે છે: ઓશીકા માટે રૂ. 115, ચાદર માટે રૂ. 198, ઓશીકાના કવર માટે રૂ. 55, ટુવાલ માટે રૂ. 48 અને ધાબળા માટે રૂ. 343.
અહેવાલમાં, સોલાપુર ડિવિઝનના એક બેડરોલ સપ્લાયરે અહેવાલ આપ્યો છે કે નુકસાનથી કંટાળીને, તેમણે માત્ર 14 મહિના પછી તેનો 3 વર્ષનો કરાર સમાપ્ત કર્યો. કોન્ટ્રાક્ટરો કોચમાં દિવસ-રાત કામ કરતા ગરીબ એટેન્ડન્ટ્સના પગારમાંથી કાપીને આ નુકસાનની ભરપાઈ કરે છે.
રેલ્વે મંત્રાલયના પ્રવક્તાએ આ બાબત પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ચોરી અટકાવવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, તેમણે સ્પષ્ટપણે આ ચોરીમાં રેલ્વે સ્ટાફ કે એટેન્ડન્ટની કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. હાલમાં, આ અછતને પહોંચી વળવા માટે રેલવેને નવા બેડરોલના સેટ ખરીદવા માટે સતત વધારાનું બજેટ ખર્ચવું પડી રહ્યું છે.

