- National
- વ્યાજે પૈસા આપવા, 3 ઘર, 3 ઓટો-રિક્ષા અને એક કાર... આવી છે કરોડપતિ ભિખારી માંગીલાલની જિંદગી
વ્યાજે પૈસા આપવા, 3 ઘર, 3 ઓટો-રિક્ષા અને એક કાર... આવી છે કરોડપતિ ભિખારી માંગીલાલની જિંદગી
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં લાકડાની સ્લાઇડિંગ ગાડી પર વર્ષોથી ભીખ માંગનાર એક અપંગ ભિખારી 3 પાકા ઘર, એક ઓટો-રિક્ષા અને એક કારનો માલિક નીકળ્યો. આ ભિખારીનું નામ છે માંગીલાલ. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગની બચાવ ટીમે સતત મળી રહેલી ફરિયાદોના આધારે સરાફા ક્ષેત્રમાં કાર્યવાહી કરતા માંગીલાલને બચાવ્યો અને તેની પૂછપરછ કરી. ત્યારબાદ ચોંકાવનારો ખુલાસો થયો.
સરાફા બજાર વિસ્તારમાં નિયમિતપણે આવતી-જતી લગભગ દરેક વ્યક્તિ માંગીલાલને ઓળખે છે. લાકડાની બનેલી સ્લાઇડિંગ ગાડી, તેની પીઠ પર લટકાવેલી થેલી અને હાથોમાં જૂતાથી ધસડીને ચાલવું. આ દૃશ્ય વર્ષોથી સરાફા બજારમાં સામાન્ય હતું. પહેલી નજરે માંગીલાલને જોઈને દરેક વ્યક્તિના મનમાં સહાનુભૂતિ જાગતી હતી અને લોકો કોઈ પણ જાતના વિચાર કર્યા વિના તેને પૈસા આપી દેતા હતા. માંગીલાલ પોતાને અત્યંત અસહાય અને લાચાર બતાવતો હતો. ન તો કોઈ સાથે બળજબરી કરતો હતો અને ન તો મોટેથી કંઈ કહેતો હતો. તે શાંતિથી લોકો પાસે જતો, અને તેની અપંગતા જોઈને લોકો તેને આપમેળે ભિક્ષા આપી દેતા હતા.
https://twitter.com/ANI/status/2012888699818983444?s=20
બચાવ દરમિયાન એવું તથ્ય પણ સામે આવ્યું કે માંગીલાલને તેની અપંગતા જોતા રેડ ક્રોસ સોસાયટીની મદદથી શાસન દ્વારા 1 BHK ઘર પહેલાથી જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. તે અલવાસ વિસ્તારમાં એક આશ્રમમાં પણ રહેતો હતો. તેમ છતા તેણે ભિક્ષાવૃત્તિ ન છોડી.
બચાવ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં માંગીલાલની સંપત્તિની જે વિગતો સામે આવી છે, તે ચોંકાવનારી છે. માંગીલાલ પાસે કુલ 3 પાકા ઘરો છે: ભગતસિંહ નગરમાં 16x45 ફૂટનું 3 માળનું પાકું ઘર, શિવનગર વિસ્તારમાં લગભગ 600 ચોરસ ફૂટમાં બનેલું બીજું પાકું ઘર અને અલવાસ વિસ્તારમાં 10x20 ફૂટનું 1 BHK ઘર. આ સંપત્તિઓની કિંમત લાખોમાં નહીં, પરંતુ વર્તમાન બજાર દરો અનુસાર કરોડોમાં અંદાજવામાં આવી રહી છે.
માત્ર ઘર જ નહીં, માંગીલાલ પાસે 3 ઓટોરિક્ષા પણ છે, જે તે ભાડે આપીને ચલાવડાવે છે. તેની પાસે ડિઝાયર ફોર વ્હીલર પણ છે. રસપ્રદ વાત એ છે કે માંગીલાલ આ કારનો ઉપયોગ પોતે કરતો નથી, પરંતુ તેને ભાડે આપીને ચલાવડાવે છે. પૂછપરછ દરમિયાન માંગીલાલે એ પણ સ્વીકાર્યું કે તેણે સરાફા વિસ્તારમાં ઘણા લોકોને વ્યાજ પર પૈસા આપ્યા છે. તેનું કહેવું હતું કે, તે દરરોજ સરાફા વિસ્તારમાં માત્ર ભીખ માંગવા નહીં, પરંતુ વ્યાજ વસૂલવા પણ જાય છે. માંગીલાલના જણાવ્યા મુજબ, તે વ્યાજ અને ભીખ માંગવાથી દરરોજ 400 થી 500 રૂપિયા કમાય લે છે.
બચાવ દરમિયાન માંગીલાલે પોતાનો બચાવ કરતા કહ્યું કે, તે કોઈને ભીખ માંગવા માટે દબાણ કરતો નથી. લોકો તેની સ્થિતિ જોઈને તેને જાતે પૈસા આપે છે. તે કોઈને મજબૂર કરતો નથી કે ન કોઈ પ્રકારનું દબાણ કરે છે. જો કે, વહીવટીતંત્રનું માનવું છે કે, ભલે બળજબરી ન હોય, પરંતુ ખોટી લાચારી અને અસહાયતાનો ઢોંગ કરીને ભીખ માંગવી પણ ગુનાની શ્રેણીમાં આવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે વ્યક્તિ સંપન્ન હોય.
બચાવ ટીમના નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, સરાફા ક્ષેત્રમાંથી માંગીલાલ વિરુદ્ધ સતત ફરિયાદો મળી રહી હતી. લોકોનું કહેવું હતું કે તે વર્ષોથી ભીખ માંગી રહ્યો હતો, જ્યારે તેની જીવનશૈલી અને ગતિવિધિઓ શંકા ઉત્પન્ન કરતી હતી. આ જ ફરિયાદોના આધારે ટીમે ભિક્ષાવૃત્તિ નાબૂદી અભિયાન હેઠળ કાર્યવાહી કરી અને તેને બચાવ્યો છે. સરકારના નિર્દેશ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર બાબત પર જિલ્લા કાર્યક્રમ અધિકારી શ્રી રજનીશ સિંહાએ જણાવ્યું હતું કે ભીખ માંગવા સામે કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે કોઈ પણ વ્યક્તિ ભિક્ષાવૃત્તિ કરશે અથવા તેને પ્રોત્સાહન આપશે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવા કિસ્સાઓથી સમાજમાં નકારાત્મક સંદેશ જાય છે અને ખરેખર જરૂરિયાતમંદ લોકોના અધિકારો પર પણ અસર પડે છે.

