- Sports
- પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?
પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?
પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી નથી. ટીમ શ્રીલંકામાંથી પોટલા બાંધી ચૂકી છે. પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમ અને મેનેજમેન્ટ પર હવે આરોપોનો વરસાદ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ તો થઇ જ રહી છે, સાથે જ દિગ્ગજ ખેલાડીઓ પણ તેમને સંભળાવવામાં પાછળ નથી. મોહમ્મદ હાફિઝે તો ટીમના ખેલાડીઓ પર નકલી મેડિકલ રિપોર્ટ બનાવડાવવાનો આરોપ પણ લગાવી દીધો છે.
પાકિસ્તાની ટીવી શૉ ટેપમેડમાં હાફિઝે કહ્યું કે, ‘T20 વર્લ્ડ કપમાં થયેલી ફજેતીનું મૂળ કારણ ઘરેલૂ ક્રિકેટ જ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો ખાલી સમયમાં ધરેલૂ ક્રિકેટ રમવાનું પસંદ કરતા નથી. તેના માટે તેઓ નકલી મેડિકલ રિપોર્ટ પણ બનાવડાવે છે. હું અફસોસ સાથે કહી રહ્યો છું કે લોકો પોતે જ નકલી રિપોર્ટ બનાવી લે છે. જ્યારે તેમણે ઘરેલૂ ક્રિકેટ રમવાની હોય છે, ત્યારે અચાનક વર્કલોડ અને ઇજાઓ સામે આવી જાય છે. જ્યારે તેઓ સતત લીગ મેચ રમવા માંગે છે, ત્યારે બધું બરાબર રહે છે.’
હાફિઝે એવો પણ દાવો કર્યો હતો કે, પાકિસ્તાનની ઘરેલૂ ક્રિકેટમાં લાલ બોલ ક્રિકેટમાં સન્માનનો અભાવ છે. તેણે કહ્યું કે, ‘આપણે રેડ-બૉલ ક્રિકેટને તે સન્માન નથી આપી રહ્યા જેના માટે તે હકદાર છે. હું તમને રેડ-બોલ ક્રિકેટનું ઉદાહરણ આપું છું. તમારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા કેપ્ટનને કેટેગરી-Dમાં ઉતારી દેવામાં આવ્યો છે. આ તમારા રેડ-બોલ ક્રિકેટ માટે કેવા પ્રકારનું સન્માન છે?’ પોતાની વાત ચાલુ રાખતા તેમણે કહ્યું કે, ‘T20 ક્રિકેટ પાકિસ્તાન ક્રિકેટને નહીં બચાવે; રેડ-બોલ ક્રિકેટ બચાવશે. તમારે ઘરેલુ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને રેડ-બોલ ક્રિકેટને મહત્ત્વ આપવું પડશે. આ ખેલાડીઓને રેડ-બોલ ક્રિકેટ રમવા માટે કહો. જો તમે આવું નહીં કરો, તો તમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નહીં મળે.’
આ દરમિયાન હાફિઝે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ મોહસીન નકવી પર પણ નિશાન સાધ્યું. તેણે કહ્યું કે, PCBના અધિકારીઓ માત્ર ફોટો ખેંચાવે છે અને તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. અધિકારીઓ હજુ પણ નહીં સ્વીકારે કે તેમનાથી ભૂલ થઇ છે. તેણે કહ્યું કે, એ લોકો ક્યાં છે જેઓ જીત બાદ ફોટો ખેંચાવવા માટે આમતેમ ફરે છે? શું તેઓ પોતાની નિષ્ફળતા સ્વીકારશે?
હાફિઝે કહ્યું કે, શું તેઓ આગળ આવીને કહેશે કે, હા, અમે નિર્ણયો લીધા અને અમારાથી ભૂલો થઇ હતી? આવું કોઈ નહીં કરે. એવું ક્યારેય થયું જ નથી. દોષ બીજા પર ઢોળી દેવામાં આવશે. મારા માટે, અસલી મુદ્દો આ છે કે, જો તમે સફળતા તરફ આગળ ત્યારે વધશો જ્યારે તમારી ભૂલો સ્વીકારશો. તેણે આગળ કહ્યું કે, નકવીએ એમ નથી કહ્યું કે, જુઓ, મારાથી ભૂલો થઇ રહી છે. હું યોગ્ય રીતે કરી શકતો નથી. હું મારી સમસ્યાઓનું નિરાકરણ લાવીશ. ન તો વહીવટીતંત્ર આ વાત માની રહ્યું છે કે ન તો ખેલાડીઓ.
પાકિસ્તાન ગયા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું, સુપર-8 સ્ટેજ સુધી પણ પહોંચી શક્યું નહોતું. આ વખતે, ટીમ સુપર-8 સ્ટેજથી આગળ ન જઈ શકી.

