- National
- વિપક્ષ હંગામો મચાવી રહ્યું છે તે નવા FCRA બિલમાં એવું શું છે?
વિપક્ષ હંગામો મચાવી રહ્યું છે તે નવા FCRA બિલમાં એવું શું છે?
વિદેશી યોગદાન નિયમન (FCRA) સુધારા બિલ 2026ને લગતો રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. વધતા રાજકીય વિવાદને જોતા, સરકારે બિલને અસ્થાયી રૂપે મુલતવી રાખ્યું છે, અને તે આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે નહીં. જ્યારે, કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોએ, તે લઘુમતીઓ અને NGOs વિરુદ્ધ છે, તેવું બતાવીને તેને 'કાળો કાયદો' ગણાવ્યો છે.
આના જવાબમાં, વિપક્ષી સાંસદોએ બુધવારે સંસદના મકર દ્વાર ખાતે વિદેશી યોગદાન (નિયમન) (FCRA) સુધારા બિલ, 2026 સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના મહાસચિવ K.C. વેણુગોપાલે પાર્ટીના સાંસદોને તાત્કાલિક દિલ્હી પહોંચવાનો નિર્દેશ આપ્યો અને BJP પર ચૂંટણીની મોસમ દરમિયાન બળજબરીથી બિલ લાદવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ અને અનેક વિપક્ષી પક્ષો હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે BJP સંસદમાં FCRA સુધારા બિલ પસાર કરાવવાની યોજના બનાવી રહી છે.
કોંગ્રેસના મહાસચિવે કહ્યું, 'આ સ્પષ્ટપણે ગેરબંધારણીય કાયદો છે, જે બિન-સરકારી સંસ્થાઓ (NGO) અને સમુદાય સંગઠનોને બરબાદ કરી નાખશે, ખાસ કરીને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત. અમે BJPને આ કઠોર બિલ દ્વારા પ્રામાણિક સંસ્થાઓ પર દબાણ લાવવાની મંજૂરી આપીશું નહીં.'
K.C. વેણુગોપાલે કોંગ્રેસના સાંસદોને તાત્કાલિક દિલ્હી પહોંચીને સંસદમાં હાજર થવા જણાવ્યું છે. કોંગ્રેસ સવારે 10:00 વાગ્યે સંસદની બહાર આ બિલનો વિરોધ કરશે, અમે તેને કોઈપણ સંજોગોમાં પસાર થવા દઈશું નહીં.'
કોંગ્રેસના સાંસદ હિબી એડને આ બિલને 'ખુબ જ કઠોર કાયદો' ગણાવ્યો હતો, અને કહ્યું કે, તે માત્ર લઘુમતીઓ જ નહીં પરંતુ દેશભરના NGOના હિતોને પણ નુકસાન પહોંચાડશે.
એક સમાચાર એજન્સી સાથે વાત કરતા તેમણે બિલ પાછું ખેંચવાની માંગ કરી. દરમિયાન, RSP સાંસદ N.K. પ્રેમચંદ્રને આરોપ લગાવ્યો કે, આ કોઈ એક સમુદાય માટે વિશિષ્ટ મુદ્દો નથી, પરંતુ લઘુમતીઓના અધિકારો છીનવી લેવાનો BJPનો આયોજિત એજન્ડા છે.
સાંસદ ધર્મવીર ગાંધીએ પણ બિલનો વિરોધ કરતા કહ્યું કે, નિર્ણયો ન્યાયી હોવા જોઈએ અને પસંદગીપૂર્વક કોઈને પણ નિશાન બનાવવાને બદલે, સમાજના તમામ વર્ગોને લાભદાયક હોવા જોઈએ.
કોંગ્રેસ માને છે કે BJP આ કાયદા દ્વારા પ્રામાણિક સંસ્થાઓ પર દબાણ લાવવાનો હેતુ ધરાવે છે. વિપક્ષે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ કોઈપણ સંજોગોમાં બિલ પસાર થવા દેશે નહીં અને ગુરુવારે સવારે સંસદની બહાર ભારે વિરોધ કરશે.
વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ 2010માં સુધારો કરતું આ બિલ 25 માર્ચ, 2026ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તેનો જાહેર હેતુ વિદેશી ભંડોળની પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. સરકાર દલીલ કરે છે કે, આ બિલનો હેતુ વિદેશી ભંડોળના દુરુપયોગ, ખાસ કરીને બળજબરીથી ધર્માંતરણ અને વ્યક્તિગત લાભ માટે ભંડોળના દુરુપયોગને રોકવાનો છે. પરંતુ આ બાજુ, વિપક્ષ દલીલ કરે છે કે આ કાયદો લઘુમતી સંચાલિત સંસ્થાઓ અને NGOનો નાશ કરી દેશે.

