- National
- અમદાવાદ પ્લેન ક્રેશ: દિવંગત પાયલોટના ભત્રીજાને સમન્સ મોકલાતા પાયલોટ સંગઠન ગુસ્સે
અમદાવાદ પ્લેન ક્રેશ: દિવંગત પાયલોટના ભત્રીજાને સમન્સ મોકલાતા પાયલોટ સંગઠન ગુસ્સે
ગયા વર્ષે અમદાવાદમાં થયેલા ભયાનક એર ઈન્ડિયા પ્લેન ક્રેશ (AI 171)ની તપાસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કેપ્ટન સુમીત સભરવાલના ભત્રીજા કેપ્ટન વરુણ આનંદને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવતા વિવાદ છેડાયો છે. પાયલોટોના સંગઠન 'ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલોટ્સ' (FIP) એ આ પગલાને અનુચિત ગણાવી કાયદેસરની નોટિસ ફટકારી છે.

એર ઈન્ડિયામાં પાયલોટ અને FIPના સભ્ય એવા કેપ્ટન વરુણ આનંદને AAIB એ 15 જાન્યુઆરીના રોજ તપાસ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો હતો. આ અંગે પાયલોટ સંગઠને નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે- સમન્સમાં હાજર થવા પાછળનું કોઈ કાયદેસરનું કારણ કે હેતુ દર્શાવવામાં આવ્યો નથી. કેપ્ટન આનંદનો આ વિમાન દુર્ઘટના સાથે સીધો કોઈ સંબંધ નથી, તેમ છતાં તેમને બોલાવવા તે ઉત્પીડન સમાન છે. એક દુઃખદ ઘટના બાદ પરિવારના સભ્યને આ રીતે સમન્સ મોકલવો તે માનસિક પીડા આપવા જેવું છે અને તેનાથી પાયલોટની છબીને નુકસાન થઈ શકે છે.
સંગઠને સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે કેપ્ટન આનંદ તે ફ્લાઇટ કે ઘટના સાથે જોડાયેલા નહોતા, તો તેમને કયા આધારે બોલાવવામાં આવી રહ્યા છે? જોકે, આ વિરોધ છતાં કેપ્ટન વરુણ આનંદે તપાસમાં સહયોગ આપવાની ખાતરી આપી છે. તેમણે તપાસ એજન્સીના પ્રશ્નોના જવાબ આપવા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવા સંમતિ દર્શાવી છે.

યાદ અપાવી દઈએ કે 12 જૂન, 2025 ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 મેઘાણીનગર વિસ્તારમાં આવેલી એક મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં 241 મુસાફરો સહિત કુલ 265 લોકોના મોત થયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર એકમાત્ર એવા મુસાફર હતા જેઓ ચમત્કારિક રીતે જીવતા બચ્યા હતા. આ મામલે AAIB હવે શંકાના દાયરામાં છે કે શું તેઓ તપાસના નામે પાયલોટો પર ખોટું દબાણ બનાવી રહ્યા છે?

