- National
- IAS અધિકારીએ કોઈપણ ખર્ચા વગર કલેક્ટર ચેમ્બરમાં કરી લીધા લગ્ન
IAS અધિકારીએ કોઈપણ ખર્ચા વગર કલેક્ટર ચેમ્બરમાં કરી લીધા લગ્ન
ઉત્તર પ્રદેશના બરેલીના IAS અધિકારી અદિતિ વાર્ષ્ણેયના લગ્નના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અદિતિ એક IAS અધિકારી છે. તેમણે એક IAS માધવ ભારદ્વાજ સાથે લગ્ન કર્યા. કલેક્ટર કચેરી તેમના લગ્નની સાક્ષી બન્યું હતું. બંને IAS અધિકારીઓએ એકબીજાને વરમાળા પહેરાવી અને લગ્ન કરી લીધા, બંને એકબીજા સાથે સાત જન્મના બંધનમાં બંધાઈ ગયા. કોઈપણ અધિકારીના લગ્ન આમ પણ ચર્ચાનો વિષય બની જતા હોય છે. શાનદાર સમારોહ અને તેની આખો આંજી દેતી ઝાકમજોળ ઘણીવાર બધાને આશ્ચર્યચકિત કરે છે. જોકે, આ IAS દંપતી અદિતિ અને માધવના આવા સાદગીભર્યા લગ્નનો અંદાજ આશ્ચર્યજનક રહ્યો હતો.
અદિતિ અને માધવના લગ્નનું સ્થળ રાજસ્થાનનું અલવર કલેક્ટર કચેરી ચેમ્બર હતું. અહીંયા આ લગ્નમાં ન તો કોઈ બેન્ડ, ન કોઈ પૂજારી આવ્યા કે ન મંત્રોનો કોઈ જાપ હતો. આ લગ્નમાં કોઈ જાનૈયાઓ પણ હાજર રહ્યા ન હતા. કન્યા અને વરરાજાના પરિવારો તેમની સાથે કલેક્ટર કચેરી ગયા હતા. તેઓએ કોર્ટ મેરેજ કરીને જીવનભર સાથે રહેવાના વચનો આપ્યા. IAS અધિકારી અદિતિ, ગુજરાતના જામનગરના SDM છે. જ્યારે IAS માધવ ભારદ્વાજ, અલવરના SDM છે. માધવ એક દિવ્યાંગ વ્યક્તિ છે.
અદિતિ વાર્ષ્ણેય અને માધવ ભારદ્વાજ 2023 બેચના IAS અધિકારીઓ છે. તેઓ બંને તાલીમ દરમિયાન મળ્યા, નજીક આવ્યા અને પ્રેમ સંબંધ થઇ ગયો. હવે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારપછી લગ્ન સમારંભ સાદગીપૂર્વક પૂરો કરવામાં આવ્યો. આ દંપતીએ અલવર જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. અર્તિકા શુક્લાના ચેમ્બરમાં પોતાના કોર્ટ મેરેજની પ્રક્રિયા પુરી કરી હતી.
બંને IAS અધિકારીઓ વચ્ચે કોર્ટ મેરેજ થયાના સમાચાર ફેલાતાં જ, નવદંપતીને જોવા માટે અલવર કલેક્ટર ઓફિસ ખાતે ભીડ એકઠી થઈ ગઈ. તેમણે કલેક્ટરના ચેમ્બરમાં જ એકબીજાને વરમાળા પહેરાવી. લગ્નમાં ફક્ત તેમના માતાપિતા અને ભાઈ-બહેન હાજર હતા. લગ્ન પછી, નવદંપતી કલેક્ટરેટ પરિસરમાં પાર્ક કરેલી કાળી કારમાં રવાના થયા.
અદિતિ અને માધવ પ્રથમ વખત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં તાલીમ દરમિયાન મળ્યા હતા. બંનેના વિચાર એક સમાન હતા. વહીવટી સેવામાં રહીને સાદું જીવન જીવવાના વિચારે તેમની મિત્રતાને પ્રેમમાં પરિવર્તિત કરી. અહીંથી તેમની પ્રેમકથા શરૂ થઈ. બંને અધિકારીઓએ નક્કી કર્યું હતું કે તેઓ તેમના લગ્નમાં નકામા ખર્ચથી દૂર રહેશે. અધિકારીઓ અને યુવાનોની નવી પેઢીને સાદગીનો સંદેશ આપવા માટે તેમણે સાદગીભર્યા લગ્ન કર્યા હતા. હવે તેની ચર્ચા થઈ રહી છે.

