- National
- હિમાચલમાં આર્થિક સંકટ! મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓના પગારમાં મુકાયો ‘કાપ’
હિમાચલમાં આર્થિક સંકટ! મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓના પગારમાં મુકાયો ‘કાપ’
હિમાચલમાં આર્થિક સંકટ વધુ ઘેરું બનવા લાગ્યું છે. રાજ્ય સરકારે હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓના પગારના કેટલાક હિસ્સાને 6 મહિના માટે મુલતવી રાખ્યો છે. પ્રવર્તમાન નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હિમાચલ પ્રદેશ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ‘નાણાકીય અનુશાસન’ હેઠળ મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોથી લઈને વરિષ્ઠ અધિકારીઓના પગારનો એક ભાગ આગામી 6 મહિના માટે અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવશે. બજેટમાં જાહેરાત મુજબ, મુખ્યમંત્રીના પગારના 50 ટકા, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોના પગારના 30 ટકા અને ધારાસભ્યોના પગારના 20 ટકા 6 મહિના માટે રોકવામાં આવશે.
આ ઉપરાંત બધા ચેરમેન, વાઇસ ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને રાજકીય રીતે નિયુક્ત સલાહકારોના પગારના 20 ટકા પણ આ જ સમયગાળા માટે મુલતવી રહેશે. આ પગલું વહીવટી સ્તરે પણ લાગૂ પડશે. મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવો અને તમામ મુખ્ય સચિવોના પગારના 30 ટકા રોકી દેવામાં આવશે, જ્યારે સચિવો અને વિભાગોના વડાઓ (HoDs)ના પગારના 20 ટકા હિસ્સાને મુલતવી રાખવામાં આવશે.
પોલીસ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પર પણ તેની અસર પડશે. DGP અને ADGPના પગારના 30 ટકા, જ્યારે IG, DGO, SSP અને SP રેન્ક સુધીના અધિકારીઓના 20 ટકા પગાર મોકૂફ રાખવામાં આવશે. તેવી જ રીતે વન વિભાગમાં, PCCF અને એડિશનલ PCCFના પગારના 30 ટકા અને CCF, CF અને DFO રેન્ક સુધીના અધિકારીઓના પગારના 20 ટકા પગાર રોકી દેવામાં આવશે.
ગ્રુપ-A અને ગ્રુપ-B અધિકારીઓના પગારનો 3 ટકા ભાગ પણ 6 મહિના માટે મુલતવી રાખવામાં આવશે. જોકે, ગ્રુપ-C અને ગ્રુપ-D કર્મચારીઓને આનાથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે અને તેમણે તેમનો સંપૂર્ણ પગાર મળતો રહેશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સરકાર તરફથી ગ્રાન્ટ અથવા બજેટ સહાય મેળવતા બોર્ડ, કોર્પોરેશન, PSU, સ્વાયત્ત સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સરકારના નિર્દેશ અનુસાર આ નિર્ણયનો અમલ કરે તેવી અપેક્ષા છે.
ન્યાયતંત્રની સ્વતંત્રતાનો આદર કરતા સરકારે આશા વ્યક્ત કરી છે કે, વર્તમાન નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટ માર્ગદર્શન આપશે અને જિલ્લા અને અધિક જિલ્લા ન્યાયાધીશોના સ્તરે 20 ટકા પગાર અને ન્યાયિક સંસ્થાઓમાં ગ્રુપ-A અને ગ્રુપ-B અધિકારીઓ માટે 3 ટકા પગાર કામચલાઉ મુલતવી રાખવા અંગે સંમતિ આપશે. મુખ્યમંત્રીએ ન્યાયતંત્રને આગ્રહ કર્યો છે કે તેઓ પોતાની વિવેકબુદ્ધિથી 30 ટકા સુધી પગાર મુલતવી રાખવાનો વિચાર કરે. મુખ્યમંત્રીએ બજેટ ભાષણમાં એ પણ સ્પષ્ટ કર્યું કે આ વ્યવસ્થા કામચલાઉ છે; નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થવા પર રકમ પરત કરી દેવામાં આવશે.

