- National
- પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું
પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું
મધ્ય પ્રદેશના મુરેનામાં પતિ-પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડામાં પતિ એટલો ગુસ્સે થયો કે તેણે તેની પત્ની અને બે નાના બાળકોનો કુહાડીથી જીવ લઇ લીધો અને ત્યારબાદ ટ્રેન આગળ કૂદીને તેણે પણ જીવન ટૂંકાવી લીધું. આ ઘટના માતા બસૈયા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના કિશનપુર ગામમાં બની. શનિવારે સવારે ઘટનાની જાણ થતા પડોશીઓએ પોલીસને જાણ કરી, જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હાલમાં તપાસ કરી રહી છે.
દૈનિક જાગરણના અહેવાલ મુજબ, કિશનપુર ગામના રહેવાસી બલરામ (હરિચરણ કુશવાહાના પુત્ર) તેની પત્ની રવિતા (30) સાથે વિવાદ ચાલી રહ્યો હતો. જેને કારણે તે થોડા દિવસથી કુતવાર ગામમાં તેના પિયરે રહેતી હતી. બે દિવસ પહેલા બલરામ અને અન્ય લોકો પંચાયતની બેઠક બાદ તેને કિશનપુર ગામમાં પાછી લાવ્યા હતા.
શુક્રવારે રાત્રે, બલરામ અને રવિતા વચ્ચે ફરી એક ઝઘડો થયો. ગુસ્સે ભરાયેલા બલરામે રવિતા અને પોતાના બાળકો આરવ (10) અને અતુલ (7) પર તાબડતોપ કુહાડી વડે હુમલો કર્યો, જેનાથી તેમના જીવ જતા રહ્યા. ત્યારબાદ તે ઘરમાંથી ફરાર થઇ ગયો. બીજા દિવસે સવારે જ્યારે બલરામના ઘરના દરવાજા બંધ હતા, ત્યારે પડોશીઓએ તપાસ કરી તો આંગણામાં માતા અને તેના બે બાળકોના લોહીથી લથપથ મૃ*તદેહ પડેલા હતા; પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી. બીજી તરફ, શનિવારે સવારે જાણવા મળ્યું કે બલરામે પણ શિકારપુર રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન આગળ કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. પોલીસ હાલમાં ઘટનાસ્થળની તપાસ કરી રહી છે.
એવું કહેવાય છે કે મૃતક બલરામ તેની પત્ની રવિતાના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો. થોડા સમય પહેલા, કિશનપુરમાં આયોજિત ભાગવત કાર્યક્રમ દરમિયાન, રવિતાએ સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. કાર્યક્રમમાં હાજર પરિવારના કોઈ નજીકના વ્યક્તિએ તેના પ્રદર્શનનો વીડિયો રેકોર્ડ કરીને બલરામને મોકલ્યો હતો.
આ વીડિયો જોયા પછી, બલરામને તેની પત્ની પર શંકા વધુ ઘેરી બની અને તે વારંવાર તેની સાથે ઝઘડવા લાગ્યો. વિવાદ વધતા રવિતા થોડા સમય માટે તેના પિયરે પણ જતી રહી હતી, પરંતુ બલરામનો રોષ અને દ્વેષ ઓછો થયો નહીં. એવું કહેવાય છે કે તેણે ડાન્સનો વીડિયો નજીકના સંબંધીઓને મોકલ્યો હતો અને તેની પત્ની વિશે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ લખીને મેસેજ પણ મોકલ્યા હતા.
ઘટનાક્રમ સાથે જોડાયેલો મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ:
બચાવ માટે સખત સંઘર્ષ- ગુના સ્થળની સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે મૃતક, રવિતાએ પોતાને અને તેના બાળકોને બચાવવા માટે સખત સંઘર્ષ કર્યો હતો. તેનો મૃતદેહ ખાટલાથી લગભગ 20 ફૂટ દૂર મળી આવ્યો હતો.
ઘટનાસ્થળેથી કુહાડી મળી- તપાસ દરમિયાન, પોલીસને ગુનામાં વપરાયેલી લોહીથી લથપથ કુહાડી ઘરની અંદર જ મળી આવી હતી.
માતા ઘર બહાર સૂઈ રહી હતી- ઘટનાની રૂવાડા ઉભા કરી દેનારી વાત એ છે કે, મૃતક બલરામની માતા રામકલી, આખી રાત ઘરની બહાર સૂઈ રહી હતી પરંતુ અંદર થયેલા હત્યાકાંડથી સંપૂર્ણપણે અજાણ હતી.
દૂધવાળો આવ્યો ત્યારે રહસ્ય ખૂલ્યુ- શનિવારે સવારે જ્યારે દૂધવાળો આવ્યો અને તેણે ઘરની અંદર કોઈ ગતિવિધિ ન જોઇ ત્યારે આ ભયાનક હત્યાનો ખુલાસો થયો.

