- National
- રાજધાની એક્સપ્રેસ મોડી પહોંચી તો છૂટી ગઇ ફ્લાઇટ; મુસાફરે હવે રેલવે પાસેથી રૂ. 69,000 કઢાવ્યા
રાજધાની એક્સપ્રેસ મોડી પહોંચી તો છૂટી ગઇ ફ્લાઇટ; મુસાફરે હવે રેલવે પાસેથી રૂ. 69,000 કઢાવ્યા
જો તમે ભારતીય રેલવેની સૌથી પ્રીમિયમ ટ્રેન રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરો અને તે તમારા ગંતવ્ય સ્થાને ચાર કલાક મોડી પહોંચે છે, જેના કારણે તમે તમારી ફ્લાઇટ ચૂકી જાઓ, તો તમે શું કરશો? સામાન્ય રીતે, મોટાભાગના લોકો કંઈ કરશે નહીં, કારણ કે આવા વિલંબ એટલા સામાન્ય બની ગયા છે, પરંતુ કોટાના એક દંપતીએ ટ્રેનના વિલંબને કારણે થયેલી નાણાકીય અને માનસિક તકલીફને ગંભીરતાથી લીધી, અને જિલ્લા ગ્રાહક ફોરમના દરવાજા ખખડાવ્યો.
ગ્રાહક ફોરમના ચૂકાદા બાદ, રેલવેએ હવે ₹69,000નું વળતર ચૂકવવું પડશે. ત્યારબાદ રેલવેએ આ નિર્ણયને રાજ્ય ગ્રાહક ફોરમમાં અપીલ કરી, પરંતુ ત્યાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો. કેસની સંપૂર્ણ વિગતો જાણી લો, તમને પણ કોઈ દિવસ ઉપયોગી સાબિત થઈ શકે છે.
કોટાના રહેવાસી અનિલકુમાર રાણા અને તેની પત્ની અનિતા રાણાએ 17 ડિસેમ્બર, 2017 માટે દિલ્હીથી ત્રિવેન્દ્રમ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ બુક કરાવી હતી. આ ટિકિટ 9 નવેમ્બર, 2017 ના રોજ ખૂબ અગાઉથી બુક કરાવી હતી, જેના માટે તેમણે 33,929 રૂપિયા ચૂકવ્યા હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તેમની ફ્લાઇટ પકડવા માટે દંપતીએ 17 ડિસેમ્બરની સવારે કોટાથી દિલ્હી જવા માટે રેલવેની પ્રીમિયમ ટ્રેન નંબર 12431, રાજધાની એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી હતી.
રાજધાની એક્સપ્રેસ કોટાથી સવારે 6:55 વાગ્યે ઉપડવાની હતી અને બપોરે 12:40 વાગ્યે દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર પહોંચવાની હતી. રાણા દંપતીની ફ્લાઇટ સાંજે 6:05 વાગ્યાની હતી, એટલે કે તેમની પાસે પૂરતો સમય હતો. જોકે, ટ્રેન ચાર કલાકથી મોડી સાંજે 4:50 વાગ્યે નિઝામુદ્દીન પહોંચી. જ્યારે તેઓ ટ્રેનમાંથી ઉતર્યા અને એરપોર્ટ પહોંચ્યા, ત્યારે તેમની ફ્લાઇટ રવાના થઈ ગઈ હતી.
તેમની ફ્લાઇટ ચૂકી જવાને કારણે દંપતીને હોટલમાં રાત વિતાવવાની ફરજ પડી હતી. બીજા જ દિવસે, તેમણે ટિકિટ બુક કરાવી જેનો ખર્ચ તેમને ₹72,930નો પડ્યો. મૂળ ભાડા કરતાં બમણાથી વધુ. મગજ ખરાબ થયું તે અલગ. કોટા પરત ફર્યા બાદ રાણાએ માર્ચ અને સપ્ટેમ્બર 2018માં રેલવેને લેખિતમાં નુકસાનની ભરપાઇ કરવાની માંગ કરી, પરંતુ તેને કોઈ રાહત મળી નહીં. હતાશ થઈને, તેમણે ડિસેમ્બર 2018માં રેલવેને કાનૂની નોટિસ ફટકારી. ત્યારબાદ, તેમણે કોટામાં જિલ્લા ગ્રાહક આયોગમાં કેસ દાખલ કર્યો.
રેલવેએ આ કેસનો વિરોધ કર્યો, દલીલ કરી કે ટ્રેનમાં વિલંબ ઓપરેશનલ, ટેકનિકલ અને સલામતી સંબંધિત કારણોસર થાય છે. રેલવેના મતે આમાં સેવામાં ખામીનો કેસ નથી. જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. ઓગસ્ટ 2023માં, કોર્ટે રેલવેને રાણા દ્વારા હવાઈ ટિકિટ માટે કરવામાં આવેલા વધારાના ખર્ચમાં ₹39,001ની ભરપાઈ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત, કોર્ટે હેરાનગતિ અને માનસિક પરેશાની માટે વળતર તરીકે ₹20,000, હોટલ ખર્ચ માટે ₹5,000 અને કેસના ખર્ચ માટે ₹5,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કુલ મળીને, રેલવેને ₹69,001નો નાણાકીય ફટકો પડ્યો.
રેલ્વેએ આની અપીલ રાજ્ય ગ્રાહક મંચમાં અપીલ કરી; જોકે, ન્યાયિક સભ્ય નિર્મલ સિંહ મેડવાલ અને સભ્ય કરુણા જૈને પશ્ચિમ મધ્ય રેલવે (WCR) દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી. હવે, રેલવેએ ₹69,000નું વળતર ચૂકવવું પડશે.

