- Gujarat
- સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી
સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી હોવાનો આક્ષેપ કરી, રૂ. 15 લાખના વળતરની માંગણી કરતી ફરિયાદ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ આર. એલ. ઠક્કર અને સભ્ય પૂર્વીબેન જોષીની બેન્ચે રદ કરી છે. કમિશને ઠરાવ્યું છે કે ડોક્ટરોની સેવામાં કોઈ જ ખામી કે બેદરકારી જણાઈ આવતી નથી.
કેસની વિગત મુજબ એક ફરિયાદીએ સ્મીમેર હોસ્પિટલના તબીબો (ડો. તેજલ ચૌધરી અને ડો. મોહન અરોરા વગેરે) વિરુદ્ધ ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ મુજબ, તેમની પુત્રીને દાંતમાં દુખાવો થતાં તા. 16/06/2015 ના રોજ સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગમાં બતાવવામાં આવ્યું હતું. ત્યાં ડો. તેજલ ચૌધરીએ તપાસ કરીને એક્સ-રે કરાવ્યો હતો. ફરિયાદીનો આક્ષેપ હતો કે તેમની પુત્રીને જમણી બાજુની પહેલી દાઢમાં સડો અને રૂટમાં ઈન્ફેક્શન હોવાથી તે કાઢવી જરૂરી હતી, પરંતુ તબીબોએ કેસ પેપર્સમાં ભૂલથી અને બેદરકારીથી જમણીને બદલે ડાબી બાજુની દાઢ કાઢવાનું લખી દીધું હતું. જેના આધારે ડાબી બાજુની દાઢ કાઢી ટાંકા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ અસહ્ય દુખાવો ચાલુ રહેતા અન્ય ડેન્ટીસ્ટ પાસે એક્સ-રે કરાવતા જમણી બાજુની દાઢની તકલીફ હોવાનું સામે આવ્યું હતું. આથી શારીરિક-માનસિક ત્રાસના વળતર પેટે રૂ. 15 લાખ અને ખર્ચના રૂ. 50,000/- ની માંગણી કરવામાં આવી હતી.
ડો. મોહન અરોરા તરફથી એડવોકેટ શ્રેયસ દેસાઈ અને ડો. તેજલ ચૌધરી તરફથી રજૂ થયેલા બચાવમાં ગ્રાહક અદાલત સમક્ષ મુખ્ય ચાર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
1. ટેકનિકલ મુદ્દો : જેની સારવાર થઈ હતી, પરંતુ તેઓ પોતે ફરિયાદમાં જોડાયા ન હતા અને તેમના વતી પિતાએ ફરિયાદ કરી હતી, જેથી કાયદાકીય રીતે આ ફરિયાદ ટકી શકે તેમ ન હતી.
2. એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ: આ કેસમાં સ્મીમેર હોસ્પિટલ દ્વારા ખાસ નીમવામાં આવેલી ડોક્ટરો/પ્રોફેસરોની 'ટેકનિકલ એક્સપર્ટ કમિટી' એ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે સારવારમાં કોઈ જ તબીબી બેદરકારી થઈ નથી.
3. ડેન્ટલ કાઉન્સિલનો નિર્ણય: સામાવાળા ડોક્ટરો વિરુદ્ધ 'ગુજરાત સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલ' માં પણ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, કાઉન્સિલે પણ તબીબોની સારવારમાં કોઈ ભૂલ કે બેદરકારી ન જણાતા આ ફરિયાદ દફતરે કરી હતી.
4. તબીબી વાસ્તવિકતા અને એક્સ-રે રિપોર્ટ: તા. 16/06/2015 ના રોજ લેવાયેલા એક્સ-રે ના અવલોકન મુજબ દર્દીને જમણી તેમજ ડાબી બંને બાજુની દાઢમાં સડો અને તકલીફ હતી. આથી સારવારના ભાગરૂપે પ્રથમ ડાબી બાજુની સડેલી દાઢ ડો. તેજલ ચૌધરી દ્વારા કાઢવામાં આવી હતી, જેમાં ઓપરેશન દરમિયાન કોઈ ભૂલ, બેદરકારી કે ક્ષતિ ન હતી.
સુરત જિલ્લા ગ્રાહક કમિશને તમામ પુરાવાઓ ધ્યાને લઈ ઠરાવ્યું કે, ફરિયાદી પોતાની દીકરીની ડેન્ટલ ટ્રીટમેન્ટમાં સામાવાળા તબીબો કે હોસ્પિટલ પક્ષે કોઈ પણ પ્રકારની બેદરકારી હોવાનું રેકોર્ડ પર પુરવાર કરી શક્યા નથી. આથી કમિશને આ ફરિયાદ રદ કરતો આખરી હુકમ કર્યો છે.

