- National
- ગડકરીજી અમેરિકા જેવા રસ્તા પછી બનાવજો, પહેલા જે છે એને સારા કરો, 4 હજાર કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસ...
ગડકરીજી અમેરિકા જેવા રસ્તા પછી બનાવજો, પહેલા જે છે એને સારા કરો, 4 હજાર કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસવે પર 18 દિવસમાં 84 સ્થળોએ ધસ્યો
નીતિન ગડકરીએ જુલાઇમાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અમેરિકા જેવા જ હશે. હું તમને આ વચન આપવા માંગુ છું. કેન્દ્રીય પરિવહન મંત્રીએ લખનૌ-કાનપુર એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે આ ભાષણ આપ્યું હતું. જોકે, તેમનો દાવો માત્ર 18 દિવસમાં ખોટો સાબિત થયો. પરિસ્થિતિ એવી છે કે 63 કિમી લાંબો એક્સપ્રેસવે ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં 84 સ્થળોએ ધસી ચૂક્યો છે. NHAIએ બાંધકામ કંપની, PNC ઇન્ફ્રાટેક લિમિટેડને 'નોન-પર્ફોર્મર' જાહેર કરવી પડી. કંપનીના ત્રણ અધિકારીઓને દૂર કરવામાં આવ્યા હતા, અને કંપની પર આગામી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે, IIT ખડગપુરની એક ટીમ એક્સપ્રેસવેની તપાસ કરશે.
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, એકસ્પ્રેસની કાનપુર લેન પર 39 સ્થળોએ અને લખનૌ જલેન પર 45 સ્થળોએ પેચવર્ક હાથ ધરવામાં આવ્યું છે. એટલે કે આખા એક્સપ્રેસવે પર રોડ ધસવાને કારણે એક્સપ્રેસ વે પર કુલ 84 સ્થળોએ સમારકામની જરૂર પડી હતી. લખનૌથી ઉન્નાવ જતી લેન ઇઝરાયલ ખેડા પર ફરીથી બંધ કરવી પડી. ત્યાં 200 મીટરના વિસ્તારમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ વરસાદને કારણે ફરી ખાડો પડી ગયો.
લખનૌથી 30 કિમી દૂર આવેલા રસ્તાના 100 મીટરના ભાગને ફરીથી બનાવવો પડ્યો. 400 મીટર આગળના બીજા નાના ભાગને પણ ડામર-કપચી નાખીને સમારકામ કરવામાં આવ્યું. આ જ જગ્યાએ કાનપુરથી લખનૌ તરફ જતી બીજી લેન પર, મજૂરો રસ્તાના એક ભાગનું સમારકામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે 30 જુલાઈના રોજ, કપચીથી ભરેલી એક ટ્રક ધસી ગઈ હતી; જ્યારે વ્હીલ બહાર કાઢવામાં આવ્યું ત્યારે આખો ટ્રક પલટી ગયો. NHAIએ આશરે 1,000 ચોરસ ફૂટનો વિસ્તાર ખોદ્યો, 2 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો અને રસ્તો ફરીથી બનાવ્યો. લગભગ 12 કલાક પછી તે જ જગ્યાએ 1 થી 2 ઇંચની તિરાડ પડી ગઇ.
જે ટ્રક પલટી ગઈ હતી તે હમીરપુરના ગોલુ કુમારની હતી. ગોલુ કુમારે કહ્યું કે, આ લોકો અમારી સામે જ બે ઇંચ કપચી અને બે ઇંચ ડામર નાખીને રસ્તો બનાવી રહ્યા છે. આ લોકોના પૈસાનો બગાડ છે. અમારી ટ્રક આ જ રસ્તા પર ફસાઈ ગઈ હતી; પલટી જવાથી અમારા માલિકને ₹1.5 લાખનું નુકસાન થયું.
અહીં આગળ જાણવા મળ્યું કે 15 કિલોમીટર લાંબા રસ્તા પર 18 અલગ અલગ પોઇન્ટ પર રસ્તો ફરીથી બનાવવામાં આવ્યો હતો. 45 કિલોમીટરના બોર્ડ પાસે, લગભગ 1,000 ચોરસ ફૂટ વિસ્તારના રસ્તાના ઉપરના હિસ્સાને ફરીખી ખોદવામાં આવ્યો અને ડામર નાખીને તેને બનાવવામાં આવ્યો હતો. બાંધકામ કરી રહેલા કર્મચારીઓએ નામ ન આપવાની શરતે સ્વીકાર્યું કે આ રસ્તો એટલો મજબૂત નથી.
એક્સપ્રેસવે પર 68 કિલોમીટરના બોર્ડ નજીક, રસ્તાની બાજુ બનેલો 'શોલ્ડર' ધસી ગયો હતો. આ શોલ્ડર વરસાદી પાણીના વહેણને કારણે મુખ્ય વાહન માર્ગના ધોવાણને ઘટાડવા માટે બનાવવામાં આવ્યો છે. અહીં વરસાદી પાણીને કાઢવા માટે બનાવાયેલ ડ્રેનેજ ચેનલ પણ તૂટી ગઈ હતી. એક્સપ્રેસવે ઉન્નાવના આઝાદનગર ખાતે સમાપ્ત થાય છે.
એક્સપ્રેસવેનો રસ્તો ધસવા પર ટિપ્પણી કરતા, લખનૌના એક વરિષ્ઠ ઇજનેર શૈલેન્દ્ર સિંહે કહ્યું કે, એવું લાગે છે કે માટીનો પાયો નાખવામાં અનિયમિતતાઓ હતી. સામાન્ય રીતે માટી 50-સેન્ટિમીટર સ્તરોમાં નાખવામાં આવે છે જે રોલિંગ પછી 40 સેન્ટિમીટર રહી જાય છે; પરંતુ, અહીં, એવું લાગે છે કે વચ્ચે-વચ્ચે 1 થી 2 મીટર માટી જથ્થાબંધ રીતે નાખવામાં આવી હતી.
આઝાદનગરથી પાંચ કિલોમીટર દૂર, અમને વાહનમાં અસામાન્ય ઉછળવાની સંવેદનાનો અનુભવ થયો. અહીં NHAIએ રસ્તાનું સમારકામ ત્રણ કે ચાર દિવસ પહેલા જ કર્યું હતું, છતા હાલત ફરીથી બગડી ગઈ હતી. 10 કિમીની મુસાફરીમાં અમે આઠ સ્થળો એવા મળ્યા, જ્યાં રસ્તાની આ જ સ્થિતિ જોવા મળી. 64 કિમીના બોર્ડ નજીક, રસ્તા પર આજુબાજુ ઉંચી હતી, જેના કારણે વચ્ચે લગભગ એક ફૂટ ઊંડો ખાડો થઇ ગયો હતો. આ અંગે ખબર પડી કે આ જ જગ્યાએ થોડા દિવસ પહેલા રસ્તો બનાવવામાં આવ્યો હતો.
એક્સપ્રેસ વે પર 60.1 કિમીના પોઇન્ટ પર, 10 મીટરના એરિયામાં એક ફૂટ ઊંડો ખાડો પડ્યો હતો. રસ્તાની વચ્ચે બે થી ત્રણ ઇંચ પહોળી તિરાડ પડી ગઈ હતી. ત્યાં ઊભા રહીને પગ નીચે થોડો કંપન અનુભવાય છે, ભેજવાળી જમીન પર ઊભા રહો. જ્યારે પણ કોઈ ટ્રક તેના પરથી પસાર થાય છે ત્યારે રસ્તો દબાઇ જાય છે. એવું લાગતું હતું કે જો ત્યાં વરસાદી પાણી એકઠું થાય તો પરિસ્થિતિ ખતરનાક બની શકે છે.
કાનપુરથી લખનૌ પાછા ફરતા 50-60 કિમી/કલાકની ઝડપે ત્રીજી લેનમાં વાહન ચલાવવા પર 15 સ્થળોએ એવો પોઇન્ટ મળ્યા, જ્યા વધારે ઝટકા અનુભવાયા. જોકે NHAIએ એક્સપ્રેસ વે માટે મહત્તમ ગતિ મર્યાદા 100 કિમી/કલાક નક્કી કરી છે, પરંતુ આ લેનમાં તે ઝડપે વાહન ચલાવવાથી એટલો ઉછોળો થયો કે વાહનને નિયંત્રિત કરવું મુશ્કેલ બન્યું.
અનેક મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી ચૂકેલા લખનૌ સ્થિત એક ખાનગી કંપનીના એન્જિનિયર અભિષેક ગૌર કહે છે કે, એક્સપ્રેસ વે દરરોજ ક્યાંક ને ક્યાંક ધસી રહ્યો છે; આનો અર્થ કે બાંધકામ દરમિયાન બેદરકારી દાખવવામાં આવી છે. આને સુધારવા માટે પથ્થર-માટી અને મોટા પથ્થરની હાજરી દૂર કરવી પડશે અને પછી ફરીથી બનાવવો જોઈએ.
એક્સપ્રેસ વેનું નિર્માણ PNC ઇન્ફ્રાટેક દ્વારા કરવામાં આવ્યું હતું. આ કંપની ભાજપના રાજ્યસભા સાંસદ નવીન જૈનના ભાઈ પ્રદીપ જૈનની છે. એક્સપ્રેસવે માટેનો કોન્ટ્રાક્ટ 23 ફેબ્રુઆરી, 2022ના રોજ આપવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2024માં, કંપનીને નવા ટેન્ડરોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. સાથે જ, તેની બે પેટાકંપનીઓ PNC ખજુરાહો હાઇવે અને PNC બુંદેલખંડ હાઇવે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી CBIમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં કરવામાં આવી હતી. કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ પર NHAI અધિકારીઓને લાંચ આપવાનો અને અનુચિત લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. જોકે, માત્ર એક વર્ષ પછી આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. 63 કિલોમીટર લાંબા એક્સપ્રેસવેના નિર્માણ માટે કુલ ₹4,700 કરોડ ખર્ચવામાં આવ્યા હતા એટલે કે પ્રતિ કિલોમીટર આશરે ₹75 કરોડનો ખર્ચે થયો છે. તે ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો એક્સપ્રેસવે છે.
આનાથી લગભગ 10 ગણા લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન 18 ડિસેમ્બર, 2021ના રોજ કરવામાં આવ્યું હતું. આ 594 કિમી લાંબા એક્સપ્રેસવેના નિર્માણમાં લગભગ ₹36230 કરોડનો ખર્ચ થયો હતો, જે પ્રતિ કિલોમીટર આશરે ₹61 કરોડનો ખર્ચ થયો હતો. આ એક્સપ્રેસવેનો ટોલ પણ મોંઘો છે. જ્યારે હાઇવે પર એક તરફી મુસાફરી માટે ટોલમાં ₹95નો ખર્ચ થતો હતો, ત્યારે એક્સપ્રેસવે પર એક તરફી ટોલ ₹275 છે, જ્યારે બંને તરફનો ટોલ ₹415 વસૂલવામાં આવી રહ્યો છે.

