- National
- સોનમ વાંગચુકે જણાવી ભૂખ હડતાળ સમાપ્ત કરવાની સંપૂર્ણ કહાની, કહ્યું- મંત્રીઓએ વચનો તોડ્યા, હું તો...
સોનમ વાંગચુકે જણાવી ભૂખ હડતાળ સમાપ્ત કરવાની સંપૂર્ણ કહાની, કહ્યું- મંત્રીઓએ વચનો તોડ્યા, હું તો...
NEET પેપર લીક સામે વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની એક હોસ્પિટલમાં તેમની ભૂખ હડતાળ કેવી રીતે સમાપ્ત કર્યા તેની સંપૂર્ણ કહાની જણાવી છે. તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર આરોપ લગાવ્યો કે તેમણે વચનો તોડ્યા; વાંગચુકે જણાવ્યું હતું કે તેઓ સરકાર, વિપક્ષ અને વિદ્યાર્થીઓની હાજરીમાં તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવા માંગતા હતા, પરંતુ મંત્રીઓની મધ્યરાત્રિની મુલાકાતે તેમની યોજના ખરાબ કરી દીધી. વાંગચુકે 24 જુલાઈની રાત્રે તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી.
ઈન્ડિયા ટુડે ટીવી સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં, સોનમ વાંગચુકે ખુલાસો કર્યો કે તેઓ તેમની ભૂખ હડતાળ સમાપ્તિની જાહેરાત કરનાર પ્રથમ વ્યક્તિ બનવા માંગતા હતા, સાથે શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓના ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવા માંગતા હતા. જો કે, સરકારી મંત્રીઓએ ભરોસો તોડતા સમય પહેલા ફોટા જાહેર કરી દીધા. વાંગચુકે કેન્દ્રીય મંત્રીઓના હાથે તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કેમ પસંદ કર્યું તે અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા.
પોતાની 26 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કર્યા પછીના પોતાના પહેલા ઇન્ટરવ્યૂમાં વાંગચુકે ઇન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું હતું કે લદ્દાખમાં આને વિજયનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે તમે જેમની વિરુદ્વ પ્રદર્શન કરો છો અને તેમના જ પ્રતિનિધિઓ આવીને તમને કહે કે અમે તમારી માંગણીઓ સ્વીકારીએ છીએ અને તમે ધરણા સમાપ્ત કરો. પરંતુ, અહીં વાત વિપરીત છે. 1984માં પણ આવી જ ઘટના બની હતી જ્યારે ઇન્દિરા ગાંધી તેમના પિતાને વિરોધ પાછો ખેંચવા માટે સમજાવવા આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે સરકારી મંત્રીઓ જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સામે શરતો મૂકી હતી. શરત એ હતી કે તેઓ ધરણા સમાપ્ત કરવા અને સૂપ લેવાનું પસંદ કરશે, પરંતુ ફક્ત અન્ય રાજકીય પક્ષોની હાજરીમાં. વિદ્યાર્થી નેતાઓને પણ સામેલ કરવાના હતા, અને સમગ્ર કાર્યક્રમ સંયુક્ત સભામાં કરશે. જોકે, મધ્યરાત્રિની આસપાસ કેન્દ્ર સરકારના મંત્રીઓ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે આ યોજના પર પાણી ફરી વળ્યું. સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે તેમણે પછી બીજી શરત મૂકી હતી. જેને લોકો જાણતા નથી, હું તેને અહીં શેર કરવા માંગું છે.
વાંગચુકે મંત્રીઓને કહ્યું કે, ઠીક છે, હું મારી ભૂખ હડતાળ તોડીશ કારણ કે હિંસાનું જોખમ હતું, પણ હું મારી પોતાની શરતો પર તોડીશ. મેં આગ્રહ કર્યો હતો કે જો શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ એક સાથે ન આવી શક્યા તો તો હું મારી ભૂખ હડતાળના અંતની જાહેરાત કરતા તેમના ફોટોગ્રાફ્સ એક સાથે રાખીને ભૂખ હડતાળ સમાપ્ત કરીશ. જેથી એ સંદેશ જાય કે મેં બંને પક્ષના નેતાઓની સંયુક્ત હાજરીમાં મારા ભૂખ હડતાળ સમાપ્ત કરી છે.
તેમણે કહ્યું કે, સરકારના મંત્રીઓ આ માટે સંમત થયા હતા. તે સમયે IBના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. મેં તે અધિકારીઓને કહ્યું, 'તમે આ કરારના સાક્ષી છો. જ્યાં સુધી હું શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓના ફોટા પ્રકાશિત ન કરું ત્યાં સુધી કોઈએ ભૂખ હડતાળના અંતના સમાચાર મીડિયાને જાહેર કરવા જોઈએ નહીં.' તેમણે આ વચન સ્વીકાર્યું. એટલા માટે મેં તેમના હાથમાંથી સૂપ સ્વીકાર્યો. હું બીજા પક્ષના નેતાઓ સાથે ફોટા લેવાની અપેક્ષા રાખી રહ્યો હતો. પરંતુ પાંચ મિનિટમાં એક વરિષ્ઠ IB અધિકારી હાંફતા આવ્યા, અને મને કહ્યું, 'સાહેબ, મને ખબર નથી કે કેવી રીતે, પરંતુ આ ફોટા પહેલાથી જ મીડિયામાં ચાલી રહ્યા છે.' મંત્રી પોતાના ફોટોગ્રાફરને લઈને આવ્યા હતા, પરંતુ તેમણે છબીઓ પ્રકાશિત ન કરવાનું વચન આપ્યું હોવા છતા તેમણે આ વચન તોડ્યું. મારો આ નેતાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
સોનમ વાંગચુકે ઉલ્લેખ કર્યો હતો કે તેમની પત્ની ગીતાંજલિ રાહુલ ગાંધીને તેમના ભૂખ હડતાળના અંતના કાર્યક્રમમાં હાજરી આપવા માટે બોલાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નહોતો. રાહુલ ગાંધીના ધરણા ખૂબ પાછળથી થયા હતા.
વાંગચુકે એમ પણ કહ્યું કે તેઓ રાજકીય નેતાઓ સામે અપશબ્દોનો ઉપયોગને યોગ્ય સમજતા નથી. પરંતુ, તેમણે સરકારોને અપીલ કરી કે પ્રદર્શનકારીઓને સજા કરવા કરતા આવા ગુસ્સા પાછળના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરો. તેમણે એમ પણ કહ્યું કે સ્વસ્થ લોકશાહી માટે શાંતિપૂર્ણ વિરોધ જરૂરી છે, પરંતુ ભાર મૂક્યો કે પ્રદર્શનો ન્યાયી, અહિંસક અને સિસ્ટમમાં સુધારા પર કેન્દ્રિત હોવા જોઈએ. તેમણે રાજકીય કનેક્શનના આરોપોને ફગાવી દીધા, 'કોકરોચ જનતા પાર્ટી'ના બિનરાજકીય રહેવાના નિર્ણયનો બચાવ કર્યો અને કહ્યું કે તેમને આ આંદોલનનું નેતૃત્વ કરવાનો કોઈ અફસોસ નથી.
લદ્દાખના તેમના ગામથી બોલતા વાંગચુકે કહ્યું કે અનિશ્ચિત ભૂખ હડતાળ સમાપ્ત કર્યા પછી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે, અને વિરોધ દરમિયાન ગુમાવેલા 11 કિલો વજનમાંથી તેમણે 6 કિલો વજન પાછું મેળવ્યું છે.

