- National
- વૃદ્ધાવસ્થામાં સંભાળ ન રાખતા બાળકો પાસેથી મિલકત પાછી મેળવવાનો માતા-પિતાને અધિકાર: હાઈ કોર્ટ
વૃદ્ધાવસ્થામાં સંભાળ ન રાખતા બાળકો પાસેથી મિલકત પાછી મેળવવાનો માતા-પિતાને અધિકાર: હાઈ કોર્ટ
જે બાળકોના પાલન-પોષણમાં માતા-પિતા કોઈ પણ કસર છોડતા નથી, તેઓ મોટા થયા પછી ઘણીવાર તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાની જવાબદારીથી છટકી જવા લાગે છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમના માતા-પિતાની મિલકત મેળવ્યા પછી, આ બાળકો ઘણીવાર પોતાના માતા-પિતા ખટકવા લાગે છે. આવી સ્થિતિમાં, માતા-પિતા માટે તેમના જીવનના અંતિમ તબક્કામાં પોતાનું જીવન જીવવાનું અત્યંત મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિનો સામનો કરવા, બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂ ટિપ્પણી કરી છે કે, જો માતાપિતા તેમના બાળકોને પોતાની મિલકત આ શરતે આપે છે કે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમની સંભાળ રાખશે, તો જો તે શરત પૂરી ન થાય તો તેઓ મિલકત પાછી મેળવી શકે છે.
HTના અહેવાલ મુજબ, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ અધિકાર માતા-પિતાના આર્થિક રીતે આત્મનિર્ભર હોવા પર પણ લાગુ પડે છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખાડની ડિવિઝન બેન્ચે લોઅર પરેલના 42 વર્ષીય રહેવાસી દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતા અ ટિપ્પણી કરી હતી. આ અરજીમાં લોઅર પરેલના ફ્લેટનો કબજો તેમના 68 વર્ષીય પિતાને સોંપવાના આદેશને પડકારવામાં આવ્યો હતો.
કેસની વિગતો અનુસાર, પિતા એક ઝવેરી છે. તેમણે માર્ચ 2005માં ફ્લેટ ખરીદ્યો હતો અને ત્યાં તેમની પત્ની, પુત્ર અને પુત્રના પરિવાર સાથે રહેતા હતા. અઢાર વર્ષ પછી, 8 મે 2023ના રોજ તેમણે ગિફ્ટ ડીડ દ્વારા ફ્લેટ તેમના પુત્રને ભેટમાં આપ્યો, શરત એ હતી કે પુત્ર તેમને અને તેમની 60 વર્ષીય પત્ની બંને માટે મૂળભૂત સુવિધાઓ અને સંભાળ રાખશે.
જોકે, પિતાનો આરોપ છે કે સમય જતા તેમના અને તેમના પુત્ર વચ્ચેના સંબંધો બગડ્યા, અને પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે તેમને અને તેમની પત્નીને 2025માં ઘર છોડવાની ફરજ પડી. ત્યારબાદ, તેમણે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ રચાયેલા ટ્રિબ્યૂનલનો સંપર્ક કર્યો.
13 એપ્રિલના રોજ, ટ્રિબ્યૂનલે પુત્ર અને તેના પરિવારને 60 દિવસની અંદર ફ્લેટ ખાલી કરવા અને માતા-પિતાને કબજો સોંપવાનો આદેશ આપ્યો. પુત્રએ આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો, જેમાં અનેક દલીલો ઉઠાવવામાં આવી. તેમણે દલીલ કરી કે તેમના 68 વર્ષીય પિતા આર્થિક રીતે સક્ષમ છે, પોતાનો વ્યવસાય ચલાવે છે અને અન્ય સ્થાવર સંપત્તિ ધરાવે છે. પુત્રએ દલીલ કરી હતી કે માતા-પિતા ન તો નિર્ધન છે કે ન તો પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ છે. પરંતુ, કોર્ટે આ દલીલને ફગાવી દીધી.
કોર્ટે કહ્યું કે વરિષ્ઠ નાગરિક અધિનિયમ, 2007ની કલમ 23 હેઠળ, જો કોઈ મિલકત એ શરતે ટ્રાન્સફર કરવામાં આવે છે કે પ્રાપ્તકર્તા મૂળભૂત સુવિધાઓ પૂરી પાડશે અને વૃદ્ધ માતા-પિતાની જરૂરિયાતો પૂરી કરશે, અને પ્રાપ્તકર્તા આમ કરવામાં નિષ્ફળ જાય છે અથવા ઇનકાર કરે છે, તો ટ્રિબ્યુનલ એ ભેટને રદબાતલ જાહેર કરી શકે છે.

