- National
- E20 પેટ્રોલનો વિરોધ કરનારા તહસીન પૂનાવાલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ; કાઢવાના હતા 'ગાડી માર્ચ'...
E20 પેટ્રોલનો વિરોધ કરનારા તહસીન પૂનાવાલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ; કાઢવાના હતા 'ગાડી માર્ચ'
દેશમાં E20 પેટ્રોલને લઈને છેડાયેલી બહેસ હવે તેજ થઇ ગઇ છે. સરકારની E20 નીતિ વિરુદ્વ સતત અવાજ ઉઠાવી રહેલા સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ તહસીન પૂનાવાલાને મોટો ઝટકો લાગ્યો છે: તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ કાર્યવાહી ત્યારે જ કરવામાં આવી છે જ્યારે તેમણે E20ના વિરોધમાં 31 જુલાઈના રોજ દિલ્હીમાં 'ગાડી માર્ચ' યોજવાની યોજનાની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો આને આંદોલનને દબાવવાના પ્રયાસ ગણાવી રહ્યા છે, ત્યારે ઇન્સ્ટાગ્રામે હજુ સુધી સસ્પેન્શનનું સત્તાવાર કારણ જણાવ્યું નથી.
તાજેતરના દિવસોમાં તહસીન પૂનાવાલાએ સતત E20 પેટ્રોલ વિરુદ્વ વીડિયો અને પોસ્ટ શેર કર્યા હતા. તેમણે 31 જુલાઈના રોજ ઈન્ડિયા ગેટથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી 'ગાડી માર્ચ'માં જોડાવા માટે લોકોને અપીલ પણ કરી હતી. આ માર્ચનો હેતુ સરકારને E20 પેટ્રોલને ફરજિયાત બનાવવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અને સામાન્ય લોકોને નિયમિત પેટ્રોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ પૂરો પાડે તેવી માંગ કરવાનો હતો.
https://twitter.com/tehseenp/status/2082691046581113279?s=20
તેહસીન પૂનાવાલાએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં, જણાવ્યું હતું કે, મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @tehseenpoonawalla સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સરકાર હવે ઇન્સ્ટાગ્રામથી પણ ડરે છે. જે લોકો મને જાણે છે તેઓ જાણે છે કે હું એક સભ્ય વ્યક્તિ છું. હું હંમેશાં તથ્યો અને તર્કના આધારે વાત કરું છું. હું ક્યારેય અપશબ્દોનો ઉપયોગ કરતો નથી.
E20 પેટ્રોલ વિરુદ્ધ શરૂ થયેલી ઝુંબેશ હવે રસ્તાઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ફેલાઈ ચૂકી છે. તાજેતરમાં 'E20 જનતા પાર્ટી' નામની ઓનલાઈન ઝુંબેશને પણ ખૂબ લોકપ્રિયતા મળી છે. જે કોઇ રાજકીય પક્ષ છે કે રજિસ્ટર્ડ સંગઠન નથી, પરંતુ પોતાને સામાન્ય લોકોનો અવાજ ગણાવે છે. આ એકાઉન્ટને તાજેતરમાં જ NEET પરીક્ષાના પેપર મુદ્દા પર દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરનાર 'કોકરોચ જનતા પાર્ટી' સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત આવી જ રીતે સોશિયલ મીડિયા પર વ્યંગ અને મીમ્સથી થઈ હતી. આ જ નામનો ઉપયોગ કરતું બીજું એક એકાઉન્ટ પણ સોશિયલ મીડિયા પર સક્રિય થયું હતું, પરંતુ હવે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, દિલ્હીમાં અનેક ટ્રાન્સપોર્ટ સંગઠનોએ E20 ઇંધણના વિરોધમાં સંસદ માર્ચની જાહેરાત કરી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોનો દાવો છે કે E20 પેટ્રોલથી માઇલેજ ઘટે છે અને જૂના વાહનો પર તેની અસર પડી શકે છે; જ્યારે, સરકારે આ દાવાઓને ફગાવતા E20 સલામત અને પર્યાવરણ માટે રીતે શ્રેષ્ઠ ઇંધણ ગણાવી રહી છે.
કેન્દ્ર સરકાર સતત કહી રહી છે કે E20 એટલે કે 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ દેશની તેલ આયાત પર નિર્ભરતા ઘટાડશે, ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે અને પ્રદૂષણ પણ ઘટાડશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે E20 સ્તરથી આગળ ઇથેનોલ મિશ્રણ વધારવાની હાલમાં કોઈ તાત્કાલિક યોજના નથી. બીજી તરફ, E20નો વિરોધ કરતા ગ્રુપો તેને ગ્રાહકો પર લાદવામાં આવેલો નિર્ણય ગણાવતા નિયમિત પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે.

