- National
- અનુસૂચિત જાતિના દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો, હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય કોઈ અન્...
અનુસૂચિત જાતિના દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો, હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય કોઈ અન્ય ધર્મ અપનાવ્યો તો...
સુપ્રીમ કોર્ટે મંગળવારે આપેલા એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો ફક્ત હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મના વ્યક્તિઓને પ્રાપ્ત છે. જો કોઈ વ્યક્તિ આ ત્રણેય ધર્મોમાંથી કોઈપણ ધર્મમાં જેમ કે ખ્રિસ્તી અથવા ઇસ્લામમાં ધર્મમાં ધર્માંતરણ કરે છે, તો તે આપમેળે તેમનો અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવી દે છે. ન્યાયાધીશ પી.કે. મિશ્રા અને ન્યાયાધીશ મનમોહનની બનેલી બેન્ચે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ જે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય કોઈ અન્ય ધર્મને માને છે તેને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં.
કોઈ અન્ય ધર્મમાં ધર્માંતરણ કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થઈ જાય છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC/ST અધિનિયમ) હેઠળ આવી વ્યક્તિ સામે કોઈ કેસ નોંધી શકાતો નથી, કારણ કે તે હવે અનુસૂચિત જાતિનો સભ્ય રહેતો નથી.

જાણો શું છે આખો મામલો?
આંધ્ર પ્રદેશનો એક પાદરી ચિંથાડા આનંદની અપીલના જવાબમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આનંદે આરોપ લગાવ્યો હતો કે અક્કાલા રામીરેડ્ડી અને અન્ય લોકોએ તેમની સાથે જાતિ આધારિત ભેદભાવ અને શાબ્દિક દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે SC/ST કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે પોલીસે FIR નોંધી હતી. ત્યારબાદ રામીરેડ્ડીએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં FIR રદ કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટના જસ્ટિસ એન. હરિનાથે FIR રદ કરી દીધી હતી, અને ચૂકાદો આપ્યો હતો કે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ, આનંદ પોતાનો SC દરજ્જો ગુમાવી ચૂક્યો છે, એટલે તેને SC/ST એક્ટ હેઠળ સુરક્ષા નહીં મળી શકે. કોર્ટે એમ પણ કહ્યું કે, આનંદ પાસે અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર હોવાથી કોઈ ફરક પડતો નથી; કારણ કે ખ્રિસ્તી ધર્મમાં જાતિ વ્યવસ્થા માનવામાં આવતી નથી, એટલે તેનો SCનો દરજ્જો આપમેળે સમાપ્ત થઈ જાય છે. આનંદે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી, પરંતુ તેની અપીલ ફગાવી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે, બંધારણ હેઠળ અનુસૂચિત જાતિનો દરજ્જો વિશેષ રૂપે હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ માનનારા વ્યક્તિઓ સુધી મર્યાદિત છે. બીજા ધર્મમાં ધર્માંતરણ કર્યા બાદ વ્યક્તિ સામાજિક અને આર્થિક પછાતપણાની એ સ્થિતિથી બહાર આવી જાય છે, જેના આધારે SC અનામત અને રક્ષણ આપવામાં આવે છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે ધાર્મિક પરિવર્તન બાદ SC પ્રમાણપત્રનું કોઈ કાયદાકીય મૂલ્ય રહેતું નથી. આ ચૂકાદો એવા તમામ કેસોમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યાં દલિત સમુદાયના લોકો ખ્રિસ્તી અથવા અન્ય ધર્મો અપનાવ્યા બાદ પણ SC અનામત, સરકારી યોજનાઓ હેઠળ લાભો અથવા SC/ST કાયદા હેઠળ રક્ષણનો દાવો કરે છે.

