- National
- ભારતમાં ઉદાર હાથે દાન કરનારાઓએ વર્ષમાં 54000 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું!
ભારતમાં ઉદાર હાથે દાન કરનારાઓએ વર્ષમાં 54000 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું!
ભારતની અંદર કરવામાં આવેલું દાન એક વર્ષમાં આશરે 54,000 કરોડ રૂપિયા જેટલું થઇ જાય છે, જેમાં સૌથી મોટો ભાગ ધાર્મિક સંસ્થાઓને જાય છે. 'હાઉ ઈન્ડિયા ગિવ્સ 2025-26' રિપોર્ટ મુજબ, વ્યક્તિગત દાનનો 45.9 ટકા ભાગ ધાર્મિક સંગઠનોને જાય છે, જ્યારે 41.8 ટકા ભાગ સીધો ગરીબો, જરૂરિયાતમંદ અને ભિખારીઓ સુધી પહોંચે છે. બિન-ધાર્મિક સંસ્થાઓ કુલ દાનના માત્ર 14.9 ટકા જ મેળવે છે.
આ અભ્યાસ 20 રાજ્યોમાં હાથ ધરાયેલા સર્વેક્ષણ પર આધારિત છે. આ રિપોર્ટનો હેતુ એ સમજવાનો હતો કે, સામાન્ય ભારતીયો રોકડ, માલ અથવા સેવાઓમાં કેવી રીતે યોગદાન આપે છે. રિપોર્ટ મુજબ, 68 ટકા લોકોએ કોઈને કોઈ સ્વરૂપમાં દાન આપ્યું હોવાનું સ્વીકાર્યું છે.
'હાઉ ઈન્ડિયા ગિવ્સ 2025-26' રિપોર્ટ દર્શાવે છે કે, ભારતમાં સામાન્ય ઘરો દાન આપવા માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. બધા આવક જૂથોમાં રોજિંદા દાન જોવા મળ્યું હતું. રૂ. 4,000થી રૂ. 5,000ની માસિક આવક ધરાવતા પરિવારોમાં પણ, લગભગ અડધા લોકો દાન આપે છે. જેમ જેમ આવક વધે છે, તેમ તેમ દાનમાં તેમની ભાગીદારી 70 થી 80 ટકા સુધી પહોંચે છે. મોટાભાગનું દાન મફત ખાવાનું આપતી સંસ્થાની સામુહિક રસોઈ થતી હોય ત્યાં અન્ન સ્વરૂપમાં હોય છે. ધાર્મિક સંસ્થાઓની સેવા કરવી એ આજકાલ સૌથી સામાન્ય સામાજિક યોગદાન બન્યું છે.
આ અહેવાલમાં દાનની પદ્ધતિઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કોઈ સામાન અથવા વસ્તુઓના રૂપમાં મદદનો હિસ્સો સૌથી વધુ લગભગ 46-48 ટકા છે. રોકડ દાનનો હિસ્સો 44 ટકા છે, જ્યારે લગભગ 30 ટકા લોકોએ સમય આપીને સ્વયંસેવક તરીકે હાજરી નોંધાવી છે. અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, ભારતમાં દાન ફક્ત નાણાકીય નથી, પરંતુ સમુદાય અને સંબંધો પર આધારિત પણ હોય છે.
આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, 90 ટકાથી વધુ લોકો દાનને ધાર્મિક ફરજ અથવા નૈતિક જવાબદારી તરીકે જુએ છે. આ જ કારણ છે કે ધાર્મિક સંસ્થાઓને સૌથી વધુ દાન મળે છે. રિપોર્ટ લોન્ચ સમયે બોલતા, સેન્ટર ફોર સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ ફિલાન્થ્રોપી (CSIP)ના ડિરેક્ટર અને વડા, જીની ઉપ્પલે જણાવ્યું હતું કે, આ અભ્યાસ ભારતની ઉદારતાને પ્રકાશિત કરે છે, જેને ઘણીવાર ઓછો અંદાજવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય વપરાશ ડેટા પર આધારિત વિશ્લેષણ, ભારતમાં દાનની પ્રકૃતિ અને આર્થિક વિકાસ સાથે તે કેવી રીતે બદલાય છે તે સમજવામાં મદદ કરે છે.
દાતાઓને ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે: પાયાના દાતાઓ, મહત્વાકાંક્ષી દાતાઓ, વ્યવહારુ દાતાઓ અને સમૃદ્ધ દાતાઓ.
તેમની પ્રેરણા, જાગૃતિ સ્તર અને આપવાની રીતો અલગ અલગ હોય છે. અહેવાલના તારણો દર્શાવે છે કે, ભારતની દાનની પરંપરા ઊંડી અને વ્યાપક છે, જે આવક, ક્ષેત્ર અને સામાજિક દરજ્જાને ધ્યાનમાં રાખીને સમાજના તમામ વર્ગોમાં ફેલાયેલી છે.

