- National
- મુંબઈમાં દરેક પક્ષ ગઠબંધન બનાવવા માટે શા માટે મજબુર હોય છે? જાણો BMC ચૂંટણીમાં 30 ટકા વાળું 'ઢાંકણ'
મુંબઈમાં દરેક પક્ષ ગઠબંધન બનાવવા માટે શા માટે મજબુર હોય છે? જાણો BMC ચૂંટણીમાં 30 ટકા વાળું 'ઢાંકણ' શું છે
પક્ષમાં વિભાજન અને શિવસેના (UBT)ના ચૂંટણીમાં નબળા પ્રદર્શનને ધ્યાનમાં લેતા, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન જરૂરી લાગે છે. જોકે, BMC ચૂંટણીના સંદર્ભમાં, તે એક રાજકીય મજબૂરી પણ છે. અને હા, ફક્ત ઉદ્ધવ ઠાકરે માટે જ નહીં પરંતુ લગભગ તમામ પક્ષો માટે. આ દેશના સૌથી મોટા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવવા માટેની લડાઈ છે, અને અહીં 30 ટકાની ગણતરી જ એકમાત્ર પરિબળ છે જે મહત્વપૂર્ણ છે.
વિધાનસભા કે લોકસભા ચૂંટણીઓથી વિપરીત, મુંબઈની BMC ચૂંટણીઓ વોર્ડ-દર-વોર્ડ ધોરણે લડવામાં આવે છે. અહીંના મતદારો ભાગ્યે જ કોઈ એક પક્ષ પાછળ ભેગા થાય છે. છેલ્લા બે દાયકામાં ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, મુંબઈએ સતત વિભાજિત ચુકાદા આપ્યા છે. આવી સ્થિતિમાં, પક્ષોને સીધા લોકપ્રિય સમર્થનની રાહ જોવાની જરૂર નથી, પરંતુ જોડાણો, બેઠકોની વહેંચણી અને સંકલન પર આધાર રાખવો પડે છે.
મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, છેલ્લી ચાર BMC ચૂંટણીઓના ડેટા દર્શાવે છે કે, 2002થી કોઈ પણ પક્ષ 30 ટકા મત હિસ્સાનો આંકડો પાર કરી શક્યો નથી. પરિણામે, BMC ચૂંટણીનું પરિણામ મોટા જનાદેશ પર ઓછું અને કયો જૂથ મત વિભાજન અટકાવી શકે છે અને નાની લીડને બેઠકોમાં રૂપાંતરિત કરી શકે છે તેના પર વધુ આધાર રાખે છે. આ વિભાજીત મત ગણિત જ પક્ષોને ગઠબંધન બનાવવા માટે ચિંતિત બનાવી દે છે.
મુંબઈના મતદારોએ પોતાની મરજીથી મતદાન કરતા આવ્યા છે. 2002ની ચૂંટણીમાં, શિવસેના 28.10 ટકા મત સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. કોંગ્રેસ 26.48 ટકા સાથે થોડી પાછળ હતી. પંદર વર્ષ પછી, 2017માં, પરિસ્થિતિ એવી જ રહી. સમીકરણમાં અનેક રાજકીય ફેરફારો અને પરિવર્તનો છતાં, કોઈપણ પક્ષ 30 ટકાના આંકડો પાર કરી શક્યો નથી.
આનું કારણ એ છે કે, મુંબઈમાં મતદાન પેટર્ન દરેક જગ્યાએ એકસરખી નથી. શહેરના વિવિધ વિસ્તારો વિવિધ મુદ્દાઓનો સામનો કરે છે. પરિણામે, ત્યાંના લોકોની મતદાન પેટર્ન પણ અલગ અલગ છે. ભાષા, આવક સ્તર, ધર્મ અને વ્યવસાય જેવા મુદ્દાઓ મતદારોના નિર્ણયોને પ્રભાવિત કરે છે. આનાથી BMC ચૂંટણીઓમાં ગઠબંધનની ભૂમિકા વધે છે. એકંદર મત હિસ્સામાં નાના ફેરફાર પણ ઘણા વોર્ડમાં પરિણામ બદલવાની શક્તિ ધરાવે છે.
ઘણા વર્ષોથી, શિવસેના BMCમાં એક મુખ્ય શક્તિ હતી, પરંતુ તેનો મત હિસ્સા દર્શાવે છે કે તેનો સમર્થન આધાર નોંધપાત્ર રીતે વધ્યો નથી. 2002માં, પાર્ટીને 28.10 ટકા મત મળ્યા. 2017માં પણ આ એમ જ રહ્યું બદલાયું નહીં, તેમને 28.29 ટકા મત મળ્યા. 2007 અને 2012ની ચૂંટણીઓમાં, શિવસેનાનો હિસ્સો ઘટીને લગભગ 22 ટકા થઇ ગયો. આમ છતાં, શિવસેનાએ મોટી સંખ્યામાં બેઠકો જીતી. 2002માં 97 બેઠક અને 2007 અને 2017 બંનેમાં 84 બેઠક. આ એટલા માટે શક્ય બન્યું, કારણ કે તેની વિરુદ્ધના મત અનેક પક્ષોમાં વહેંચાયેલા હતા અને તેણે BJP સાથે લાંબા ગાળાનું જોડાણ જાળવી રાખ્યું હતું.
BJP અને શિવસેનાએ 2017ની BMC ચૂંટણી માટે તેમના જોડાણનો અંત લાવવાનો નિર્ણય લીધો. આખા શહેરમાં એકલા ચૂંટણી લડવા છતાં, કોઈપણ પક્ષ 30 ટકા મત હિસ્સાને પાર કરી શક્યો નહીં.
વર્તમાન રાજકીય વાતાવરણે પરિસ્થિતિ બદલી નાખી છે. DyCM એકનાથ શિંદેની શિવસેનાની રચના અને પરંપરાગત મરાઠી મતદારોમાં એકતાના અભાવને કારણે, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સ્પર્ધાત્મક રહેવા માટે નવા જોડાણની સખત જરૂર છે. આ જ કારણ છે કે, રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે જોડાવું જરૂરી બન્યું. જો કે આનાથી ઉદ્ધવને જીતની ખાતરી મળવાની નહોતી, બસ એટલું ચોક્કસપણે થશે કે તે મત ગુમાવવાનું અટકાવશે.
2012માં મનસેના ઉદયને એક વળાંક માનવામાં આવે છે. તે વર્ષે, રાજ ઠાકરેની પાર્ટીને 20.67 ટકા મત મળ્યા હતા પરંતુ ફક્ત 28 બેઠકો જ મળી હતી. પરિણામે, તે સત્તામાં આવી ન હતી. જોકે, તેનાથી શિવસેનાના સમર્થન આધારમાં ઘટાડો થયો અને ઘણા વોર્ડમાં પરિણામો બદલાયા. 2017 સુધીમાં, મનસેનો મત હિસ્સામાં તીવ્ર ઘટાડો થઈને 8 ટકા થઈ ગયો હતો, અને તેની બેઠકોની સંખ્યા ઘટીને 7 થઈ ગઈ હતી. આ ઘટાડો સૌથી મોટો ફાયદો શિવસેનાને નહીં, પરંતુ BJPને થયો હતો.
લગભગ 15 વર્ષ સુધી, મુંબઈની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં BJP એક નાનો પક્ષ હતો. 2002થી 2012 દરમિયાન, તેનો મત હિસ્સો 9 ટકાથી નીચે રહ્યો. તેની બેઠકો પણ 28થી 35ની વચ્ચે હતી. મુંબઈમાં, તે સતત શિવસેનાના પડછાયામાં રહ્યો. 2017માં જ્યારે BJPએ શિવસેનાના પડછાયામાંથી બહાર નીકળીને એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ.
એક જ ચૂંટણીમાં, તેનો મત હિસ્સો વધીને 27.32 ટકા થયો, અને તેની બેઠકોની સંખ્યા 82 પર પહોંચી ગઈ, જે શિવસેના કરતા ફક્ત બે ઓછી હતી. આ કોઈપણ BMC ચૂંટણીમાં જોવા મળેલો સૌથી મોટો ફેરફાર હતો. આશ્ચર્યજનક વાત એ હતી કે, BJPએ કોઈપણ ઔપચારિક જોડાણ વિના આ પરિણામો પ્રાપ્ત કર્યા. જો કે, આના ઘણા કારણો હતા. કોંગ્રેસ અને NCPના પ્રદર્શનમાં ઘટાડો થયો, MNSને તેના મત શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, અને તેને ઘણા વોર્ડમાં મત વિભાજનનો ફાયદો થયો.
આમ છતાં, ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે આ પૂરતું ન હતું. કેન્દ્ર અને રાજ્યમાં સત્તામાં હોવા છતાં, BJP શિવસેનાને સૌથી મોટા પક્ષ તરીકે દૂર કરવામાં અસમર્થ રહ્યો, કે 30 ટકા મત હિસ્સાને તોડી શક્યો નહીં. આ જ કારણ છે કે, તેની વર્તમાન તાકાત હોવા છતાં, BJPને મુંબઈ પર નિયંત્રણ મેળવવા માટે DYCM એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાણની જરૂર લાગે છે.
BMCના વીસ વર્ષ દર્શાવે છે કે મુંબઈ ભાગ્યે જ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી આપે છે. કોઈ પણ પક્ષ 227 સભ્યોના મ્યુનિસિપલ કોર્પોરેશન પર એકલા શાસન કરવા માટે જરૂરી અડધાથી વધુ બેઠકો મેળવી શક્યો નથી. ચૂંટણીઓ સામાન્ય રીતે પક્ષો વિભાજિત મતોનું સંચાલન કેટલી સારી રીતે કરે છે તેના દ્વારા નક્કી કરવામાં આવે છે, એકંદરે કોણ સૌથી વધુ લોકપ્રિય છે તેના દ્વારા નહીં.
ઠાકરે બંધુઓ સાથે મળીને મતવિભાજન ઘટાડવામાં મદદ મળી શકે છે. આનાથી તીવ્ર લડાઈ લડતા વોર્ડમાં જીતવાની તેમની શક્યતાઓ વધી શકે છે. જોકે, એ ધ્યાન રાખવું જરૂરી છે કે 30 ટકાની મર્યાદા હજુ પણ બધા પક્ષોને લાગુ પડે છે. અહીં, ફક્ત ગઠબંધન જ સત્તા સુધી પહોંચાડી શકે છે.

