- Sports
- પાકિસ્તાનના બહિષ્કાર છતા ટોસ માટે મેદાન પર જશે કેપ્ટન સૂર્યકુમાર યાદવ? જાણો ICCના નિયમ
પાકિસ્તાનના બહિષ્કાર છતા ટોસ માટે મેદાન પર જશે કેપ્ટન સૂર્યકુમાર યાદવ? જાણો ICCના નિયમ
પાકિસ્તાને એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરશે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવાની છે. જો પાકિસ્તાન પોતાના નિર્ણય પર અડગ રહે છે, તો ક્રિકેટના સૌથી મોટા મેચોમાંથી એક ગણાતી આ મેચ રદ થઈ જશે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે, જો મેચ જ થવાની નથી તો પછી શું ભારતીય ટીમે શ્રીલંકા જવું જોઈએ? આનો જવાબ છે- હાં, બિલકુલ જવું પડશે. તો હવે, આ પાછળના નિયમો જાણી લો.
પાકિસ્તાન આ મેચમાં મેદાન પર નહીં ઉતરે અને મેચ ગુમાવશે. આવા કિસ્સામાં ભારતને માત્ર ત્યારે જ પૂરા બે પોઈન્ટ મળશે જો ભારતીય ટીમ સમયસર સ્ટેડિયમમાં પહોંચે અને રમવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય. એવામાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રીલંકા જવું પડશે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ નિયત સમયે ટોસ માટે મેદાન પર આવશે. જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન સલમાન અલી આગા ટોસ માટે નહીં પહોંચે, ત્યારે મેચ રેફરી ભારતને વિજેતા જાહેર કરશે અને ભારતને 2 પોઈન્ટ આપશે. જો ભારતીય ટીમ એમ વિચારીને શ્રીલંકા નહીં જાય કે, મેચ થવાની જ નથી, તો ભારતને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, મેચ રેફરી બંને ટીમોને એક-એક પોઈન્ટ આપશે.
ICCના નિયમો શું કહે છે?
ICCના નિયમો અનુસાર, ટીમે પૂરા 2 પોઈન્ટ મેળવવા માટે મેદાનમાં હાજર રહેવું પડશે અને ટોસ માટે ઉપલબ્ધ રહેવું જરૂરી છે. આ કારણે, ભારતીય ટીમ કોલંબો જશે, ત્યાં પ્રેક્ટિસ પણ કરશે અને દરેક મેચ પહેલા મેચની બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરશે.
શું ICC પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે?
હાલમાં, ICCએ કોઈ સીધી સજાની જાહેરાત કરી નથી. જો કે, એક સત્તાવાર નિવેદનમાં ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને તેની સરકારના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે, કારણ કે આવા પગલાથી વૈશ્વિક ક્રિકેટને નુકસાન થાય છે. જો કે પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન ભારત સામેની મેચ નહીં રમે.
ICCએ એવી પણ ચીમકી આપી છે કે આ નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ પર ગંભીર અસર પડી શકે છે. પરંતુ, અત્યાર સુધી કોઈ ઔપચારિક પ્રતિબંધો કે સજાની જાહેરાત કરવામાં આવી નથી. જોકે, એવું માનવામાં આવે છે કે ICC પાકિસ્તાન સામે કડક પગલાં લઈ શકે છે.
પાકિસ્તાનની નેટ રન રેટ પર શું અસર પડશે?
ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાથી પાકિસ્તાનને ન માત્ર પોઈન્ટનું નુકસાન થશે, પરંતુ તેની નેટ રન રેટ (NRR) પર પણ ગંભીર અસર પડશે. ICCના નિયમો અનુસાર, જે ટીમ રમવાનો ઇનકાર કરે છે તેને સંપૂર્ણ પરિણામો ભોગવવા પડશે. ગણતરીમાં એવું માનવામાં આવશે કે પાકિસ્તાને સંપૂર્ણ 20 ઓવર રમી અને 0 રન બનાવ્યા, જ્યારે ભારતના નેટ રન રેટ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે કારણ કે ભારત રમવા માટે તૈયાર હતું. મતલબ કે પાકિસ્તાનની નેટ રન રેટમાં ભારે ઘટાડો થશે, જે ટીર્નામેન્ટમાં તેની સ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે.

