- Opinion
- PM મોદી-અમિત શાહ વિનાની ગુજરાત ભાજપને જરૂર છે સારા નેતૃત્વની
PM મોદી-અમિત શાહ વિનાની ગુજરાત ભાજપને જરૂર છે સારા નેતૃત્વની

ગુજરાતમાં ભાજપની સફળતાનો પાયો ભાજપના પાયાના કાર્યકર્તાઓ સાથે PM નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વે નાખ્યો છે. PM મોદીની વિકાસલક્ષી નીતિઓ અને અમિત શાહની સંગઠનાત્મક કુશળતાએ ગુજરાત ભાજપને રાજ્યની રાજનીતિમાં અજેય બનાવ્યું. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને અમિત શાહે રાષ્ટ્રીય સ્તરે ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યારથી ગુજરાત ભાજપમાં લોકસ્વીકૃત અને સબળ નેતૃત્વની ખોટ વર્તાઈ રહી છે. આજે પક્ષ એક શૂન્યાવકાશની નજીક ઊભો છે જે ગુજરાતના ભાજપના પ્રદેશ સંગઠન અને નેતાઓ માટે ગંભીર ચેતવણી છે.
ગુજરાતમાં ભાજપની ચૂંટણીઓની સફળતા મોટાભાગે PM મોદીના નામ અને તેમની લોકપ્રિયતા પર ટકેલી છે. પ્રદેશના નેતાઓ અનેકવાર જાહેરમાં સ્વીકારે છે કે ઉમેદવારો નહીં પણ PM મોદીનું નામ વોટ અપાવે છે. આ પરિસ્થિતિ પક્ષની આંતરિક નબળાઈને ઉજાગર કરે છે. જ્યારે પક્ષ કોઈ સંકટમાં હોય ત્યારે માત્ર PM મોદી કે અમિત શાહની શૈલી જ સમસ્યાનું નિરાકરણ લાવે છે. રાજ્યમાં હાલ એવું કોઈ નેતૃત્વ નથી કે જે જનતા વચ્ચે સર્વસ્વીકૃત હોય કે પક્ષને કોઈ સંકટમાંથી બહાર કાઢી શકે. આ નિર્ભરતા ગુજરાત ભાજપના ભવિષ્ય માટે જોખમી છે.
ગુજરાત ભાજપના લાખો કાર્યકર્તાઓ PM મોદી અને અમિત શાહ પર અતૂટ વિશ્વાસ રાખીને સંગઠનનું કામ કરે છે. પરંતુ પાયાના કાર્યકર્તાઓમાં એક ચર્ચા ચાલે છે: PM મોદી-અમિત શાહ વિના આપણું તારણહાર કોણ? આ વિચાર જ કાર્યકર્તાઓને ડગમગાવી દે છે. આ ચિંતા માત્ર કાર્યકર્તાઓની નથી એ ગુજરાતની જનતાની પણ છે જે ભાજપને ખોબલે ને ખોબલે વોટ આપી વધાવે છે અને ભાજપ પાસે સ્થાનિક સ્તરે મજબૂત અને વિશ્વાસપાત્ર નેતૃત્વની અપેક્ષા રાખે છે.
ગુજરાત ભાજપના પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ વિશે પણ ગુજરાતની જનતા અને કાર્યકર્તાઓના મનમાં અને ચર્ચાઓમાં અનેક પ્રશ્નો અને અવિશ્વાસ ઊભો થયેલો જણાઈ રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ. રાજ્યની જનતા સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવીને નેતાઓએ પોતાની સ્વીકૃતિ વધારવી પડશે. સ્થાનિક મુદ્દાઓ પર સક્રિય થઈ જનતાના હૃદયમાં સ્થાન બનાવવું જરૂરી છે. નેતાઓએ PM મોદી- અમિત શાહની નીતિઓ અને શૈલીનું અનુસરણ કરી પોતાની આગવી ઓળખ ઊભી કરવી પડશે. સંગઠનમાં નવા ચહેરાઓને તક આપી, યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવું પણ આવશ્યક છે.
ગુજરાત ભાજપનું ભવિષ્ય મજબૂત નેતૃત્વના નિર્માણ પર ટકેલું છે. જો પ્રદેશ નેતાઓ નબળા હશે કે સત્તાના મદમાં રાચનારા હશે અને જો આજે જાગૃત નહીં થાય તો PM મોદી-અમિત શાહની ગેરહાજરીમાં પક્ષની લોકપ્રિયતા અને સંગઠનાત્મક શક્તિ ઘટવાનું જોખમ છે. ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તાઓને એવું નેતૃત્વ જોઈએ છે જે પ્રદેશ તથા સ્થાનિક સ્તરે સક્રિય, લોકપ્રિય અને વિશ્વાસપાત્ર હોય. આ જવાબદારી હવે ગુજરાત ભાજપના પાયાના કાર્યકર્તાઓ પ્રદેશ સંગઠનના નેતાઓ અને ચૂંટાયેલા નેતાઓના શિરે છે.
Related Posts
Top News
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ, દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Opinion
