- Politics
- શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં લેવાનો ઇનકાર કરી દીધો છે. રાઉઝ એવન્યૂ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે, જેનાથી ગાંધી પરિવારને રાહત મળી છે. રાઉઝ એવન્યુ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે FIRની નકલો હાલમાં સોનિયા ગાંધી અને આ કેસના અન્ય આરોપીઓને આપવામાં નહીં આવે.
મંગળવારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત આપતા દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટના સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ જણાવ્યું હતું કે આ તબક્કે ધ્યાન આપી શકાય નહીં કારણ કે EDનો કેસ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી ખાનગી ફરિયાદ પર આધારિત છે અને મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા સમન્સના આદેશો પર આધારિત છે, FIR પર નહીં.
નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી કરતા કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે તપાસ એજન્સી CBIએ અત્યાર સુધી પ્રિડિકેટ ગુનો નોંધ્યો નથી, છતા EDએ તપાસ આગળ વધારી છે. FIR ન હોવા છતા મની લોન્ડરિંગ તપાસ અને તેના આધારે દાખલ કરાયેલી ફરિયાદ કાયમ નહીં રહી શકે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આવી ફરિયાદના આધારે મની લોન્ડરિંગની કાર્યવાહી પણ જાળવી શકાતી નથી. ખાનગી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદનું ધ્યાન રાખવું કાયદેસર રીતે માન્ય નથી. કેસના ગુણ-દોષ (મેરિટ્સ) વગેરે સાથે જોડાયેલા તર્કો પર વિચાર કરવાની કે નિર્ણય લેવાની કોઈ જરૂર નથી.
આ કોર્ટના નિર્ણય બાદ દિલ્હી પોલીસની EOW દ્વારા દાખલ કરવામાં આવેલી FIR હવે મહત્ત્વપૂર્ણ રહેશે. EOWએ તાજેતરમાં નેશનલ હેરાલ્ડ મામલે કેસ નોંધ્યો છે. આરોપીઓને આર્થિક ગુના શાખા (EOW) દ્વારા દાખલ કરવામાં આવેલી FIRની નકલ પૂરી પાડવા માટે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારતી દિલ્હી પોલીસની અરજી પર મંગળવારે સુનાવણી થઈ હતી. આ અગાઉ સોમવારે પણ સુનાવણી થઈ હતી. રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી આજે એટલે કે મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ 3 ઓક્ટોબરના રોજ નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલી નવી FIR નોંધી હતી. આ FIRમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા સેમ પિત્રોડા, સુમન દુબે, યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. FIR નોંધાયા બાદ, આરોપીઓએ FIRની નકલ માંગી હતી. જોકે, કોર્ટે હવે સ્પષ્ટતા કરી છે કે આરોપીઓને FIRની નકલ નહીં મળે.
નેશનલ હેરાલ્ડ કેસ શું છે?
નેશનલ હેરાલ્ડ કેસ પહેલાથી જ રાજકીય ઉથલ-પાથલનું કેન્દ્ર બન્યો છે. નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં પંડિત જવાહરલાલ નેહરુએ 5,000 સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને કરી હતી અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા આ અખબાર પ્રકાશિત કરવામાં આવતું હતું. નાણાકીય મુશ્કેલીઓને કારણે 2008માં આ અખબાર બંધ કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ વિવાદની શરૂઆત થઈ. 2010માં, યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીની રચના કરવામાં આવી હતી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની 38-38 ટકા હિસ્સેદારી છે.
નેશનલ હેરાલ્ડ કેસની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં જાણવા મળ્યું કે યંગ ઇન્ડિયને લગભગ 2,000 કરોડની AJL સંપત્તિ 50 લાખ રૂપિયામાં ખરીદી હતી, જ્યારે તેનું બજાર મૂલ્ય ખૂબ વધારે હતું. નવેમ્બર 2023માં EDએ લગભગ 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો અને 90.2 કરોડ રૂપિયાના AJL શેર જપ્ત કર્યા હતા, જેને ગુનામાંથી મળેલી રકમ માનવામાં આવી હતી.

