- Politics
- ‘આ લોકો PMને ગાળો આપે છે...’, ભાજપના પૂર્વ સાંસદે મહિલાનું નામ પુછ્યું અને તેને આપેલો ધાબળો પાછો લઈ
‘આ લોકો PMને ગાળો આપે છે...’, ભાજપના પૂર્વ સાંસદે મહિલાનું નામ પુછ્યું અને તેને આપેલો ધાબળો પાછો લઈ લીધો
રાજસ્થાનના ટોંકના ભાજપના પૂર્વ સાંસદ સુખબીર સિંહ જૌનાપુરિયાએ એક કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓને ધાબળા આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, ‘આ લોકો મોદીને ગાળો આપે છે, એટલે તેમણે અહીં ન આવવું જોઈએ.’ જોકે, કેટલાક ગ્રામજનોએ તેમની હરકત પર આપત્તિ દર્શાવી હતી, જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘આ તેમની મરજી છે તેઓ કોને ધાબળા આપે અને કોને નહીં.’
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હવે તેના પર વિવાદ ઉભો થઈ ગયો છે. ઘણા વિપક્ષી નેતાઓએ પણ આ વીડિયો શેર કરતા સુખબીર સિંહના વલણ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આજ તકના અહેવાલ મુજબ, આ ઘટના ટોંકના નિવાઈ વિધાનસભા ક્ષેત્રના કરેડા બુઝુર્ગ ગામમાં બની હતી. પૂર્વ સાંસદ સુખબીર સિંહ જૌનાપુરિયા રવિવાર, 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળીને દિલ્હીથી પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન તેઓ જરૂરિયાતમંદોને ધાબળા વહેંચવા માટે કરેડા બુઝુર્ગ ગામમાં રોકાયા હતા. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સુખબીર સિંહ ત્યાં હાજર મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોને જોઈને નારાજ થઈ જાય છે. તેઓ ત્યાં એક મહિલાનું નામ પૂછે છે અને પછી તેને ત્યાંથી જવાનું કહી રહ્યા છે. ત્યારબાદ સુખબીરને કહેતા સાંભળી શકાય છે, ‘આ લોકો અહીંથી સમાન લઈ જાય છે અને પછી મોદીને ગાળો આપે છે.’
સુખબીર સિંહે કેટલીક મહિલાઓને આપેલા ધાબળા પણ પાછા લઈ લીધા અને તેમને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. તેમના વર્તનનો ગામના લોકોએ વિરોધ પણ કર્યો હતો. સુખબીર જતા રહ્યા ત્યારે, કેટલાક લોકો તેમની કાર પાસે આવ્યા અને કહ્યું કે, ‘આ તમે સારું ન કર્યું. જે લોકો આવ્યા હતા તેમને હટાવવા નહોતા જોઈતા.’ સુખબીર કહે છે, ‘તેમણે કંઈ ખોટું કર્યું નથી. આ કોઈ સરકારી કાર્યક્રમ નથી; તે તેમનો અંગત કાર્યક્રમ છે. તેઓ જેને ઈચ્છે તેને ધાબળા આપી શકે છે.’
https://twitter.com/SupriyaShrinate/status/2025759038429077872?s=20
આજ તકના અહેવાલ મુજબ સુખબીર સિંહ જૌનપુરિયાએ કહ્યું કે, ‘કાર્યક્રમમા વિશેષ ધર્મની 15-20 મહિલાઓ આવી ગઈ હતી. આ મારો અંગત કાર્યક્રમ હતો. તેઓ મોદીને ગાળો આપે છે. આવું થોડું ચાલે. આ સારી વાત નથી. મતની વાત નથી. બધા મત આપતા નથી, પરંતુ તમે ગાળો થોડા આપી શકો છો. દરેકને સરકારી યોજનાઓ હેઠળ બધું મળે છે. પરંતુ હું નહીં આપી શકું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમનું વલણ લોકો પ્રત્યે અપમાનજનક નહોતું, ત્યારે ભૂતપૂર્વ સાંસદે કહ્યું કે, ‘નહીં બિલકુલ નહીં. મેં આદરપૂર્વક કહ્યું હતું. તમારે આવવું જોઈતું નહોતું. આ તમને શોભતું નથી.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘જો તમે આ લોકોને રેલીમાં આમંત્રણ આપો છો, તો તેઓ નહીં આવે. તેઓ અમારા કાર્યક્રમોમાં પણ આવતા નથી.’
તેમ છતા આખો મુદ્દો રાજકીય રીતે ગરમાયો છે. વિપક્ષી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ સુખબીર સિંહનો એક વીડિયો શેર કરીને તેમના પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સુપ્રિયા શ્રીનેતે, વીડિયો શેર કરીને લખ્યું છે કે, ‘ભાજપના પૂર્વ સાંસદ સુખબીર સિંહ જૌનપુરિયા ટોંકમાં ધાબળા વહેંચી રહ્યા હતા. ત્યારે તેમણે એક ગરીબ મુસ્લિમ મહિલાને બેઇજ્જત કરીને તેનો ધાબળો પાછો લઈ લીધો. વાસ્તવમાં, આ માણસ પોતે એક નાનો અને ધિક્કારપાત્ર માણસ છે, હૃદય અને વિચારોથી ગરીબ છે. લોકોએ વિરોધ કરીને સારું કર્યું. ધાબળો મોઢા પર મારવો જોઈતો હતો.

