- Sports
- પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે
પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે
T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પહેલાથી જ રાજકીય વિવાદો અને બહિષ્કારની ચીમકીઓને કારણે ખૂબ ચર્ચામાં રહી છે, પરંતુ હવે મેચ રમાશે તે નક્કી થઇ ગયું છે. જોકે, આ હાઇ-વોલ્ટેજ મેચમાં ટીમ ઇન્ડિયાને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નામિબિયા સામે તાજેતરમાં મળેલી જીત છતા ટીમ ઇન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

અભિષેક શર્માની ફિટનેસ અંગે પ્રશ્નો
ટીમનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા, પેટના ઇન્ફેક્શન સામે ઝઝૂમી રહ્યો છે. પ્રથમ મેચ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને નામિબિયા સામેની મેચ ગુમાવવા પડી હતો. જોકે, હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અને ટીમ મેનેજમેન્ટ સતર્ક છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે એવો પણ સંકેત આપ્યો હતો કે તેને પાછા ફરવામાં એક કે બે મેચ વધુ લાગી શકે છે. જો અભિષેક શર્મા પાકિસ્તાન સામે પણ નહીં રમે તો ટીમની ચિંતા વધી શકે છે.
રિંકૂ સિંહનું ખરાબ ફોર્મ
મિડલ-ઓર્ડર ફિનિશરની ભૂમિકા ભજવનાર રિંકૂ સિંહે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું નથી. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં, તેણે 14 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા અને એક પણ ચોગ્ગો કે છગ્ગો ફટકાર્યો નહોતો. બીજી મેચમાં તેણે 6 બોલમાં માત્ર 1 રન બનાવ્યો, જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. રિંકૂ સામાન્ય રીતે તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ હાલમાં તેનું બેટ શાંત નજરે પડી રહ્યું છે.
સ્પિનરો સામે બેટ્સમેન ફસાયા
નામિબિયા સામેની મેચમાં, ભારતે 209 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને મિડલ ઓવરોમાં સ્પિનરો વિરુદ્ધ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ અને ગેરહાર્ડ ઇરાસ્મસ જેવા નામિબિયાના સ્પિનરોએ વિકેટ લીધી અને મિડલ ઓવરોમાં ભારતને રોકી દીધું. આ ફરી એકવાર સ્પિન સામે ભારતીય બેટ્સમેનોની નબળાઈ છતી કરે છે. પાકિસ્તાન પાસે મજબૂત સ્પિન આક્રમણ છે, અને કોલંબોની પીચ સ્પિન-ફ્રેન્ડલી હોઈ શકે છે, જે ટીમ ઈન્ડિયા માટે જોખમી સાબિત થઈ શકે છે.
પાવરપ્લેમાં નબળી બોલિંગ
નામિબિયાએ પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી હતી, અને ભારતના બોલરો શરૂઆતમાં મોંઘા સાબિત થયા હતા. પાવરપ્લેમાં નામિબિયાએ પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે પાવરપ્લે મહત્ત્વપૂર્ણ બની શકે છે, જ્યાં તેમના ઓપનર્સ આક્રમક બની શકે છે. ભારતના બોલરોને વધુ સારા નિયંત્રણની જરૂર છે, નહીં તો પાકિસ્તાન મોટો સ્કોર બનાવી શકે છે.

