- World
- ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો
ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બુધવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના ઘટી છે. થાઈલેન્ડનો ધ્વજ ધરાવતું અને ગુજરાત તરફ આવી રહેલું એક માલવાહક જહાજ અજ્ઞાત મિસાઇલ અથવા પ્રોજેક્ટાઈલનો શિકાર બન્યું છે. આ હુમલા બાદ જહાજમાં ભીષણ આગ લાગી હતી, ત્યારબાદ હાથ ધરવામાં આવેલા બચાવ કાર્યમાં 20 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
આ જહાજનું નામ મયુરી નારી (Mayuree Naree) છે. જહાજ થાઈલેન્ડથી ગુજરાત તરફ આવી રહ્યું હતું. ઓમાનના ઉત્તરી કિનારાથી આશરે 11 નોટિકલ માઈલ દૂર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આ હુમલો થયો હતો. મેરીટાઇમ રેકોર્ડ મુજબ, આ જહાજ 'પ્રેશિયસ શિપિંગ' (Precious Shipping) કંપનીનું છે.

11 માર્ચના રોજ બનેલી આ ઘટના અંગે 'બેંગકોક પોસ્ટ'ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એક અજ્ઞાત વસ્તુ (Projectile) જહાજ સાથે અથડાતા જોરદાર ધડાકો થયો હતો અને જહાજમાં આગ લાગી ગઈ હતી. જોકે, થોડા સમય બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) અને રોયલ થાઈ નેવીએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે.
https://twitter.com/ThaiEnquirer/status/2031661270164988052
જહાજ પર હુમલો થતા જ ઓમાનની નેવી દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જહાજ પર કુલ 23 ક્રૂ મેમ્બરો સવાર હતા. તેમાંથી 20 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. 3 ક્રૂ મેમ્બરો હજુ પણ જહાજ પર જ હાજર છે. હજુ સુધી તેમની તબિયત કે જહાજને થયેલા નુકસાન અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ હુમલો કોણે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધી કોઈ પણ જૂથ કે દેશે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જોકે, આ વિસ્તારમાં તેહરાન (ઈરાન) સાથે જોડાયેલા તણાવને કારણે મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીઓ આ ઘટનાને ગંભીરતાથી જોઈ રહી છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ વેપારી માર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વનો મોટો ઉર્જા પુરવઠો પસાર થાય છે. આ હુમલા બાદ આંતરરાષ્ટ્રીય શિપિંગ અને નેવલ ઓથોરિટીઝ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.

