- Business
- શું ટાટાએ એર ઇન્ડિયા ખરીદીને સામેથી મુશ્કેલી લઇ લીધી છે? હવે CEOએ પણ સાથ છોડ્યો
શું ટાટાએ એર ઇન્ડિયા ખરીદીને સામેથી મુશ્કેલી લઇ લીધી છે? હવે CEOએ પણ સાથ છોડ્યો
એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને રાજીનામું આપી દીધું છે. આ બાબતની સીધી જાણકારી ધરાવતા એક સૂત્રએ મંગળવાર, 7 એપ્રિલે એક સમાચાર એજન્સીને આ વાતની જાણ કરી હતી. ગયા વર્ષે બોઇંગ ક્રેશમાં 260 લોકોના મોત થયા પછી, એરલાઇન સતત થતા નુકસાન અને વધતા નિયમનકારી દબાણનો સામનો કરી રહી છે. કેમ્પબેલ 2022માં એર ઇન્ડિયામાં CEO તરીકે જોડાયા હતા. એર ઇન્ડિયા સાથેનો તેમનો કરાર પાંચ વર્ષનો હતો, જે જુલાઈ 2027માં સમાપ્ત થવાનો હતો.
આની સાથે જ ટાટાની માલિકી ધરાવતી આ એરલાઇન માટે મુશ્કેલીઓ વધતી જતી નજરે આવે છે. નજીકના અંદરના સૂત્રોના અંદાજોના આધારે, મીડિયા સૂત્રને મળેલી માહિતીના આધારે એવું કહેવામાં આવે છે કે, ટાટા સન્સ જૂથમાં તમામ નવા વ્યવસાયોને નાણાકીય વર્ષ 2026માં આશરે રૂ. 29,000 કરોડનું સંયુક્ત નુકસાન થવાનો અંદાજ છે. આ રૂ. 5,700 કરોડના અગાઉના અંદાજ કરતાં ખુબ જ વધારે છે. ઘણા ખોટ કરતા સાહસોમાં, એર ઇન્ડિયા કંપનીની સૌથી મોટી સમસ્યા રહે છે. પરિસ્થિતિ એવી છે કે, એવી અટકળો ચાલી રહી છે કે ટાટાએ એર ઇન્ડિયાને હસ્તગત કરીને ખોટ કરતો સોદો કર્યો છે.
નાણાકીય વર્ષ 2026માં એર ઇન્ડિયાનું નુકસાન રૂ. 20,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ લગાવવામાં આવે છે, જે અગાઉના અંદાજ રૂ. 2,000 કરોડ કરતા દસ ગણું વધારે છે. પહેલા નવ મહિનામાં રૂ. 15,000 કરોડનું મોટું નુકસાન નોંધાઈ ચૂક્યું છે. નાણાકીય વર્ષ 2025માં, નુકસાન રૂ. 11,000 કરોડ હતું.
મીડિયા સૂત્રોના એક અહેવાલમાં એર ઇન્ડિયાના નુકસાન પાછળ ઘણા બાહ્ય દબાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં પાકિસ્તાન દ્વારા તેનું એરસ્પેસ બંધ કરવું, ક્રૂડ ઓઇલના ભાવ 100 ડૉલરથી ઉપર વધવું અને અમદાવાદ વિમાન દુર્ઘટનાનો સમાવેશ થાય છે. અહેવાલમાં પરિસ્થિતિને એરલાઇન માટે 'સંપૂર્ણ તોફાન' તરીકે વર્ણવવામાં આવી છે. ભારતીય એરલાઇન, જેની પાસે 191 બોઇંગ અને એરબસ વિમાનોનો કાફલો છે, 2022માં ટાટા દ્વારા હસ્તગત કરવામાં આવી ત્યારથી ખોટમાં ચાલી રહી છે. ગયા વર્ષે પાકિસ્તાને ભારતીય વિમાનોને તેના એરસ્પેસ પરથી ઉડવા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારથી નાણાકીય દબાણ ઘણું વધી ગયું છે.

