- Business
- ચેકથી પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યો નિયમ
ચેકથી પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યો નિયમ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ચેકથી પેમેન્ટ કરનારા લોકોને લઇને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIએ એ નવી સિસ્ટમની શરૂઆત અસ્થાયી રૂપે મુલતવી રાખી છે જેમાં બેંકોએ ચેક મળ્યાના માત્ર 3 કલાકની અંદર જ પાસ અથવા રિજેક્ટ કરવાનું હતું. આ વ્યવસ્થા 3 જાન્યુઆરી, 2026થી લાગૂ થવાની હતી, પરંતુ હવે તેને આગામી સૂચના સુધી મુલતવી રાખવામાં આવી છે.
RBIની નવી યોજના શું હતી?
RBI દેશમાં ચેક ક્લિયરન્સ પ્રક્રિયાને ઝડપી અને આધુનિક બનાવવા માંગે છે. આ હેતુથી તેણે સતત ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ (CCS) ફ્રેમવર્કની જાહેરાત કરી હતી. તેનો બીજો તબક્કો એટલે કે ફેઝ-2, સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો હતો કારણ કે તેનાથી ચેક ક્લિયરન્સનો સમય ખૂબ ઓછો થઈ જતો. ફેઝ-2 હેઠળ કોઈ બેંકને જેવી જ ચેકની ડિજિટલ ઇમેજ પ્રાપ્ત થાય કે તેની પાસે માત્ર 3 કલાકનો સમય રહેતો કે તેઓ એકસેપ્ટ કરે અથવા રિજેક્ટ. જો બેંક આ સમયમર્યાદામાં કોઈ જવાબ નહીં આપે તો ચેક આપમેળે ક્લિયર થઈ માનવામાં આવતો.
RBIએ અચાનક બ્રેક કેમ લગાવી?
24 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલા પરિપત્રમાં RBIએ જણાવ્યું હતું કે, CCS ફ્રેમવર્કના ફેઝ-2ને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. સાર્વજનિક રીતે કોઈ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ નિર્ણય બેંકોની ટેક્નિકલ તૈયારી, સિસ્ટમ અપગ્રેડ અને ઓપરેશનલ પડકારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. RBIએ સ્પષ્ટતા કરી હતી કે નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી, હાલની સિસ્ટમ, ફેઝ-1, પહેલાની જેમ ચાલુ રહેશે.
આ વર્ષની શરૂઆતમાં ફેઝ-1 લાગૂ કરવામાં આવ્યો હતો. આ હેઠળ ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) દ્વારા ચેકની ભૌતિક મૂવમેન્ટ દૂર કરવામાં આવી હતી. હવે ડિજિટલ ઇમેજ અને ઇલેક્ટ્રોનિક ડેટાનો ઉપયોગ કરીને ચેક ક્લિયર કરવામાં આવે છે, જેથી પ્રક્રિયા ઝડપી બને છે. હવે, બેંકો દિવસમાં સુનિશ્ચિત બેચની રાહ જોતી નથી; જેવો જ ચેક મળે છે, તેની ઇમેજ ક્લિયરિંગ હાઉસને મોકલવામાં આવે છે. ડ્રોઈ બેંક, એ ઇમેજ જોઈને નિર્ણય લે છે અને ઇલેક્ટ્રોનિક રીતે એપ્રૂવ અથવા રિજેક્ટ કરવામાં આવે છે.
RBIએ ચેક પ્રોસેસિંગ માટે કામકાજના કલાકોમાં પણ ફેરફાર કર્યો છે. ચેક જમા કરવાની વિન્ડો હવે સવારે 9:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બેંકો સવારે 9:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી ચેકને કન્ફર્મ અથવા રિજેક્ટ કરી શકે છે. આનાથી ગ્રાહકોને એક જ દિવસે ચેક ક્લિયરન્સ મળવાની શક્યતા વધી જાય છે.
ફેઝ-2 મુલતવી રાખવાનો અર્થ એ છે કે 3 કલાકની કડક ચેક ક્લિયરન્સમાં સમયમર્યાદા હવે લાગૂ નહીં થાય. એટલે કે ચેક ક્લિયર થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. જો કે, વર્તમાન સિસ્ટમ પહેલા કરતા ખૂબ ઝડપી છે, એટલે ગ્રાહકોને કોઈ મોટી પરેશાની નહીં થાય.

