- Entertainment
- ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો
ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. મનોરંજન અને રાજકીય જગતની ઘણી જાણીતી હસ્તીઓએ દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આમાં ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રણૌતનો સમાવેશ થાય છે. ઈશા દેઓલ પણ પોતાની બહેન આહના સાથે પ્રાર્થના સભામાં હાજર રહી હતી. આ બેઠક દરમિયાન, હેમા માલિનીએ ખુલાસો કર્યો કે ધર્મેન્દ્રનું એક સપનું અધૂરું છે.
હિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્રની યાદમાં આયોજિત પ્રાર્થના સભામાં, હેમા માલિનીએ આંસુભરી આંખો સાથે તેમના પતિ અંગે વાત કરી. દિલ્હીમાં આયોજિત પ્રાર્થના સભામાં તેમણે જણાવ્યું કર્યું કે તેમના જીવનના છેલ્લા દિવસોમાં ધર્મેન્દ્રએ ઉર્દૂમાં કવિતા લખવા લાગ્યા હતા, અને તે તેમનો નવો જુસ્સો બની ગયો હતો. ધર્મેન્દ્રના જુસ્સાને જોઈને, તેમણે તેમના પતિને સલાહ આપી હતી કે તેઓ પોતાની કવિતાને પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરાવે, પરંતુ તેમનું સપનું પૂરું થાય તે પહેલાં જ તેમનું અવસાન થઇ ગયું. પ્રાર્થના સભામાં હેમાએ કહ્યું કે, ‘આ ધર્મેન્દ્રનું અધૂરું કામ રહ્યું, જે તેમનું સપનું હતું.’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે નવી દિલ્હીમાં ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને તેમને યાદ કર્યા હતા. આ દરમિયાન, અમિત શાહે એક ભાષણ પણ આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે ભલે તેઓ આ મહાન અભિનેતાને ક્યારેય મળ્યા નથી, પરંતુ ભારતીય સિનેમામાં તેમના યોગદાનને હંમેશાં યાદ રાખશે. અમિત શાહે ધર્મેન્દ્રના મૃત્યુને ‘મોટી ખોટ’ ગણાવી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
ધર્મેન્દ્રની કારકિર્દી અંગે વાત કરતાં હેમાએ આગળ કહ્યું કે, ‘ધર્મેન્દ્રજીએ તેમની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને રોમેન્ટિક, એક્શન હીરો અને ગંભીર ભૂમિકાઓ સહિત વિવિધ ભૂમિકાઓ ભજવી. પરંતુ તેમને કોમેડી સૌથી વધુ પસંદ હતી. તેમને ફિલ્મોનો ખૂબ જ શોખ હતો; તેમને કેમેરા સામે રહેવાનું પસંદ હતું. હેમાએ વધુમાં કહ્યું કે, ‘તેઓ 8 ડિસેમ્બરે 90 વર્ષના થઇ ગયા હોત. અમે તેમનો જન્મદિવસ ઉજવ્યો, અને આખા દેશે પણ ઉજવ્યો. લોકો ખૂબ જ ભાવુક હતા. આજે પણ લોકો મારી પાસે આવે છે અને તેમના વિશે વાત કરે છે. ધરમજીને જેટલો આદર અને પ્રેમ મળ્યો, એટલો કોઈને મળવો ખૂબ જ મુશ્કેલ છે. ક્યારેક-ક્યારેક હું વિચારું છું કે તેમનું જીવન કેટલું મોટું અને અસાધારણ હતું.

