- National
- 9 વર્ષનો પ્રેમ, લગ્નના 2 મહિના...પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું
9 વર્ષનો પ્રેમ, લગ્નના 2 મહિના...પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પ્રેમ કહાનીનો ભયાનક અંત આવ્યો. 33 વર્ષીય જીતેન્દ્ર કુમાર યાદવે તેની 9 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ જ્યોતિ સાથે બે મહિના અગાઉ જ લગ્ન કર્યા હતા. શહેરના ઇજ્જતનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં જિતેન્દ્રનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તેને આત્મહત્યા માનવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો. તેમાં મૃત્યુનું કારણ ગળું દબાવવાનું જણાવાયું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ‘જ્યોતિએ તેના પિતા-માતા અને ભાઈ સાથે મળીને જિતેન્દ્રનો જીવ લઈ લીધો હતો. સાસરિયાઓએ જિતેન્દ્રના હાથ-પગ પકડી રાખ્યા હતા અને જ્યોતિએ તેનું ગળું દબાવી દીધું હતું. આ ઘટનાને આત્મહત્યા બતાવવા માટે, મૃતદેહને મફલરના સહારે બારીની ગ્રીલ પર લટકાવી દેવામાં આવી હતી.
શું વિવાદ હતો?
જિતેન્દ્ર અને જ્યોતિ જ્યારે ભણતા હતા, ત્યારથી જ સંબંધમાં હતા. તેમણે 25 નવેમ્બર, 2025ના રોજ તેમના પરિવારોની સહમતિથી લગ્ન કર્યા હતા. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જિતેન્દ્રએ કથિત રીતે જ્યોતિના બેંક ખાતામાંથી ₹20,000 ઉપાડ્યા અને ઓનલાઈન જુગારમાં હારી ગયો. 26 જાન્યુઆરીના રોજ આ વાતને લઈને ઝઘડો એટલો વધી ગયો કે જ્યોતિએ તેના પિયરના લોકોને ફોન કરીને બોલાવી લીધા અને બધાએ મળીને ઘટનાને અંજામ આપ્યો. પોલીસે પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે જ્યોતિના ભાઈની શોધખોળ ચાલી રહી છે.
જિતેન્દ્ર બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (IVRI)માં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરતો હતો. જ્યોતિ ઉત્તર પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ પર બસ કંડક્ટર તરીકે કામ કરતી હતી. જ્યોતિએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલી લીધો. તેણે જણાવ્યું કે તેમના લગ્ન બાદ, પૈસાને લઈને તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, જેના કારણે તેમની વચ્ચે કડવાશ વધુ વધી ગઈ હતી. તેણે દાવો કર્યો કે તે દિવસે બહેસ કાબૂથી બહાર થઈ ગઈ હતી, જેના કારણે તેણે તેના પરિવારને ફોન કરીને બોલાવ્યો હતો.

