- Entertainment
- થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્ય...
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?
અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જના નાયકન’ માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે, પરંતુ રીલિઝ અગાઉ જ તે એક નવા વિવાદમાં સપડાઈ ગઈ છે. વિજયની ‘જના નાયકન’ને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી.
એક તરફ વિજયે જાહેરાત કરી છે કે ‘જના નાયકન’ તેની છેલ્લી ફિલ્મ છે અને ત્યારબાદ તે માત્ર રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે, સુપરસ્ટાર ચૂંટણી મેદાનમાં ઉતરે તે અગાઉ, તેની ફિલ્મ અંગે એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. તેમની ફિલ્મને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી, જેના કારણે નિર્માતાઓ હાઇકોર્ટનો દરવાજો ખખડાવી ચૂક્યા છે. કોર્ટે પણ આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
‘જના નાયકન’ થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ છે. વિજયે રાજકારણમાં પ્રવેશતા પહેલા જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી ફિલ્મ હશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રીલિઝ થયું હતું, જેમાં તેમનું પાત્ર સામાન્ય લોકોને સરકારને પ્રશ્ન કરવા, ભ્રષ્ટાચાર સામે લડવા અને પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે. જોકે, વિજય દ્વારા આવી ફિલ્મો કરવી નવી વાત નથી; તે અગાઉ પણ આવી જ ફિલ્મો કરી ચૂક્યો છે અને આ ફિલ્મોને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. થલપતિ વિજયની ‘કથ્થી’, ‘મેર્સલ’, અને ‘સરકાર’ જેવી ફિલ્મો આવા જ વિષયો પર રહી છે.
‘જના નાયકન’ને લઈને વિવાદ શું છે?
‘જના નાયકન’નું ટ્રેલર રીલિઝ થયા બાદ થલપતિ વિજય પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેણે આવી જ એન્ટ્રી એસ્ટેબ્લિશમેન્ટ ફિલ્મો દ્વારા પોતાની ‘લોકોના હીરો’ તરીકેની છબી ઉભી કરી છે, અને હવે તેઓ આ છબીનો ઉપયોગ રાજકારણમાં કરવા જઇ રહ્યા છે. તમિલનાડુમાં અગાઉ ઘણા કલાકારોએ રાજકારણમાં પ્રવેશવા માટે સિનેમાનો ઉપયોગ કર્યો છે અને હવે થલાપતિ વિજય પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે રાજકારણ સુધી પહોંચવા માટે એક ઇરાદાપૂર્વકની યોજના હેઠળ ફિલ્મોમાં અભિનય કર્યો. આ આરોપોની અસર હવે તેની ફિલ્મ ‘જના નાયક’ પર પણ પડી રહી હોય તેવું લાગે છે, જેની રીલિઝ ડેટ બે દિવસમાં થવાની છે અને હજુ સુધી સેન્સર બોર્ડની લીલીઝંડી મળી નથી.
એવું માનવામાં આવી રહ્યું કે વિજયની ફિલ્મ ‘જના નાયકન’ તેની ‘લોક નાયકન’ તરીકેની છબીને મજબૂત બનાવશે, પરંતુ હવે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી, તો અત્યાર સુધી તેના એડવાન્સ બુકિંગ પૂરી રીતે ખુલ્યા નથી. મંગળવારે, નિર્માતાઓએ મદ્રાસ હાઇકોર્ટમાં ફિલ્મ માટે સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. જેમાં પ્રોડક્શનનો આરોપ છે કે સેન્સર બોર્ડે અનુચિત રીતે સર્ટિફિકેટ રોકી રાખ્યું છે અને તેનાથી ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો. આટલું જ નહીં, ન્યાયાધીશ આશાએ સંકેત આપ્યો કે આદેશ 9 જાન્યુઆરીની સવારે આપવામાં આવે તેવી શક્યતા છે.

