- Gujarat
- ભારત-શ્રીલંકા સંબંધો મજબૂત થશે, પહેલી વખત ગુજરાતથી શ્રીલંકા મોકલાયા ભગવાન બુદ્ધના અવશેષો
ભારત-શ્રીલંકા સંબંધો મજબૂત થશે, પહેલી વખત ગુજરાતથી શ્રીલંકા મોકલાયા ભગવાન બુદ્ધના અવશેષો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 63 વર્ષમાં પહેલી વાર એમ.એસ. યુનિવર્સિટીમાંથી ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા અવશેષો કાઢીને શ્રીલંકા માટે રવાના કર્યા. આ અંગે ભુપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ભારત અને શ્રીલંકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ સુદૃઢ બનાવવા અને ભગવાન બુદ્ધના શાંતિના સંદેશને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસારિત કરવાના હેતુથી આજે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો અવસર મળ્યો.’
તેમણે આગળ લખ્યું કે, ‘ગુજરાતના દેવનીમોરી ખાતેથી ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયેલા બૌદ્ધ ધર્મને સંલગ્ન પવિત્ર અવશેષોને શ્રીલંકાના કોલંબો ખાતે યોજાનાર પ્રદર્શનમાં દર્શનાર્થે મોકલવા માટે આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતેથી આદરપૂર્વક પ્રસ્થાન કરાવ્યું. આ અવશેષો આપણી સમૃદ્ધ બૌદ્ધ વિરાસતના પ્રતિક છે જે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રદ્ધાળુઓના દર્શનાર્થે મુકાશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ ભારત પોતાની આધ્યાત્મિક ધરોહરને વિશ્વ મંચ પર ગૌરવભેર રજૂ કરી રહ્યું છે.'
ગુજરાત હંમેશાં બૌદ્ધ ધર્મનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. દેવનીમોરીથી લઈને વડનગર સુધી પથરાયેલી આ વિરાસત આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભગવાન બુદ્ધના શાંતિ, કરુણા અને અહિંસાના સંદેશને પ્રસરાવી રહી છે. ભગવાન બુદ્ધના આશીર્વાદ સમગ્ર માનવજાતનું કલ્યાણ કરે અને વિશ્વભરમાં તેમના સંદેશનો પ્રસાર થાય તેવી પ્રાર્થના.’
ઉલ્લેખનીય છે કે, 14 જાન્યુઆરી, 1963ના રોજ શોધાયા બાદ આ અવશેષો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યા હતા. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રીલંકાની મુલાકાત બાદ, ભારતે તેમને ત્યાં પ્રદર્શન માટે મોકલવાનો નિર્ણય લીધો હતો. આ હેઠળ મંગળવારે એક સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને રવાના કર્યા હતા. ગાયકવાડ પરિવારના સભ્ય રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ પણ હાજર રહ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગુજરાતની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે.
https://twitter.com/Bhupendrapbjp/status/2018715745119776847?s=20
ભગવાન બુદ્ધના અવશેષો 4 થી 10 ફેબ્રુઆરી, 2026 દરમિયાન શ્રીલંકામાં જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવશે. કોલંબોમાં પ્રદર્શન બાદ, અવશેષો ભારત પાછા આવી જશે. ભારતના આ પગલાથી બંને દેશો વચ્ચેના કૂટનીતિક સંબંધો જ નહીં, પરંતુ આધ્યાત્મિક સંબંધો પણ મજબૂત બનશે. ભગવાન બુદ્ધની પવિત્ર દેવનિમોરીને શ્રીલંકા મોકલવી એ સાંસ્કૃતિક કૂટનીતિનું એક પગલું છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. પવિત્ર અવશેષોની પ્રદર્શની 4 થી 11 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કોલંબોના ગંગારામાયા મંદિરમાં આયોજિત થશે.
ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા આ અવશેષો બેઝકિંમતી છે. આ અવશેષોને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા કોલંબો લઈ જવામાં આવશે અને તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભિક્ષુઓ અને વરિષ્ઠ અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગની એક ટીમ પણ અવશેષો સાથે જશે. MSUના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે અવશેષોને છેલ્લે 2010માં જાહેર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા, જ્યારે રાજ્ય સરકારે શહેરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનનું આયોજન કર્યું હતું. સંમેલનના મુખ્ય અતિથિ દલાઈ લામા અવશેષો જોઈને ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં આ અવશેષોની યાત્રા અને પ્રદર્શન ગયા વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રીલંકાની મુલાકાત દરમિયાન વ્યક્ત કરાયેલા આધ્યાત્મિક પહોંચ અને સાંસ્કૃતિક કૂટનીતિનું પ્રતીક છે.
ભગવાન બુદ્ધના આ અવશેષો અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક સ્થિત દેવની મોરી પુરાતત્વીય સ્થળ પરથી મળી આવ્યા હતા. દેવની મોરીમાં ખોદકામ 1957માં MSUના પુરાતત્વ વિભાગના પ્રોફેસર એસ.એન. ચૌધરીની આગેવાની હેઠળની એક ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે, યુનિવર્સિટીના સંશોધકો જંગલી પ્રાણીઓથી પોતાને બચાવવા માટે બંદૂકોથી સજ્જ તંબુઓમાં રહેતા હતા. 14 જાન્યુઆરી 1963ના રોજ, તેમને બ્રાહ્મી લિપિમાં ‘દશબલ શરીર નિલય:’ લખેલું એક નાનકડું તાબૂત મળ્યું હતું. આનો મતલબ કે તે દશબલ (બુદ્ધ)ના અવશેષોનું નિવાસસ્થાન છે. આ તાબૂત સ્તૂપના પાયાથી 24 ફૂટ ઉપર મળી આવ્યું હતું. તેમાં તાંબાનો ડબ્બો છે, જેમાં પવિત્ર રાખ, રેશમી કાપડ, મોતિયો સાથે ઓર્ગેનિક પદાર્થો છે. અવશેષો હવે એર-ટાઈટ ડેસીકેટરમાં રાખવામા આવ્યા છે.

