- Gujarat
- અમદાવાદમાં 400 કિલો નકલી ઘી પકડાયું, પામોલિન તેલથી બનાવતા, સુગંધ માટે કેમિકલ નાખતા
અમદાવાદમાં 400 કિલો નકલી ઘી પકડાયું, પામોલિન તેલથી બનાવતા, સુગંધ માટે કેમિકલ નાખતા
ગુજરાતમાં ઘણી જગ્યાએ ઘીનો નકલી જથ્થો ઝડપાતો હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેછે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા નિકોલમાંથી નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે AMCના ફૂડ વિભાગે 400 કિલો જેટલો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, નિકોલ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ત્રાટકીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે નિકોલ વિસ્તારમાં એક સામાન્ય રહેણાંક મકાનમાં ગુપ્ત રીતે નકલી ઘી બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું. આરોગ્ય વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરીને કેમિકલ અને સસ્તા તેલની મદદથી નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, રામગોપાલ રાણારામજી કુંપાવત નામનો શખ્સ નિકોલમાં પોતાના મકાનના પહેલા માળે આ ધંધો ચલાવતો હતો. તે વેજીટેબલ ફેટ અને પામોલીન તેલ મિક્ષ કરીને ડુપ્લીકેટ ગાયનું ઘી બનાવતો હતો અને તેને Cow Ghee (Mangalmurti) બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં વેપાર કરતો હતો.
કસ્ટમરોને છેતરવા માટે તે જારના લેબલ પર ઉત્પાદક તરીકે મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ, કઠવાડાનું નામ અને એક્સપાયર થઈ ગયેલો FSSAI લાયસન્સ નંબર લખતો હતો.
આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે, આ નકલી ઘી બનાવવા માટે વેજીટેબલ ફેટ (વનસ્પતિ ઘી) અને પામોલિન તેલનું મિશ્રણ કરવામાં આવતું હતું. શુદ્ધ ઘી જેવી સુગંધ અને ટેક્સચર લાવવા માટે તેમાં ખતરનાક એસેન્સ અને રંગો ભેળવવામાં આવતા હોવાની આશંકા છે. આ મિશ્રણને ગરમ કરી તેને 'મંગલમૂર્તિ' બ્રાન્ડના નામે પેકિંગ કરીને બજારમાં અસલી ઘી તરીકે વેચવામાં આવતું હતું.
દરોડા દરમિયાન આરોગ્ય વિભાગે ઘટનાસ્થળેથી 500 કિલો જેટલું તૈયાર નકલી ઘી અને કાચો માલ જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત આશરે 1.60 લાખ રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીઓએ ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર એકમને સીઝ કરી દીધું છે.
આ ઘટનાએ ફરી એકવાર બજારમાં મળતી ખાદ્યસામગ્રીની શુદ્ધતા સામે સવાલો ઉભા કર્યા છે. તહેવારોની સીઝન અગાઉ જ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ફૂડ વિભાગે ઘટના સ્થળેથી 1,60,000ની કિંમતનો 400 કિલો જેટલો 500 ગ્રામ અને 100 mlના પેક જારનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત, 500 કિલો જેટલાં ખાલી જાર, લેબલો તેમજ ઘી બનાવવા અને પેકિંગ કરવાના સાધનો ગેસ, તપેલા, બાટલા, ટબ વગેરે સીઝ કર્યા છે. હાલમાં આ નકલી ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

