- Gujarat
- ગુજરાતની વધુ એક પાટીદાર મહિલા સિંગરે અન્ય સમાજના યુવક સાથે લવ મેરેજ કરી લેતા વિવાદ, સમાજમાં રોષ
ગુજરાતની વધુ એક પાટીદાર મહિલા સિંગરે અન્ય સમાજના યુવક સાથે લવ મેરેજ કરી લેતા વિવાદ, સમાજમાં રોષ
ગુજરાતમાં સિંગરોના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં આરતી સાંગાણી બાદ વધુ એક પાટીદાર ગાયિકાએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા છે. પાટીદાર સિંગરે મોચી યુવક સાથે લગ્ન કરતા વિવાદ શરૂ થયો છે. જયેશ વાઘેલા મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ (ડ્રમર) હોવાથી બંને ઘણા પ્રસંગોમાં સાથે જતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. તેમણે ભાગીને લગ્ન કરી લેતા પાટીદાર સમાજની લાગણી દુભાઈ છે અને સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર પાટીદાર અગ્રણીએ રોષ ઠાલવીને ગાયિકા અને પતિનો સામાજિક બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટના પ્રકાશમાં આવતા જ પાટીદાર સમાજના અગ્રણી હિરેન ભેસાણીયા (રુદ્રા) એ ફેસબુક પર આક્રમક પોસ્ટ મૂકીને સમગ્ર સમાજને જાગૃત થવા અપીલ કરી છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, ‘પાટીદાર સમાજને ફરી એકવાર વિનંતી કરું છું. કે આગળ જેવી રીતે સપોર્ટ કર્યો હતો એવી જ રીતે આ બાબતમાં સપોર્ટ કરજો. અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે પાટીદારની દિકરી ભગાડી જાવ અને પાટીદાર નામ પર ધંધો કરો. છોકરીનું નામ છે રિદ્વી રાજપરા (પાટીદાર) છોકરાનું નામ છે જયેશ વાઘેલા (મોચી) છે, જે 20.05.2026ના રોજ ભગાડીને લઈ ગયો છે. એટલે તમામ સિંગરો અને લગ્ન ગીત વાળા રિધમ વાળાને કે આ બેય ને કોઈ પાટીદાર સમાજના સ્ટેજ પર બુક કરવા નહીં વિનંતી કરીએ છીએ.’
તેમણે પાટીદાર સમાજના તમામ મંડળો, સંસ્થાઓ અને આયોજકોને સંગઠિત થવા આહવાન કર્યું છે કે, હવે પછી સમાજના એક પણ સામાજિક, ધાર્મિક કે રાસોત્સવના કાર્યક્રમમાં ગાયિકા રિદ્ધિ રાજપરા અને રિધમ પ્લેયર જયેશ વાઘેલાને મંચ પર સ્થાન આપવામાં ન આવે. સમાજના ગૌરવ અને સંસ્કારોને ઠેસ પહોંચાડનારા કલાકારોનો સામાજિક સ્તરે બહિષ્કાર થવો જોઈએ તેવી માગ ઉઠી છે.
હિરેન રુદ્રાએ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, આ મામલે સમાજ સ્તરે દીકરીને બચાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કપલ ગત 20મે 2026ના રોજ ઘરેથી ભાગી ગયું હતું. મને જાણ થતાં જ મેં તાત્કાલિક રિદ્ધિના પિતાનો સંપર્ક કર્યો અને આ બંનેને મારી ઓફિસે બોલાવ્યા હતા. મેં દીકરીને સમાજની ગરિમા, માતા-પિતાની આબરૂ અને તેની ઉજ્જવળ કારકિર્દીનો વાસ્તવિક ચિતાર આપીને માન-સન્માન સાથે ઘરે પાછા વળી જવા ખૂબ સમજાવી હતી. યુવકને પણ દીકરીનું ભવિષ્ય ન બગાડવા કહ્યું હતું, પરંતુ બંને કલાકારો પોતાની જીદ પર અડગ રહ્યા હતા.
પાટીદાર સમાજમાં સંસ્કારો અને પરિવારની આબરૂનું સ્થાન હંમેશાં સર્વોપરી રહ્યું છે. રિદ્ધિએ તેના માતા-પિતાને ક્યારેય સમાજમાં નીચું જોવું નહીં પડે તેવો ભરોસો આપ્યો હતો. પરંતુ, દીકરીના આ અચાનક પગલાંથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. સમાજમાં સન્માનપૂર્વક જીવતા માતા-પિતા હાલ એટલા મોટા આઘાતમાં છે કે તેઓ કોઈની પણ સાથે વાત કરવાની સ્થિતિમાં નથી.
આ ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા સામાજિક અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે, અન્ય સમાજના કેટલાક તત્વો દ્વારા પાટીદાર સમાજની ઉભરતી સિંગર દીકરીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે, જે હવે એક ચોક્કસ ટ્રેન્ડ બની રહ્યો છે. જોકે, આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયદો હાથમાં લેવા માંગતા નથી, પરંતુ પાટીદાર સમાજ પોતાની શક્તિ અને સંગઠનથી આ કલાકારોનો સામાજિક અને વ્યવસાયિક બહિષ્કાર કરીને યોગ્ય સંદેશ આપશે. અગાઉ આરતી સાંગાણીના કિસ્સામાં પણ પાટીદાર સમાજે એકસૂત્રતા બતાવી હતી, ત્યારે હવે રિદ્ધિ રાજપરાના કિસ્સામાં પણ સમાજમાં દીકરીઓની સુરક્ષા અને સંસ્કારોને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગત 20 મેના રોજ રિદ્ધિ રાજપરા જય વાઘેલા સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ બંને પ્રેમ લગ્ન કરી લીધા છે. પરિવાર અને સમાજના અગ્રણીઓ દ્વારા દીકરીને પરત આવવા માટે સમજાવવામાં આવી રહી છે. જોકે દીકરી પરત ફરવા તૈયાર થઈ રહી નથી. પરિવારની એક જ માંગ છે કે જે રીતે નીકળી ગઈ છે તે રીતે પાછી આવી જાય.
રિદ્વિ રાજપરાએ જય વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લીધા બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ પોતાનું નામ રિદ્ધિ રાજપરાની જગ્યાએ RJ વાઘેલા કરી દીધું છે. એટલે રિદ્ધિ રાજપરા પણ આરતી સાંગાણીના પગલે ચાલી રહી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. સમાજ દ્વારા કરવામાં આવેલી અપીલના પગલે રીધી રાજપરા અને જય વાઘેલાના કાર્યક્રમને પણ કેન્સલ કરાવતા હોય તેવું પણ સામે આવ્યું છે.
રિદ્ધિ રાજપરા કોણ છે?
રિદ્ધિ રાજપરા પરિવાર સાથે સુરતમાં રહે છે. મૂળ ભાવનગર મહુવાની રહેવાસી છે. રિદ્ધિ પરિવારની એકની એક દીકરી છે જ્યારે તેના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે અને દીકરીને સિંગર બનાવવા માટે નાનપણથી જ સપોર્ટ કરી રહ્યા હતા. રિદ્ધિ છેલ્લા 7-8 વર્ષથી સિંગર તરીકે કામ કરી રહી છે. પાટીદાર સમાજના કાર્યક્રમોમાં રિદ્ધિને સ્ટેજ આપવામાં આવતું હતું.

