- Gujarat
- સુરતની VNSGUની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, દરરોજ બટેકાનું શાક આપી દેતા, ખાવામાં ઈયળ નીકળતી
સુરતની VNSGUની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, દરરોજ બટેકાનું શાક આપી દેતા, ખાવામાં ઈયળ નીકળતી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ સ્થિત સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે પ્રાથમિક સુવિધાઓ અને ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થિનીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને નિયમિતપણે અત્યંત હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની આગેવાનીમાં વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા શરૂ કર્યા હતા.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે માસ્ટર્સનો અભ્યાસ કરતી અને સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની ખુશીએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં માત્ર 1 કલાક જ પાણી આવે છે, જેના કારણે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બને છે. ભોજનની ગુણવત્તા અત્યંત ખરાબ છે અને તેમાં અવારનવાર ઈયળો તથા જીવાત નીકળે છે. રોજ માત્ર પાણીવાળું બટાકાનું શાક જ પીરસવામાં આવે છે અને રોટલીઓ એટલી કડક હોય છે કે તેને ચાવવી પણ અસહ્ય બની જાય છે.
https://twitter.com/ians_india/status/2094855461875204529?s=20
વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યા છે કે, ભોજનની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે સ્વાસ્થ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે મેસ સંચાલકો તેમજ વહીવટી તંત્રને અગાઉ લેખિત તથા મૌખિક ફરિયાદો કરી હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી.
વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની સાફ-સફાઈ અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે. હોસ્ટેલ જેવી જગ્યાએ સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી હોવા છતાં સફાઈની વ્યવસ્થાને લઈને મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને સ્વચ્છ અને યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે નિયમિત સફાઈ અને જરૂરી જાળવણી થવી જોઈએ.
ખુશીએ વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું કે, વિદ્યાર્થીઓના વાલીઓ અહીં સાથે નથી ત્યારે હોસ્ટેલ પ્રશાસને પોતાની જવાબદારી સમજવી જોઈએ. તેમણે માત્ર આશ્વાસનો આપવાને બદલે તમામ સમસ્યાઓનું કાયમી નિરાકરણ કઈ તારીખ સુધીમાં આવશે તેની ચોક્કસ બાંહેધરી આપવી પડશે. જો જવાબદાર તંત્ર જ વિદ્યાર્થિનીઓ પ્રત્યે આવી બેદરકારી દાખવશે તો વિદ્યાર્થીઓએ ન્યાય માટે ક્યાં જવું તેવો સવાલ પણ તેણે ઉઠાવ્યો હતો.
માત્ર ભોજન જ નહીં, પરંતુ હોસ્ટેલમાં પીવાના પાણીની વ્યવસ્થા અને પરિસરની સાફ-સફાઈ બાબતે પણ વિદ્યાર્થિનીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. અભ્યાસ અર્થે દૂર-દૂરના ગામડાઓ અને શહેરોમાંથી આવેલી દીકરીઓને રહેવા-જમવા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ આંદોલન કરવું પડે તે અત્યંત શરમજનક બાબત છે. હોસ્ટેલમાં યોગ્ય મેન્ટેનન્સ અને સ્વચ્છતા ન જળવાતી હોવાથી વિદ્યાર્થિનીઓને રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે.
સમરસ હોસ્ટેલનું સંચાલન સમાજ કલ્યાણ વિભાગ હસ્તક હોવાથી વિદ્યાર્થિનીઓએ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસની માંગ ઉઠાવી છે. રસોડાની સ્વચ્છતા, અનાજ-કરિયાણાની ગુણવત્તા અને મેસ સંચાલકોની કામગીરીની તાકીદે તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. હવે જોવાનું એ રહેશે કે લાંબા સમયથી ચાલી રહેલી આ ગંભીર સમસ્યાઓનું સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે છે કે પછી વિદ્યાર્થિનીઓને વધુ આક્રમક આંદોલન કરવાની ફરજ પડશે.

ધરણા પર બેઠેલી વિદ્યાર્થિનીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ઉચ્ચ સત્તાધીશો સ્થળ પર આવીને કાયમી નિરાકરણની ખાતરી નહીં આપે અને મેસના ભોજનની ગુણવત્તાની તટસ્થ તપાસ નહીં કરે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સમગ્ર મામલો યુનિવર્સિટી પ્રશાસનના ધ્યાને આવતાં મામલો થાળે પાડવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
ખરાબ ગુણવત્તાવાળા ભોજન, પાણી અને સાફ-સફાઈનો મોદ્દો માત્ર સુરતની સમરસ હોસ્ટેલ પૂરતો જ નથી, અન્ય હોસ્ટેલોમાં પણ આ મુદ્દો ઊઠતો રહ્યો છે, અગાઉ ભાવનગરની સ્મારસ હોસ્ટેલમાં આ જ મુદ્દો ઉઠ્યો હતો, પરંતુ સવાલ એ થાય છે કે આવી ઘટનાઓથી શીખ કેમ નથી લેવામાં આવતી? આવા મુદ્દા પર ધ્યાન કેમ આપવામાં આવતું નથી. દર વખતે વિરોધ કરીને જ અધિકારીઓનું ધ્યાન દોરવાનું? અને પછી અધિકારીઓએ દોડતા થાય અને મામલો થાળે પાડવા યોગી ઉકેલ લાવવાનું આશ્વાસન આપે. જવાબદાર અધિકારીઓની આ મામલે ધ્યાન આપવાની જવાબદારી છે કે નહીં? જવાબદાર લોકો પોતાની ભૂમિકા સારી રીતે નિભાવતા હોત તો કદાચ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને આવી રીતે વિરોધ પ્રદર્શન ન જ કરવું પડે.

