- Gujarat
- ‘આખું ગામ ખાલી થઈ જશે..’, જાણો કડીના ઇન્દ્રાડ ગામના લોકોએ ઉદ્યોગો ખસેડવાની માંગ કેમ કરી?
‘આખું ગામ ખાલી થઈ જશે..’, જાણો કડીના ઇન્દ્રાડ ગામના લોકોએ ઉદ્યોગો ખસેડવાની માંગ કેમ કરી?
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓના પ્રદૂષણને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો પડી ગયા છે. લગભગ 6000ની વસ્તી ધરાવતું ઈન્દ્રાડ ગામ RCC રોડ, CCTV કેમેરા, શાળા, હાઈસ્કૂલ, બેંક અને આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ સાથે વિકસિત છે, પરંતુ પ્રદૂષણથી લોકો પરેશાન છે. ઈન્દ્રાડ ગામના બોરવેલમાંથી લાલ રંગનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓના ભયથી ગ્રામજનો સ્થળાંતર કરવા મજબૂર થઈ ગયા છે.
ઈન્દ્રાડ ગામમાં કાર્યરત 10-15 કેમિકલ યુનિટોના કારણે જળ અને વાયુ પ્રદૂષણ બેફામ વધી ગયું છે. ખેતરોના બોરવેલમાંથી નીકળતા લાલ પાણીને કારણે ખેતી અને પશુપાલનનો વ્યવસાય પડી ભાંગ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગામમાં કેન્સર અને TB જેવી ગંભીર બીમારીઓના પ્રમાણમાં ભારે વધારો થયો છે, જે ગ્રામજનો માટે ચિંતાનો વિષય છે. ગ્રામજનોનો આરોપ છે કે, GPCBના અધિકારીઓ અને કંપનીઓ વચ્ચે 'તોડપાણી' થાય છે. તેમની રજૂઆતો છતા પ્રદૂષણ નિયંત્રણ માટે કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.
સાથે જ ઈન્દ્રાડ ગામની કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારવામાં આવતું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જેના પરિણામે ગામના 5-6 જેટલા ગામના બોરવેલમાં હવે લાલ રંગનું કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે. આ પાણી ન તો પીવાલાયક છે કે ન તો ખેતી લાયક. પશુપાલન પર નભતા ગ્રામજનો માટે પશુઓને શું પીવડાવવું? તે મોટો સવાલ છે. લાલ પાણીના કારણે ખેતી પણ નષ્ટ થઈ રહી છે.
ઈન્દ્રાડ ગામના માજી સરપંચ ગણેશજી કચરાજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ગામમાં પ્રદૂષણની સ્થિતિ ભયંકર છે. સવાર-સાંજ વાતાવરણ એટલું ખરાબ થઈ જાય છે કે શ્વાસ લેવામાં પણ પરેશાની થાય છે. જે વિસ્તારમાં ખેડૂતો રહે છે ત્યાં 15-20 કુટુંબો ખેતરમાં વસવાટ કરે છે, તેમની હાલત કફોડી છે. આ પ્રદૂષણના કારણે કેટલાક કુટુંબો તો સ્થળાંતર કરી ગયા છે અને જો આમ ને આમ ચાલ્યું તો આખું ગામ ખાલી થઈ જશે.’ ગ્રામજનોના મતે, દાયકા અગાઉ ઈન્દ્રાડ ગામમાં જે બીમારીઓ જોવા નહોતી મળતી તે હવે ઘરે-ઘરે જોવા મળે છે. પ્રદૂષિત હવા અને પાણીના કારણે ગામમાં કેન્સર, TB અને શ્વસનતંત્રની બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.
ગ્રામજનો એ વાતને લઈને નારાજ છે કે જ્યારે લોક સુનાવણી યોજાય છે ત્યારે ગ્રામજનો કંપનીઓનો સખત વિરોધ કરે છે, છતા કંપનીઓને મંજૂરીઓ મળી જાય છે. ગ્રામજનોએ સરકારને ચીમકી આપી છે કે જો આ કેમિકલ એકમોને તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અથવા રણ વિસ્તારમાં ખસેડવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઈન્દ્રાડ ગામ રહેવા લાયક નહીં બચે અને આખું ગામ ખાલી થઈ જશે.
15 જાન્યુઆરીએ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી (DDO) ડો. જાસ્મીન અસરતે ઈન્દ્રાડ અને કરણનગર ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ડાયાબિટીસથી પીડિત બાળકોની મુલાકાત લીધા બાદ ગ્રામ પંચાયતમાં ગ્રામજનો સાથે બેઠક કરી હતી, જ્યાં પ્રદૂષણ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત બાદ ગામના તલાટી દ્વારા કડી તાલુકા વિકાસ અધિકારી મૌલિક દેસાઈ અને ગુજરાત પ્રદૂષણ બોર્ડને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા અત્યાર સુધી પ્રદૂષણ વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી નથી કે કોઈ કાર્યવાહી કરી નથી.

