- National
- કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!
કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી વિજ્ઞાન અને સામાન્ય જનતા બંનેને ચોંકાવી દીધા છે. કૂતરા કરડ્યાના ચાર મહિના પછી, એક 17 વર્ષનો કિશોર અચાનક કૂતરાની જેમ ભસવા લાગ્યો. તે માત્ર કૂતરાની જેમ ભસતો જ નથી, પરંતુ તેના હાવભાવ અને ચાલ પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. આ ઘટના કછવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોગીપુરવા ગામમાં બની હતી. ગામના રહેવાસી ભાઈલાલનો 17 વર્ષનો પુત્ર કરણ તેના મામાના ઘરે હરૌવામાં ગયો હતો.

ચાર મહિના પહેલા, તેને ત્યાં કૂતરાએ કરડ્યો હતો. તેને તે સમયે ત્યાંની એક ખાનગી હોસ્પિટલમાં એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જ્યારે બીજું ઇન્જેક્શન કછવાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આપવામાં આવ્યું હતું. પરિવારે ત્રીજું ઇન્જેક્શન અપાવવામાં બેદરકારી કરી. આ બેદરકારીને કારણે, કરણ ચાર મહિના પછી કૂતરા જેમ ભસવા લાગ્યો છે.
તેની સાથે જ તેની બેસવાની અને ચાલવાના અંદાજ પણ બદલાઇ ગયો છે. તેનો પરિવાર તેને જમુઆ ચાર રસ્તા નજીક રામ જાનકી મંદિરમાં લઇ આવ્યો હતો. તેમને લાગ્યું કે તેને કોઈ ભૂત વળગ્યું છે, તેથી તેઓએ મંદિરમાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. સ્થાનિક લોકોએ પછી એમ્બ્યુલન્સ બોલાવી અને બાળકને કછવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કર્યો, જ્યાંથી તેને વારાણસી રિફર કરવામાં આવ્યો.

મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પંકજ પાંડેએ આ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી, તેને 'હાઈડ્રોફોબિયા' ગણાવી. તેમણે સમજાવ્યું કે, હડકવાની રસીની સંપૂર્ણ માત્રા ન મળવાને કારણે વાયરસ કિશોરના નર્વસ સિસ્ટમ પર સંપૂર્ણપણે કબજો કરી ચૂક્યો હતો. ડૉ. પંકજ પાંડેએ કહ્યું, 'જ્યારે હડકવાના લક્ષણો દેખાય છે, ત્યારે શ્વસન માર્ગ સંકુચિત થવા લાગે છે. આનાથી પીડિત કૂતરા જેવો અવાજ કરે છે અને પાણીથી ડરવા લાગે છે. એકવાર આ પરિસ્થિતિ આવી જાય, પછી બચવાની શક્યતા ઓછી થઈ જાય છે.'

મા વિંધ્યાવાસિની ઓટોનોમસ સ્ટેટ મેડિકલ કોલેજના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સચિન કિશોરે સમજાવ્યું કે, કિશોરને હડકવા વિરોધી દવાનો સંપૂર્ણ ડોઝ મળ્યો ન હતો, જેના કારણે તેને હડકવાના લક્ષણોનો અનુભવ થવા લાગ્યો. જો કોઈ દર્દીમાં આવા લક્ષણો દેખાય છે, તો તેનું જીવન બચાવવું ઘણું મુશ્કેલ બની જાય છે. તેથી, જો કૂતરો કરડે છે, તો તરત જ હડકવાનો સંપૂર્ણ ડોઝ લઇ લેવો.

પીડિતના પિતા ભાઈલાલએ જણાવ્યું હતું કે, તેમના દીકરાને ચાર મહિના પહેલા કૂતરાએ કરડ્યો હતો, પરંતુ હવે તે ભસવા લાગ્યો છે. અમને લાગ્યું કે તેને કોઈ ભૂત વળગ્યું છે, તેથી અમે તેને મંદિરમાં લાવ્યા. જોકે, જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે અમને ખબર પડી કે આ હડકવાના લક્ષણો છે.

ડોક્ટરોના મતે, કૂતરા કરડવા માટે પાંચ ઇન્જેક્શનનો સંપૂર્ણ કોર્સ ફરજિયાત છે. કરણના કિસ્સામાં, ફક્ત બે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. હવે વાયરસ શરીરમાં એટલો ફેલાયો છે કે કોઈ રસી કે દવા કામ કરશે નહીં. ચેપના જોખમને અન્ય લોકોમાં ફેલાતો અટકાવવા માટે હાલમાં કિશોરને ક્વોરેન્ટાઇનમાં રાખવો જરૂરી છે. આ ઘટના રખડતા પ્રાણીઓના કરડવાને હળવાશથી લેનારા કોઈપણ માણસ માટે એક ચેતવણી છે. સમયસર અને સંપૂર્ણ રસીકરણ એ હડકવાથી બચવાનો એકમાત્ર રસ્તો છે.

