- National
- જજની ખુરશી પર કાળો જાદુ કરવાના આરોપમાં 65 વર્ષીય મહિલાની ધરપકડ; ઇચ્છતી હતી કે ચુકાદો તેની તરફેણમાં આ...
જજની ખુરશી પર કાળો જાદુ કરવાના આરોપમાં 65 વર્ષીય મહિલાની ધરપકડ; ઇચ્છતી હતી કે ચુકાદો તેની તરફેણમાં આવે
કોર્ટમાં કેસ જીતવા માટે તમે શું કરી શકો છો? એક સારો વકીલ મદદ માટે લઇ શકો છો. કાયદાનો અભ્યાસ કરીને તમે મજબૂત દલીલો તૈયાર કરી શકો છો. જો તમે નસીબમાં વિશ્વાસ રાખો છો, તો તમે ભગવાનને પ્રાર્થના કરીને કહી શકો છો કે, 'હે ભગવાન, કૃપા કરીને મને આ કેસ જીતાડી દેજો.' પરંતુ કર્ણાટકના ચિકબલ્લાપુરમાં એક 65 વર્ષીય મહિલાએ કંઈક અજીબ જ કર્યું. કોર્ટ કેસ જીતવા માટે, તેણે કથિત રીતે ન્યાયાધીશની ખુરશી પર જ 'કાળો જાદુ' કરવાનો પ્રયાસ કર્યો.
કર્ણાટકના ચિકબલ્લાપુરમાં, 65 વર્ષીય મંજુલાની ન્યાયાધીશની ખુરશી પર કાળો જાદુ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
આરોપ છે કે મહિલા એક પેન્ડિંગ કૌટુંબિક સિવિલ કેસમાં ચુકાદો પોતાની તરફેણમાં આવે તેવું કરવા માંગતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 9 જુલાઈના રોજ બની હતી. આ કેસ 14 જુલાઈના રોજ પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 9 જુલાઈના રોજ સવારે લગભગ 9:40 વાગ્યે ફર્સ્ટ એડિશનલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં સુનાવણી થઈ હતી. એવો આરોપ છે કે મહિલા કોર્ટરૂમમાં પ્રવેશી હતી અને સફેદ સરસવના દાણા, જેની તેણે 'તાંત્રિક વિધિ' કરાવી હતી, તે જજના ટેબલ પર વેર્યા હતા.

કોર્ટ વહીવટીતંત્ર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, મંજુલા ખુલ્લા કોર્ટરૂમમાં પ્રવેશી હતી અને કાળા જાદુનો ઉપયોગ કરવા માટે કથિત રીતે જજની ખુરશી અને મંચ પર સફેદ સરસવના દાણા વેર્યા હતા.
કોર્ટ સ્ટાફે પાછળથી સરસવના દાણા જોયા. ત્યારપછી CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં મહિલા આવું કૃત્ય કરતી દેખાઈ હતી. તેના આધારે, મુખ્ય વહીવટી અધિકારીએ ચિક્કબલ્લાપુર ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. પોલીસ હાલમાં આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ કરી રહી છે.
પોલીસ દ્વારા કડક પૂછપરછ દરમિયાન, મહિલાએ જણાવ્યું હતું કે, તે તેના કેસમાં પોતાની તરફેણમાં ચુકાદો આવે તેવું ઇચ્છતી હતી, તેથી તે જજની ચેમ્બરમાં ગઈ અને તાંત્રિક વિધિના દાણાં વેર્યા હતા. પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ કર્ણાટક પ્રિવેન્શન એન્ડ એરેડિકેશન ઓફ ઇનહ્યુમન પ્રેક્ટિસ એન્ડ બ્લેક મેજિક એક્ટ, 2017 હેઠળ કેસ નોંધ્યો છે.

ગયા વર્ષે, દિલ્હીની તીસ હજારી કોર્ટમાં હત્યાના કેસનો સામનો કરી રહેલા ડૉ. ચંદર વિભાસે સુનાવણી શરૂ થાય તે પહેલાં કોર્ટરૂમમાં ચોખાના દાણા ચારેય બાજુ ઉડાવ્યા હતા.
આના કારણે કાર્યવાહી 15-20 મિનિટ માટે સ્થગિત થઈ ગઈ હતી. કેટલાક વકીલોએ આને કાળો જાદુ અથવા જાદુટોણા તરીકે પણ ગણાવ્યો હતો. ન્યાયાધીશ શેફાલી બર્નાલા ટંડને તેમને કોર્ટમાં એક દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા અને રૂ. 2000નો દંડ ફટકાર્યો હતો, જે ડૉક્ટરે તે જ દિવસે ચૂકવી દીધો હતો.

