- National
- વ્યક્તિ ગુટખા થૂંકવા પાટા નજીક ગયો... ત્યાં આવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, સ્ટેશન પર જ...
વ્યક્તિ ગુટખા થૂંકવા પાટા નજીક ગયો... ત્યાં આવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, સ્ટેશન પર જ...
બિહારની રાજધાની પટનાથી હાવડા જતી વંદે ભારત એક્સપ્રેસની ટક્કરથી એક વ્યક્તિ ઘાયલ થયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ પ્લેટફોર્મ પરથી પાટા પર ઉતર્યો હતો અને ગુટખા થૂંકી રહ્યો હતો. આ દરમિયાન, બીજી બાજુથી વંદે ભારત એક્સપ્રેસ ખૂબ જ ઝડપથી આવી રહી હતી. ટ્રેન સતત હોર્ન વગાડતી હોવા છતાં, તેનું ધ્યાન ન ગયું અને તેને ટ્રેનની જોરદાર ટક્કર લાગી ગઈ.
આ ઘટના બાઢ રેલ્વે સ્ટેશન પર બની હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેટફોર્મ પર એક વ્યક્તિ ગુટખા ચાવતો દેખાય છે, અને પછી તેને થૂંકવા માટે પાટા પર ગયો. તે જ સમયે, એક ટ્રેન પાટા પર આવી. ટ્રેનનું હોર્ન સતત વાગતું હોવા છતાં, તે વ્યક્તિએ કોઈ ધ્યાન આપ્યું નહીં. તે જેવો પાટા પાસે પહોંચ્યો તેની સાથે જ ખુબ ઝડપથી પસાર થતી ટ્રેને ટક્કર મારી દીધી. આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી.
ટક્કર એટલી ગંભીર હતી કે, તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. આ આખી ઘટના એટલી ઝડપથી બની કે ત્યાં બેઠેલા લોકોને કંઈ ખબર જ ન પડી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને, ત્યાં બેઠેલા લોકો અને રેલ્વે પોલીસે તાત્કાલિક તેને બાઢની સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ, તેની હાલત ગંભીર હોવાથી તેને પટના રિફર કરવામાં આવ્યો. જોકે, રસ્તામાં જ તેનું મોત નીપજ્યું. આ ઘટનાથી પરિવાર અને આસપાસના લોકોમાં શોક ફેલાઈ ગયો હતો.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે, જેના કારણે લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને બેદરકારીનું પરિણામ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો રેલ્વે સલામતીના નિયમોનું પાલન કરવાની વિનંતી કરી રહ્યા છે.
https://twitter.com/HateDetectors/status/2036775178739614117
રેલ્વે સ્ટેશન અધિકારીએ જણાવ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. તેમણે લોકોને રેલ્વે ટ્રેક પર બિનજરૂરી રીતે આવન જાવન ટાળવું જોઈએ અને સલામતીના નિયમોનું પાલન કરવાની વિનંતી કરી. તેમણે ઉમેર્યું કે પ્લેટફોર્મ પરથી ઉતરીને ટ્રેક પર જવું અત્યંત જોખમી હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે હાઇ-સ્પીડ ટ્રેનો પસાર થઈ રહી હોય. જો તમે દરરોજ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સાવધાની તમારા જીવનને બચાવી શકે છે.
એક નાની અમથી બેદરકારી પણ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે. લોકો નિયમોની અવગણના કરીને પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. હાલમાં, પોલીસે મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

