- National
- આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો
આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોનું મોત થઇ ગયું હતું. આ દુર્ઘટના કોઈ હુમલા કે બીમારીને કારણે નહીં, પરંતુ એક અદ્રશ્ય, ગંધહીન ગેસને કારણે થઈ હતી, અને તેની અસર ત્યાં સુધી ખબર નથી પડતી જ્યાં સુધી ખુબ મોડું થઇ ગયું હોય.
આ ઘટના પુંગનુરના ત્યાગરાજુ સ્ટ્રીટ વિસ્તારમાં બની હતી. અહીં રહેતા એક વ્યક્તિએ તાજેતરમાં જ તેના બાઇકનું એન્જિન રીપેર કરાવ્યું હતું, એટલે કે એન્જિનના અમુક ભાગોનું સમારકામ કર્યું હતું અને તેને નવું બનાવવામાં આવ્યું હતું. કામ પૂરું થઇ ગયા પછી, તે તેની બાઇક ઘરે લઇ આવ્યો હતો.
મિકેનિકે તેને સલાહ આપી કે, નવા એન્જિનના ભાગોને યોગ્ય રીતે સેટ થવા માટે બાઇકને થોડા સમય માટે સતત ચલાવવાની જરૂર પડશે. આ સલાહને અનુસરીને, તેણે બાઇક ઘરની અંદર પાર્ક કરી અને એન્જિન ચાલુ રાખ્યું.
રાત્રિનો સમય હતો અને ઠંડીથી પોતાને બચાવવા માટે, પરિવારે ઘરના બધા દરવાજા અને બારીઓ બંધ કરી દીધા. કદાચ તેઓ જાણતા ન હતા કે, અંદર પાર્ક કરેલી બાઇકનું ચાલતું એન્જિન ધીમે ધીમે ખતરનાક ગેસ છોડી રહ્યું હતું.
બાઇકમાંથી નીકળતો ધુમાડો અને ગેસ રૂમમાં એકઠા થવા લાગ્યા. ઘર સંપૂર્ણપણે ચારેય બાજુથી બંધ હોવાને કારણે ધુમાડાને બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો. થોડા જ સમયમાં, આખો રૂમ ખતરનાક ગેસથી ભરાઈ ગયો.
નિષ્ણાતો કહે છે કે, તે કાર્બન મોનોક્સાઇડ હતો, એક ગેસ જે રંગહીન, ગંધહીન અને સ્વાદહીન હોય છે. માણસને ખબર નથી કે તે ધીમે ધીમે શરીરમાં ઓક્સિજનનો અભાવ પેદા કરે છે. ઘણીવાર, આ ગેસના સંપર્કમાં આવતા લોકો બેભાન થઈ જાય છે અને પછી શ્વાસ લેવાનું બંધ કરી દે છે.
આ પરિવાર સાથે પણ આવું જ બન્યું છે. પતિ, પત્ની અને તેમના બે માસૂમ બાળકો તે રાત્રે ઊંઘ્યાં પછી ક્યારેય જાગ્યા નહીં. ખતરનાક ગેસે તેમની ઊંઘ દરમિયાન ચારેયના જીવ લીધા.
સવારે, જ્યારે દરવાજો ઘણા સમય સુધી ખુલ્યો નહીં અને પરિવારનો કોઈ સભ્ય બહાર ન આવ્યો, ત્યારે પડોશીઓને શંકા ગઈ. ઘરમાં સામાન્ય રીતે વહેલી સવારથી હલચલ ચાલુ થઇ જતી હતી, પરંતુ તે દિવસે તે એકદમ શાંત હતું.
પડોશીઓએ ઘણી વાર સુધી દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ધીમે ધીમે, ચિંતા વધતી ગઈ, અને અંતે, પોલીસને જાણ કરવામાં આવી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરવાજો તોડવો પડ્યો. પોલીસ અને પડોશીઓ અંદર પ્રવેશતા જ તેઓ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. પરિવારના ચારેય સભ્યો બેભાન હતા અને ઘર ધુમાડાથી ભરાઈ ગયું હતું અને વાતાવરણમાં દમ ઘૂંટાતો હોય એવું લાગ્યું. તાત્કાલિક તબીબી ટીમને બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તપાસ પછી, ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા.
તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, બાઇકનું એન્જિન આખી રાત ચાલુ રહ્યું હતું, અને તેમાંથી નીકળતો ગેસ આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. બંધ રૂમને કારણે, ગેસ બહાર નીકળી શક્યો નહીં, જે આખા પરિવાર માટે જીવલેણ સાબિત થયો. આ દુ:ખદ ઘટનાએ શોક અને સન્નાટો છવાઈ ગયો હતો. બાળકોનું હાસ્ય અને ઘરની હલચલ કાયમ માટે શાંત થઇ ગઈ હતી.
આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે, બંધ જગ્યાઓમાં વાહનના એન્જિન અથવા જનરેટર જેવા મશીનરી ચલાવવાનું જોખમ કેટલું છે. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટના એ પણ યાદ અપાવે છે કે એક નાની બેદરકારી પણ એટલી ભારે પડી જાય છે કે, જે જિંદગીમાં ફક્ત સન્નાટો છોડીને જાય છે.

