- National
- સિયા-કેતન કેસ પાછળ ચેતન ભગતની વાયરલ 'રૂઢિચુસ્ત વેપારી પરિવાર'ની થિયરી
સિયા-કેતન કેસ પાછળ ચેતન ભગતની વાયરલ 'રૂઢિચુસ્ત વેપારી પરિવાર'ની થિયરી
દેશભરમાં ભારે ચર્ચા જગાવનારા પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલના ઘાતકી મર્ડર કેસે મીડિયા અને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. આ કેસમાં કેતનની 20 વર્ષીય મંગેતર સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીની સંડોવણી હોવાનો આક્ષેપ છે. આ ઘટના સામે આવ્યા બાદ દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે જો સિયા કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી, તો તે આ લગ્ન સરળતાથી તોડી શકી હોત, તો પછી આટલું મોટું પગલું કેમ ભર્યું?
પરંતુ જાણીતા લેખક ચેતન ભગતના મતે આ મામલો દેખાય છે એટલો સરળ નથી, પણ ઘણો જટિલ છે. ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં ચેતન ભગતે દલીલ કરી છે કે આ કેસ પાછળનો અસલી અને મોટો મુદ્દો 'રૂઢિચુસ્ત વેપારી પરિવારો' અને 'આજ્ઞાકારી બાળકો'નો છે.

ચેતન ભગતના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કરુણાંતિકાના મૂળમાં ‘બદનામી અથવા શરમ’ની ભાવના રહેલી છે. તેમણે પોલીસના એ દાવા તરફ ઈશારો કર્યો જેમાં આરોપી ચેતન ચૌધરીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સિયા ઘર છોડીને ભાગવા તૈયાર નહોતી, કારણ કે તેનાથી તેના પરિવારની પ્રતિષ્ઠાને કલંક લાગત. ભગતે કહ્યું કે આ બાબત એ સ્પષ્ટ કરે છે કે આવા વ્યાપારી પરિવારો પોતાના બાળકોનો ઉછેર કેવી રીતે કરે છે અને જ્યારે લગ્ન તેમજ વ્યક્તિગત સ્વતંત્રતાની વાત આવે છે ત્યારે તેઓ કેટલા હદ સુધી રૂઢિચુસ્ત માનસિકતા ધરાવે છે.
ચેતન ભગતે જણાવ્યું કે, ‘સિયા માટે સૌથી સરળ રસ્તો એ હતો કે તે તેના બોયફ્રેન્ડ સાથે ફેમિલી કોર્ટમાં જાય, લગ્ન કરે, સર્ટિફિકેટ લે અને માતા-પિતાને મોકલી દે. વાર્તા ત્યાં જ પૂરી થઈ જાત. પરંતુ તેણે એવું ન કર્યું. તેણે પોલીસને જણાવ્યું કે તેણે લગ્ન એટલા માટે કેન્સલ ન રાખ્યા કારણ કે તેનાથી પરિવારની આબરૂ જાત અને સમાજમાં નીચું જોવું પડત. અને આ જ બાબત આવા મોટા બિઝનેસ પરિવારોમાં જોવા મળે છે. તેઓ અત્યંત રૂઢિચુસ્ત વલણ ધરાવતા હોય છે.’
તાજેતરમાં જ ચેતન ભગતે આ કેસ પર એક આર્ટીકલ લખ્યો હતો જેનું શીર્ષક હતું- 'Why Siya couldn't say no to marriage' (શા માટે સિયા લગ્નની ના પાડી શકી નહીં). આ લેખ પ્રકાશિત થયા બાદ સોશિયલ મીડિયા પર એક ઉગ્ર ચર્ચા અને વિવાદ ફાટી નીકળ્યો હતો. સમાજના એક વર્ગનું માનવું હતું કે ભગત પોતાના આર્ટીકલ દ્વારા એક હત્યાના આરોપીને પીડિત તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જો કે, ઈન્ટરવ્યુ દરમિયાન આ બાબતે સ્પષ્ટતા આપતા બેસ્ટ-સેલિંગ લેખક અને રાજકીય વિશ્લેષકે જણાવ્યું હતું કે, તેમના આ લેખનો હેતુ કોઈ ગુનેગારનો બચાવ કરવાનો બિલકુલ નહોતો. જો આરોપી દોષિત સાબિત થાય તો તેને સખતમાં સખત સજા મળવી જ જોઈએ. પરંતુ તેઓ માત્ર એ માનસિકતા પર પ્રકાશ પાડી રહ્યા હતા કે આવા પરિવારોમાં માતા-પિતા પોતાના પુખ્ત વયના બાળકોના અંગત નિર્ણયો પર કેટલો મોટો પ્રભાવ અને દબાણ રાખે છે.
ચેતન ભગતે ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગપતિઓ પર નિશાન સાધ્યું હતું, જેમનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 10 કરોડથી 50 કરોડ રૂપિયાની આસપાસ હોય છે.

તેમણે તાર્કિક દલીલ કરતા કહ્યું કે, ‘આવા પરિવારોના વ્યવસાયો સામાન્ય રીતે સ્ટીલ પાઇપ અથવા બોલ બેરિંગ્સ બનાવવા જેવા પરંપરાગત કામો સાથે જોડાયેલા હોય છે, કોઈ હાઇ-ટેક કે અદ્યતન ટેકનોલોજી સાથે નહીં. આ બિઝનેસ એક ચોક્કસ સ્તરે આવીને સ્થિર થઈ જાય છે, જેને આપણે સામાન્ય ભાષામાં 'લાલા કંપની' કહીએ છીએ.’
તેમણે ઉમેર્યું કે, ‘આવા લોકોના જીવનનો સૌથી મોટો વટ શું હોય છે? કારણ કે તેઓ પૈસાદાર છે અને પોતે અમીર હોવાનો અહેસાસ કરાવવા માંગે છે, તેથી તેમના જીવનનો અલ્ટીમેટ વટ એટલે 'ભવ્ય અને શાહી લગ્નો'કરવા. તેઓ આ ભપકા પાછળ આંધળો ખર્ચ કરે છે.’
ભગતના મતે, આવા પરિવારોના બાળકો એક અનોખી જાળમાં ફસાઈ જાય છે. તેમનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે તેઓ જીવનના મુશ્કેલ નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકતા નથી. આ સમસ્યા સીધી રીતે 'આર્થિક પરાવલંબન' સાથે જોડાયેલી છે.
બીજી પેઢીના આવા બિઝનેસ વારસદારો પોતાના માતા-પિતાનો વિરોધ કરી શકતા નથી કારણ કે તેઓ પૈસા માટે સંપૂર્ણપણે તેમના પર નિર્ભર હોય છે. ભગતે સચોટ શબ્દોમાં કહ્યું કે ‘આવા બાળકો પાસે એક જ વિકલ્પ હોય છે- પપ્પાના બિઝનેસમાં જોડાઈ જવું. તેમની પાસે કોઈ લિંક્ડઈન પ્રોફાઈલ નથી હોતી, કોઈ સારી કોલેજનું શિક્ષણ નથી હોતું કે નથી તેઓ બહાર ક્યાંય નોકરી માટે એપ્લાય કરી શકતા. તેઓ પોતાની લાઈફસ્ટાઈલ જાળવવા માટે પૂરેપૂરા પપ્પાના ફંડ પર નભે છે. નિયમ સાદો છે— જ્યારે કોઈ તમને ફંડ પૂરું પાડે છે અને તમે તેના પર નિર્ભર રહો છો, ત્યારે તે તમને કંટ્રોલ પણ કરશે જ. આ જ રૂઢિચુસ્ત ડાયનેમિક્સ અહીં કામ કરે છે.’
જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર અમીર હોવાનો અર્થ એ નથી કે તમે બાળકો પર આટલો બધો કંટ્રોલ રાખો. ઉદાહરણ આપતા તેમણે કહ્યું, ‘શું તમને લાગે છે કે માર્ક ઝુકરબર્ગ કે એલન મસ્ક તેમના બાળકો કોની સાથે લગ્ન કરશે તે બાબતને આ રીતે કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતા હશે?’

પોતાની વાત પૂરી કરતા ચેતન ભગતે જણાવ્યું કે, કૌટુંબિક અપેક્ષાઓનો બોજ અને સામાજિક બદનામીના ડરે આ કરુણાંતિકા સર્જવામાં મોટી ભૂમિકા ભજવી છે. જો પરિવારમાં મુક્ત વાતાવરણ હોત અને માત્ર એક સીધી વાતચીત થઈ શકી હોત, તો આ આખી સમસ્યા અને હત્યાકાંડને ટાળી શકાયો હોત. પરંતુ કમનસીબે, એવું વાતાવરણ જ ઉપલબ્ધ નહોતું.

