- National
- કાનપુરમાં ડબલ મર્ડર, પિતાએ જોડિયા દીકરીઓનું ગળું દબાવી દીધું, જાતે ફોન કરીને પોલીસને બોલાવી; થઇ ધરપક...
કાનપુરમાં ડબલ મર્ડર, પિતાએ જોડિયા દીકરીઓનું ગળું દબાવી દીધું, જાતે ફોન કરીને પોલીસને બોલાવી; થઇ ધરપકડ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વ્યક્તિએ તેની 11 વર્ષની જોડિયા દીકરીઓનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો આરોપ છે. શહેરમાં આવેલા તેના ઘરે આ ઘટના બની હતી, જેના કારણે વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. રવિવારે વહેલી સવારે બેવડી હત્યા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચીને, તેઓએ ઘરની અંદરથી બંને છોકરીઓના મૃતદેહ શોધી કાઢ્યા, જેમના ગળા પર ઊંડા ઘા હતા. ત્યારપછી ઘટનાસ્થળેથી આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની પત્ની રેશ્મા છેત્રીએ તેના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેનો દાવો છે કે તેનો પતિ દારૂડિયા હતો અને વારંવાર તેની સાથે મારપીટ કરતો હતો. આટલું જ નહીં ઘણીવાર તે તેને ખાવાનું પણ આપતો ન હતો. રેશ્માના જણાવ્યા અનુસાર, આ દંપતીએ 2014માં પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ થોડા સમય પછી તેમના સંબંધો બગાડવા લાગ્યા હતા.

રેશ્મા કહે છે કે, તેના પતિએ ઘરમાં દરેક જગ્યાએ CCTV કેમેરા લગાવી રાખ્યા હતા, તેના રૂમમાં પણ. તેણે આરોપ લગાવ્યો કે, જ્યારે પણ તે તેના માતાપિતાના ઘરે જવાનો પ્રયાસ કરતી હતી, ત્યારે તેનો પતિ તેને માર મારતો હતો અને ઘણી વાર તેને તેના પુત્રને લઈને જતા રહેવાનું કહેતો હતો, જ્યારે પુત્રીઓને તે પોતાની સાથે રાખશે અને અને તેનું પાલન પોષણ કરશે.
રેશ્માએ બતાવ્યું હતું કે, તે એક વખત મજબૂરીમાં તેના પુત્ર સાથે તેના માતાપિતાના ઘરે ગઈ હતી, જ્યારે તેની જોડિયા પુત્રીઓ તેના પતિ સાથે રહી હતી. લગભગ નવ મહિના પછી, તે પાછી આવી કારણ કે તે તેની પુત્રીઓ વિના રહી શકતી નહોતી.
રેશ્માએ કહ્યું કે ઘટનાની રાત્રે બધું સામાન્ય હતું. પરિવારે સાથે રાત્રિભોજન કર્યું, ત્યારપછી તેનો પતિ બંને પુત્રીઓને સૂવા માટે તેના રૂમમાં લઈ ગયો. CCTV ફૂટેજમાં, તેણે તેના પતિને લાંબા સમય સુધી ફોન પર વાત કરતા જોયો. લગભગ 2:30 વાગ્યે, તે એક પુત્રીને બાથરૂમમાં લઈ ગયો અને થોડીવાર પછી રૂમમાં પાછો ફર્યો, પછી લાઇટ બંધ કરી દીધી.
રેશ્માએ કહ્યું કે, ત્યાર પછી, રૂમમાંથી કોઈ અવાજ આવ્યો નહીં, અને તેણે એમ માન્યું કે, બધા સૂઈ રહ્યા છે. તેને એ વાતનો ખ્યાલ પણ નહોતો કે તેની પુત્રીઓની હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતે જ ઘટનાની જાણ કરી. માહિતી મળતાં જ, વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને હત્યા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી દીપેન્દ્ર નાથ ચૌધરીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે સામાન્ય છે. આરોપીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

