- National
- ઈન્ડિગો સામે સરકાર પગલા લેશે કે ખાલી તપાસ કરાવશે?
ઈન્ડિગો સામે સરકાર પગલા લેશે કે ખાલી તપાસ કરાવશે?
ઇન્ડિગોના મોટા પાયે ફ્લાઇટ રદ કરવાના અને સતત ઓપરેશનલ નિષ્ફળતાઓ પછી, રાજકીય અને વહીવટી સ્તરે મામલો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. પરિવહન, પર્યટન અને નાગરિક ઉડ્ડયન અંગેની સંસદીય સ્થાયી સમિતિએ ઇન્ડિગો, અન્ય તમામ એરલાઇન્સ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ના અધિકારીઓને સમન્સ મોકલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, આજે પણ રેકોર્ડ દરે ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઇ રહી છે.
હકીકતમાં, ઇન્ડિગોની વારંવાર ફ્લાઇટ રદ થવાથી હજારો મુસાફરો ખુબ જ પરેશાન થઇ રહ્યા છે. આના કારણે પરિવહન, પર્યટન અને નાગરિક ઉડ્ડયન અંગેની સંસદીય સમિતિએ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિ ટૂંક સમયમાં ઇન્ડિગો, અન્ય એરલાઇન્સ, DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ મોકલશે.
સમિતિ અને JDU સાંસદ સંજય કુમાર ઝાની અધ્યક્ષતામાં, સમગ્ર ઘટના પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને તમામ પક્ષો પાસેથી જવાબો માંગવામાં આવશે. સમિતિ ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે કયા નક્કર પગલાં લઈ શકાય તેની પણ તપાસ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંસદીય સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં સાંસદોને ફ્લાઇટ રદ થવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઘણા મુસાફરોએ ફોન દ્વારા સાંસદોને તેમની મુશ્કેલીઓ વિશે સીધી માહિતી આપી હતી, ત્યારપછી આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો.
બેઠકમાં એ મહત્વપૂર્ણ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવશે કે, જ્યારે વ્યાપક ફ્લાઇટ રદ થઈ રહી હતી ત્યારે એરલાઇન્સે અચાનક ભાડામાં વધારો કેમ કર્યો અને તેનાથી સામાન્ય મુસાફરો પર વધારાનો નાણાકીય બોજ કેમ પડ્યો.
આ દરમિયાન, CPM સાંસદ જોન બ્રિટાસે PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને સમગ્ર મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) અથવા ન્યાયિક કમિશનની રચના કરવાની માંગ કરી છે.
ઉડ્ડયન નિયમનકાર DGCAએ ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ મોકલાવીને 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે. DGCAએ જણાવ્યું હતું કે, વ્યાપક ઓપરેશનલ નિષ્ફળતાઓ આયોજન, દેખરેખ અને સંસાધન વ્યવસ્થાપનમાં ગંભીર ખામીઓ દર્શાવે છે.
નોટિસમાં જણાવાયું હતું કે, ફ્લાઇટમાં વિક્ષેપનું મુખ્ય કારણ સુધારેલા FDTL (ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા) નિયમોને લાગુ કરવા માટે પૂરતી વ્યવસ્થા કરી ન હતી. DGCAએ આને એરક્રાફ્ટ નિયમો, 1937 અને સંબંધિત CAR નિયમોનું પ્રથમ દૃષ્ટિએ ઉલ્લંઘન ગણાવ્યું હતું.
આ ઉપરાંત, મુસાફરોની સુવિધાઓમાં પણ ગંભીર બેદરકારી જોવા મળી હતી. ઘણા કિસ્સાઓમાં, મુસાફરોને આવશ્યક માહિતી, ખાવાનું, રહેવાનું અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હતી, જે નિયમોની વિરુદ્ધ છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)એ ઇન્ડિગો કટોકટી પર અહેવાલ તૈયાર કરી ઝડપથી બનાવવા માટે ચાર સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિને નિર્દેશ આપ્યો છે. ઇન્ડિગો દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલા જવાબો સંતોષકારક જણાયા નથી. ઉચ્ચ-સ્તરીય સમિતિ હવે જરૂરી કાર્યવાહીની ભલામણ કરશે. આ સમિતિને અગાઉ 15 દિવસની અંદર અહેવાલ સબમિટ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સમિતિ ઘટનાના મૂળ કારણો અને જવાબદાર લોકોને ઓળખી રહી છે, આ બાબતમાં નાણાકીય અને શિક્ષાત્મક કાર્યવાહીને નકારી શકાય નહીં.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઇન્ડિગોના CEO સાથે બેઠક યોજી હતી, જેમાં DGCAના વડા ફૈઝ અહેમદ કિડવાઈ અને નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહા હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઇન્ડિગોને FDTL નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, તેણે તેના નેટવર્કને 'રીબૂટ' કરવા માટે ઘણી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, એક દિવસમાં 700થી વધુ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી હતી અને 113 સ્થળો ઉમેરવામાં આવ્યા હતા. એરલાઇને દાવો કર્યો હતો કે, તે દિવસના અંત સુધીમાં 1,500થી વધુ ફ્લાઇટ્સ ચલાવવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે, અને 138 સ્થળોમાંથી 135 સ્થળોએ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. કંપનીએ મુસાફરોની માફી માંગી હતી અને તેમને ખાતરી આપી હતી કે, વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસ સમિતિના અહેવાલના આધારે ઇન્ડિગો અને તેના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની શક્યતા નકારી શકાતી નથી. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, તાત્કાલિક પ્રાથમિકતા સામાન્ય ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત કરવાની છે. ઇન્ડિગોને રદ થયેલી અને મોડી પડેલી ફ્લાઇટ્સ માટે સમયસર રિફંડ પ્રક્રિયા કરવા અને મુસાફરોનો ખોવાયેલો સામાન 48 કલાકની અંદર પહોંચાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારે બિઝનેસ ક્લાસ સિવાયના તમામ વર્ગોના ભાડા રૂ. 7500 થી રૂ. 18000ની રેન્જમાં અસ્થાયી રૂપે મર્યાદિત કર્યા છે. 5 ડિસેમ્બરે ઇન્ડિગોનું સમયસર પ્રદર્શન ઘટીને માત્ર 3.7 ટકા થઇ ગયું, જે દેશની કોઈપણ મોટી એરલાઇન માટે અત્યંત ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા P. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ઇકોનોમી ક્લાસના ભાડા પર મર્યાદા મૂકવી એ યોગ્ય પગલું છે. તેમણે ઉમેર્યું કે, જ્યાં સુધી એરલાઇન ક્ષેત્રમાં 'ડ્યુપોલી' ચાલુ રહે ત્યાં સુધી ભાડા નિયંત્રણ જરૂરી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ઇન્ડિગો કટોકટી એરલાઇન મેનેજમેન્ટ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને કેન્દ્ર સરકારની સામૂહિક નિષ્ફળતાને પ્રતિબિંબિત કરે છે. તેમના મતે, FDTL નિયમો જાન્યુઆરી 2024માં અમલમાં આવ્યા હતા, પરંતુ 23 મહિના સુધી સરકાર એરલાઇનને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં અસમર્થ રહી.

