- National
- 'જો બંગાળને નબળું પાડ્યું તો કેન્દ્ર સરકાર ઉથલાવી દઈશ...' ચૂંટણી પહેલા CM મમતા બેનર્જીએ BJPને આપી કડ...
'જો બંગાળને નબળું પાડ્યું તો કેન્દ્ર સરકાર ઉથલાવી દઈશ...' ચૂંટણી પહેલા CM મમતા બેનર્જીએ BJPને આપી કડક ચેતવણી
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા, કેન્દ્ર સરકાર પર રાજ્યના રાજકારણમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે ચેતવણી આપી કે જો આ પ્રકારનું દબાણ ચાલુ રહેશે તો દિલ્હીની કેન્દ્ર સરકાર પણ પડી શકે છે. CM બેનર્જીએ આરોપ લગાવ્યો કે રાજભવનને BJPનું પાર્ટી કાર્યાલય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ચૂંટણી દરમિયાન પૈસા વહેંચવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં મોકલવામાં આવનારાઓ BJPના કાર્યકરો છે.
જગદીપ ધનખર અને મહારાષ્ટ્રના નેતા અજિત પવારનો ઉલ્લેખ કરતા, CM મમતાએ કહ્યું કે તેમની સાથે શું થયું તે અંગે તેમણે પહેલાથી જ સત્ય કહ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર પર ઘમંડી રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે વર્તમાન સરકાર સાથી પક્ષોના ટેકા પર ચાલી રહી છે. CM મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, BJP મતોનું વિભાજન કરીને બંગાળને વિભાજીત કરી શકતી નથી. તેમણે કહ્યું કે, બંગાળ જાણે છે કે કેવી રીતે લડવું અને રાજ્યના લોકો તેમના અધિકારો માટે લડતા રહેશે.
આ દરમિયાન, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યપાલ C. V. આનંદ બોઝના રાજીનામા અંગે રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. CM મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે આ નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દબાણ હેઠળ લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા ફક્ત શાહ જ આવો નિર્ણય લઈ શકે છે. CM મમતા બેનર્જીએ કહ્યું કે, બોઝે રાજીનામું કેમ આપ્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે આ પગલું રાજકીય લાભને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું.
CM મમતા બેનર્જીએ જણાવ્યું કે, શાહે તેમને જાણ કરી હતી કે બોઝના ગયા પછી, તમિલનાડુના રાજ્યપાલ અને ભૂતપૂર્વ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર R. N. રવિને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો સોંપવામાં આવશે.
આ દરમિયાન, C. V. આનંદ બોઝે દિલ્હીથી તેમના રાજીનામાની પુષ્ટિ કરતા કહ્યું, 'હા, મેં રાજીનામું આપ્યું છે. હું લગભગ સાડા ત્રણ વર્ષથી બંગાળનો રાજ્યપાલ રહ્યો છું, અને આ સમય મારા માટે પૂરતો છે.' જોકે તેમણે અચાનક રાજીનામાના કારણો જાહેર કર્યા નથી, તેમનો કાર્યકાળ નવેમ્બર 2027 સુધીનો હતો, આના કારણે તેમનો સમય પૂરો થયા પહેલા રાજીનામુ આપવાનું રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે.
CM મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આવા નિર્ણયો દેશના લોકશાહી માળખા માટે ખતરો છે. તેમના મતે, આવા એકપક્ષીય નિર્ણયો કોઈપણ રાજ્યના હિતમાં નથી, પરંતુ કોઈ ચોક્કસ રાજકીય પક્ષના હિતમાં છે. તેમણે કહ્યું કે, બંગાળના લોકો બધું જોઈ રહ્યા છે અને સમય આવશે ત્યારે તેઓ જવાબ પણ આપશે.

