- National
- પેટ્રોલ પંપે પાણીવાળું પેટ્રોલ ગ્રાહકોને ભરી દીધું, અનેક વાહનોને થયું નુકસાન
પેટ્રોલ પંપે પાણીવાળું પેટ્રોલ ગ્રાહકોને ભરી દીધું, અનેક વાહનોને થયું નુકસાન
ગ્રેટર નોઈડાના પરી ચોક નજીક એચેરમાં સ્થિત પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ ને બદલે પાણી ભરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાને કારણે દસ વાહનો ખરાબ થઇ ગયા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના શનિવારે બપોરે બીટા 2 પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર પાઈ વનમાં આવેલા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર બની હતી.
ઘણા લોકો પોતાની કાર અને મોટરસાઈકલમાં પેટ્રોલ ભરીને ચાલ્યા ગયા હતા, પરંતુ થોડા અંતર પછી તેમના વાહનો અચાનક બંધ થઈ ગયા હતા. બ્રેકડાઉન પછી, ગ્રાહકો પેટ્રોલ પંપ પર પાછા ફર્યા અને કર્મચારીઓ અને મેનેજરને ફરિયાદ કરી. તપાસ કરતા જાણવા મળ્યું કે પેટ્રોલ પંપની ટાંકીમાં પાણીનો પાઇપ લીકેજ થવાને કારણે પાણી ચાલ્યું ગયું હતું, એવામાં એ જ પાણીવાળું પેટ્રોલ વાહનોની ટાંકીમાં નાખવામાં આવ્યું હતું.
આ ખુલાસા પછી, ગ્રાહકોએ પેટ્રોલ પંપ પર હોબાળો શરૂ કરી દીધો. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી, તેથી પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પોલીસે દરમિયાનગીરી કરી, પરિસ્થિતિ શાંત કરી અને મામલાની તપાસ શરૂ કરી. આ ઘટનામાં 4 કાર અને 6 મોટરસાઈકલને નુકસાન થયું હતું. ઘણા વાહનોનું સ્થળ પર જ મિકેનિક દ્વારા સમારકામ કરાવવું પડ્યું. આ બેદરકારીથી પ્રભાવિત ગ્રાહકોએ વળતરની માંગણી કરી છે, જોકે પેટ્રોલ કંપનીએ વળતર માટે સંમતિ પણ આપી છે.
પેટ્રોલ પંપ પરના એક ગ્રાહકે જણાવ્યું કે, તેણે હમણાં જ તેની બાઇકમાં પેટ્રોલ ભરાવ્યું હતું અને જ્યારે તે ગાડી ચલાવીને થોડે દૂર ગયો, ત્યારે બાઇક ચલાવતી વખતે અધવચ્ચે જ અટકી ગઈ. જ્યારે તેણે તપાસ કરી ત્યારે તેને પેટ્રોલમાં પાણી ભળેલું જણાયું. આ સંપૂર્ણપણે પેટ્રોલ પંપનો વાંક હતો, કારણ કે પેટ્રોલ હંમેશા ચેક કરવામાં આવે છે. પેટ્રોલ પંપ પર કામ કરતા IGL ટેકનિશિયન સંદીપે સમજાવ્યું કે, જ્યારે ટેન્કર પેટ્રોલ લઈને આવ્યું ત્યારે તેને બેક કરતી વખતે પાણીની પાઇપ તૂટી ગઈ હતી.
શનિવારે સાંજે જ્યારે વરસાદ પડ્યો ત્યારે પાઇપમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે પેટ્રોલમાં પણ પાણી ચાલ્યું ગયું હતું. વરસાદને કારણે શનિવારે પાઇપલાઇનનું સમારકામ થઈ શક્યું નહીં. જેમના વાહનોને નુકસાન થયું હતું તેમનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલની ટાંકીમાંથી પાણી પણ બહાર કાઢવામાં આવી રહ્યું છે.
હવે તેમાં નવું ઇંધણ ફરીથી ભરવામાં આવશે. જે વાહનોમાં સમસ્યા આવી છે તે વાહનોની સંખ્યા 20થી 25 હોવાનો અંદાજ છે. પાણીને કારણે અંદાજે 12,000 લિટર ઇંધણને નુકસાન થયું છે. હાલમાં આ આખા મામલાની તપાસ માટે જિલ્લા પુરવઠા વિભાગની એક ટીમે સ્થળ પર પહોંચીને કાર્યવાહી ચાલુ કરી છે.

