- National
- 2 કેન્દ્રીયમંત્રીને મળ્યા બાદ સોનમ વાંગચુક ઉપવાસ છોડવા તૈયાર, પરંતુ સરકાર સમક્ષ મૂકી આ શરત
2 કેન્દ્રીયમંત્રીને મળ્યા બાદ સોનમ વાંગચુક ઉપવાસ છોડવા તૈયાર, પરંતુ સરકાર સમક્ષ મૂકી આ શરત
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પોતાના ઉપવાસ પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ આ માટે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ એક મહત્વની શરત પણ મૂકી છે. વાંગચુકે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહને પત્ર લખીને હોસ્પિટલ પહોંચવા બદલ, તેમની મુલાકાત લેવા બદલ તથા અનશન સમાપ્ત કરવાની અપીલ કરવા બદલ બંને નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે વાતચીત દરમિયાન સરકાર તરફથી તેમની કેટલીક માંગણીઓ પર સકારાત્મક વિચારણા કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
પોતાના પત્રમાં માંગણી કરતા વાંગચુકે જણાવ્યું કે પેપર લીકની ઘટનાઓ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને પૂરતું વળતર આપવું જોઈએ. આ સાથે જ આ મામલે જવાબદારી નક્કી કરવા માટે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ, જેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર વિચારણા કરવાનો મુદ્દો પણ સામેલ હોવો જોઈએ.

તેમણે 20 જુલાઈ 2026ના રોજ યોજાયેલા 'ચલો સંસદ' માર્ચનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પોલીસની કથિત દાદાગીરી અને જરૂરિયાત કરતાં વધુ બળપ્રયોગ છતાં આ વિરોધ પ્રદર્શન અત્યંત શાંતિપૂર્ણ રહ્યું હતું. સમગ્ર દેશ અને દુનિયાએ પ્રદર્શનકારીઓની ધીરજ અને લોકશાહી ઢબે વિરોધ નોંધાવવાની તેમની પ્રતિબદ્ધતા જોઈ છે. વાંગચુકે આશા વ્યક્ત કરી હતી કે આ આંદોલનમાં સામેલ લોકો સામે કાનૂની કેસ, માનસિક ત્રાસ કે બદલાની કાર્યવાહી કરીને લોકશાહી સંસ્થાઓમાં તેમના વિશ્વાસને વધુ નબળો પાડવામાં નહીં આવે.
વાંગચુકે માહિતી આપી હતી કે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત બાદ વિવિધ રાજકીય પક્ષોના લગભગ 65 સાંસદોએ તેમને પત્ર લખીને અનશન સમાપ્ત કરવા વિનંતી કરી છે. કેટલાક સાંસદો તેમને રૂબરૂ મળી ચૂક્યા છે, જ્યારે અન્ય કેટલાક બાદમાં મળે તેવી શક્યતા છે. તેમણે ઉમેર્યું કે સાંસદોએ તેમને યાદ અપાવ્યું છે કે દેશસેવા માટે તેમણે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
તેમણે કહ્યું કે તેઓ જીવવા માંગે છે અને પોતાના વિદ્યાર્થીઓ, શિક્ષણ અને એ કામ વચ્ચે પાછા ફરવા માંગે છે જેણે તેમના જીવનને એક દિશા આપી છે. પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ એ યુવાનોની કિંમતે આ ન કરી શકે, જેના માટે આ આંદોલન શરૂ થયું હતું.
સોનમ વાંગચુકે સરકાર પાસે સ્પષ્ટ અને શરત વગરનું આશ્વાસન માંગ્યું છે કે આંદોલનમાં ભાગ લેનાર કોઈપણ યુવા પ્રદર્શનકારી સામે કાનૂની, દંડાત્મક કે બદલાની ભાવનાથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ યુવાનોનો એકમાત્ર ગુનો નિષ્પક્ષ અને જવાબદારીપૂર્વકની શિક્ષણ વ્યવસ્થાની માંગ માટે અવાજ ઉઠાવવાનો છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે જો સરકાર આ આશ્વાસન આપશે, તો તેઓ એ વિશ્વાસ સાથે પોતાના અનશન સમાપ્ત કરી દેશે કે સરકારે માત્ર એમની અપીલ જ નહીં પરંતુ લાખો યુવાન ભારતીયોની આકાંક્ષાઓને પણ સાંભળી છે. જોકે, આવું આશ્વાસન નહીં મળે તો તેમણે અનિશ્ચિત મુદત સુધી ઉપવાસ ચાલુ રાખવાની ચિમકી પણ આપી છે. આ સાથે જ તેમણે પ્રદર્શનકારીઓ સામે પોલીસ બળનો અતિશય ઉપયોગ રોકવાની આશા વ્યક્ત કરી હતી.
અંતમાં વાંગચુકે જણાવ્યું હતું કે, "લોકશાહીનું ભવિષ્ય એ વાતથી નક્કી નથી થતું કે તે પોતાની સાથે સહમત થતા લોકો સાથે કેવો વ્યવહાર કરે છે, પરંતુ એ વાતથી નક્કી થાય છે કે તે એવા યુવાન નાગરિકો સાથે કેવો વ્યવહાર કરે છે જેઓ હિંમત, આશા અને દ્રઢ વિશ્વાસ સાથે પોતાનો અવાજ ઉઠાવે છે."

