- National
- છૂટાછેડાથી આ યુવક એટલો ખુશ થઇ ગયો કે પરિવાર અને મિત્રો સાથે માનતા પૂરી કરવા 9 કિમી દંડવત કરતો માતાના...
છૂટાછેડાથી આ યુવક એટલો ખુશ થઇ ગયો કે પરિવાર અને મિત્રો સાથે માનતા પૂરી કરવા 9 કિમી દંડવત કરતો માતાના દરબારે પહોંચ્યો
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સમાજને વિચારવા માટે મજબૂર કરી દીધો છે. અહીં, એક યુવાન તેની પત્નીથી એટલો બધો કંટાળી ગયો હતો કે તેણે સુખી લગ્ન જીવનને બદલે અલગ થવાની માનતા માની હતી. તેની માનતા પૂર્ણ થતા જ તે યુવાન પોતાના ઘરથી 9 કિલોમીટર સુધી દંડવત પ્રણામ કરતો માતાના દરબારે પહોંચ્યો હતો.
હકીકતમાં, આ ઘટના સોનહા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રની છે. અહી રહેનારા રવિ નામના સ્થાનિક રહેવાસીએ બે વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ, દંપતી વચ્ચેના વિવાદો અને ઝઘડા એટલી હદે વધી ગયા કે રવિ માટે જીવન અસહ્ય બની ગયું. માનસિક તણાવથી તંગ આવીને રવિએ પ્રાચીન દેવી ‘મા બૈડવ સમય માતા’ના દરબારમાં માનતા માની કે જો પત્નીથી કાયદેસર રીતે છૂટાછેડા થઈ જશે, તો તે દંડવત યાત્રા કરશે.
જેવો જ પત્નીથી કાયદેસર રીતે અલગ થવાનો માર્ગ ખૂલ્યો રવિએ માનતા પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. રવિવારે સવારે કોઈ પણ અન્ન-જળ ગ્રહણ કર્યા વિના રવિએ તેના ગામથી ભાનપુર સ્થિત દેવીના મંદિર સુધીની યાત્રા કરી હતી. 9 કિમી સુધી જમીન પર દંડવત કરતા યાત્રા કરવાને કારણે તેના ઘૂંટણ લોહીથી લથપથ થઈ ગયા અને તેનું શરીર સંપૂર્ણપણે થાકી ગયું હતું, પરંતુ ચહેરા પર આઝાદી ખુશી સ્પષ્ટ દેખાતી હતી.
હેરાનીની વાત એ છે કે, આ અનોખી યાત્રા દરમિયાન રવિના માતા-પિતા અને અનેક ગામલોકો પણ વાજિત્ર અને જયકારા સાથે તેની પાછળ ચાલી રહ્યા હતા. સવારે શરૂ થયેલી આ યાત્રા સાંજે 6:00 વાગ્યે મંદિર પહોંચીને પૂર્ણ થઈ, જ્યાં રવિએ વિધિ-વિધાન અનુસાર પૂજા કરી.
પત્રકારો સાથે વાત કરતા રવિએ કહ્યું કે, ‘હું મારી પત્નીથી ખૂબ જ પીડિત હતો. છૂટકારો મેળવવા માટે માનતા લીધી હતી, અને હવે તે પૂર્ણ થઈ છે. હું હવે એકદમ ખુશ છું.’ આ ઘટના આજના સમયમાં સંબંધોની બગડતી સ્થિતિ અને આજના સમયમાં પ્રવર્તતા વધતા માનસિક તણાવનું જીવતું-જાગતું ઉદાહરણ છે, જ્યાં એક વ્યક્તિને સંબંધના બોજમાંથી નીકળવા માટે ઈશ્વરીય માનતાનો સહારો લેવો પડ્યો.

